મધુબાલાજીએ કૉન્ટ્રૅક્ટ કર્યો હતો કે તેમનાં ગીતો માત્ર લતા મંગેશકર જ ગાશે : અલકા યાજ્ઞિક

15 May, 2022 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમ્પોઝર્સ, ફિલ્મમેકર્સ અને ઍક્ટર્સ માટે જો લતા મંગેશકર ગીત ગાય તો તેમને માટે એ આશીર્વાદથી ઓછું નથી હોતું

અલકા યાજ્ઞિક

લતા મંગેશકરના જીવન સાથે સંકળાયેલી જાણી-અજાણી બાબતો પર પ્રકાશ પાડતા શો ‘નામ રહ જાએગા’માં અલકા યા​​જ્ઞિકે જણાવ્યું કે મધુબાલાજીએ કૉન્ટ્રૅક્ટ કર્યો હતો કે તેમનાં ગીતો માત્ર લતા મંગેશકર જ ગાશે. કમ્પોઝર્સ, ફિલ્મમેકર્સ અને ઍક્ટર્સ માટે જો લતા મંગેશકર ગીત ગાય તો તેમને માટે એ આશીર્વાદથી ઓછું નથી હોતું. સ્ટાર પ્લસ પર આ શો દર રવિવારે સાંજે ૭ વાગ્યે દેખાડવામાં આવે છે. આ શોના માધ્યમથી અનેક સિંગર્સે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તાજેતરમાં અલકા યા​જ્ઞિકે કહ્યું કે ‘મધુબાલાજી પહેલાં એવાં ઍક્ટ્રેસ હતાં જેમણે કૉન્ટ્રૅક્ટ કરવાની શરૂઆત કરી હતી, જેમાં શરત મૂકવામાં આવી હતી કે મારી ફિલ્મોમાં ગીતો માત્ર લતા મંગેશકર જ ગાશે. દરેકની એવી ઇચ્છા થતી કે તેઓ જ તેમનાં ગીત ગાય. આ જ કારણ છે કે તેમની તારીખોને લઈને પણ ખૂબ મુશ્કેલી ઊભી થતી હતી. એથી લોકો તેમને મનાવવા માટે ખૂબ કાલાવાલા કરતા હતા. સાથે જ જ્યારે વહીદા રહેમાનને જાણ થઈ કે લતાજીને ચૉકલેટ ખૂબ ગમે છે તો તેમણે લતા મંગેશકરને ચૉકલેટ મોકલવાનું શરૂ કર્યું જેથી લતાજી તેમની સાથે સ્ટેજ-શો કરવા તૈયાર થઈ જાય. નવી ઍક્ટ્રેસિસને પણ એવી ઇચ્છા થતી કે ક્યારેક તો લતાજી તેમને માટે ગીત ગાશે અને જ્યારે લતાજી તેમને માટે ગીત ગાતાં તો તેમને એવો અહેસાસ થતો કે લતાજી તેમને પણ પ્રેમ કરે છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips alka yagnik lata mangeshkar madhubala