મારી સાડાત્રણ વર્ષની દીકરી હંમેશાં જીતવા માગે છે અને તેને હારી જવાનો ડર સતાવે છે

15 April, 2026 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટે આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ પાસે આવી ચિંતા વ્યક્ત કરી એને પગલે તેને મહત્ત્વની પેરન્ટિંગ ટિપ મળી

આલિયા ભટ્ટે આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ સાથે અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરી

હાલમાં આલિયા ભટ્ટે આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ સાથે પાલન-પોષણ, ઇન્ટરનેટ યુગ, ટ્રોલિંગ અને નિષ્ફળતાના ડર જેવા મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમ્યાન આલિયાએ પોતાની સાડાત્રણ વર્ષની દીકરી રાહા વિશે ચિંતા વ્યક્ત કરી અને પેરન્ટિંગ માટે માર્ગદર્શન માગ્યું.

ચર્ચા દરમ્યાન આલિયાએ સદ્ગુરુને પૂછ્યું કે જો કોઈ માતા-પિતાને સતત ચિંતા રહેતી હોય કે તેઓ સારાં માતા-પિતા છે કે નહીં તો તેમને શું સલાહ આપશો? આ પ્રશ્નના જવાબમાં સદ્ગુરુએ સ્પષ્ટ કહ્યું કે ચિંતિત માતા-પિતા સારાં માતા-પિતા નથી હોતાં.

આલિયાએ વાતચીત દરમ્યાન કહ્યું કે ‘મારી દીકરી હંમેશાં જીતવા માગે છે અને જો કોઈ બીજું પ્રથમ આવે તો તે કહે છે કે તેણે ચીટિંગ કરી છે. હું તેને સમજાવું છું કે આવું નથી. આમ તો દરેક વ્યક્તિને નિષ્ફળતાનો ડર હોય છે અને મને મારી દીકરીમાં પણ આ લક્ષણો દેખાઈ રહ્યાં છે. માતા બન્યા પછી મારી જિંદગીમાં ખુશી સાથે ચિંતા પણ આવી છે અને દરેક પળે વિચાર સતાવે છે કે શું હું સારી માતા છું?’

આ સાંભળીને સદ્ગુરુએ આ મુદ્દે સમજાવ્યું કે અતિશય ચિંતા કરવાથી બાળકને ફાયદો થતો નથી, પરંતુ અંતે નુકસાન થઈ શકે છે. તેમણે આલિયાને સલાહ પણ આપી કે તે પોતાની દીકરી પાસેથી જીવન જીવવાની રીત શીખે. 

alia bhatt sadhguru Raha Kapoor entertainment news bollywood bollywood news