12 September, 2022 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી ઝફર
અલી ઝફરે જણાવ્યું છે કે શાહરુખ ખાને તેની સાથે કામ ન કરવું જોઈએ કેમ કે એનાથી કેટલીક મુશ્કેલીઓ સરજાઈ શકે છે. અલી ઝફર નથી ઇચ્છતો કે શાહરુખ ખાન ક્યારેય તેની સાથે કામ કરે. અલી ઝફર અને શાહરુખ ખાન બન્નેએ ૨૦૧૬માં આવેલી ‘ડિયર ઝિંદગી’માં સાથે કામ કર્યું હતું, જેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં હતી. અલીને પૂછવામાં આવ્યું હતું કે શું તે શાહરુખ ખાન સાથે કામ કરવા માગે છે? ત્યારે તેણે સૂચવ્યું હતું કે તે અભિનેતા માટે ફાયદાકારક નહીં રહે. ફિલ્મ ‘તેરે બિન લાદેન’થી વર્ષ ૨૦૧૦માં બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અલી ઝફરે નવ ફિલ્મો કરી છે. ‘ડિયર ઝિંદગી’ તેની છેલ્લી બૉલીવુડ ફિલ્મ છે. ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં ઉરી હુમલા પછી પાકિસ્તાની કલાકરો પર કથિત રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે શું તે શાહરુખ ખાન સાથે કામ કરશે? તો એનો જવાબ આપતાં અલીએ કહ્યું કે ‘યાર અભી ફિલહાલ તો વો મેરે સે ના હી કોલૅબરેટ કરે. વહાં પે ઐસે હી મુશ્કિલેં બઢ જાતી હૈં.’
અલી ઇચ્છે છે કે શાહરુખ સાથે ભલે કામ ન કરવા મળે પરંતુ તેને શહનાઝ ગિલ સાથે કામ કરવું છે. અલીએ કહ્યું હતું, ‘શહનાઝ, જો તને રસ હોય તો મને મારા એક ગીતમાં તારી સાથે કામ કરવું ગમશે.’