અક્ષયકુમારે તડકે મૂકી દીધી એની ક્લીન ઇમેજ

08 November, 2012 08:26 AM IST  | 

અક્ષયકુમારે તડકે મૂકી દીધી એની ક્લીન ઇમેજ



બૉલીવુડમાં અક્ષયકુમારની ગણતરી ‘ક્લીન’ ઇમેજ ધરાવતા હીરો તરીકે થાય છે, પણ લાગે છે કે હવે તેણે પોતાની આ ઇમેજને સાઇડ પર મૂકી દેવાનો નિર્ણય કર્યો છે, કારણ કે નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે જાણીતા અક્ષયે તાજેતરમાં શરાબની કંપનીના માલિક વિજય માલ્યાના એક ઉત્પાદનને એન્ડોર્સ કરવાની હા પાડી દીધી છે. અક્ષયનો આ નિર્ણય બૉલીવુડમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ વિશે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘અક્ષયે હંમેશાં સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી નિયમોનું પાલન કર્યું છે. તે ક્યારેય પાર્ટીમાં જતો નથી અને નિયમિત એક્સરસાઇઝ કરે છે. જોકે હાલમાં તેણે કિંગફિશર કંપનીની પાણીની માટે ઍમ્બેસેડર બનવાની હા પાડી છે એની નવાઈ લાગે છે, કારણ કે આ કંપની આમ તો અક્ષય જેને હાથ પણ નથી લગાડતો એ શરાબનું ઉત્પાદન કરવા માટે જાણીતી છે.’

અક્ષયની આ ડીલ વિશે વાત કરતાં તેની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘અક્ષય આલ્કોહોલની કોઈ પ્રોડક્ટનું એન્ડોર્સમેન્ટ નથી કરવાનો અને તે માત્ર પૅકેજ્ડ પાણીની બૉટલોનો જ પ્રચાર કરશે. તે આ ઍડમાં બૉબી દેઓલને રિપ્લેસ કરશે અને તેને આના માટે સારી એવી રકમ મળી છે.’

જોકે અક્ષયના આ નિર્ણયની સમીક્ષા કરતા બૉલીવુડ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘જ્યારથી શરાબની જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારથી આલ્કોહોલનું ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓએ શરાબના બ્રૅન્ડનેમ હેઠળ જ નવી પ્રોડક્ટ બનાવીને એનો પ્રચાર કરવાનો વચગાળાનો રસ્તો અપનાવ્યો છે જેથી લોકોને એના મૂળ ઉત્પાદનનું નામ ભુલાઈ ન જાય. ભૂતકાળમાં શાહરુખ ખાન, સૈફ અલી ખાન અને અજય દેવગન પણ આ પ્રકારની જાહેરાતો કરી ચૂક્યા છે.’