17 February, 2021 08:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષયકુમાર અને માનુષી છિલ્લર
કોરોના વાઈરસ રોગચાળાને કારણે 2020માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની રફ્તાર ધીમી પડી ગઈ હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કરોડોનો ફટકો પડ્યો હતો. હવે 2021માં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી એકવાર પૂર્ણ જોરથી કમબેક કરવાની તૈયારી કરી રહી છે. આ જ ક્રમમાં ફિલ્મોની રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી રહી છે.
યશરાજ ફિલ્મે 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થનારી પોતાની ફિલ્મોની લિસ્ટ બહાર પાડી છે. ટ્વિટર પર શૅર કરવામાં આવેલી લિસ્ટના મુજબ સૌથી પહેલા 19 માર્ચે સંદીપ ઔર પિન્કી ફરાર થિયેટર્સમાં આવશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન દિબાકર બેનર્જીએ કર્યું છે.
23 એપ્રિલે બન્ટી ઔર બબલી 2 રિલીઝ થશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, રાની મુખર્જી અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય પાત્રોમાં જોવા મળશે. જ્યારે શરવરી આ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મનું નિર્દેશન વરૂણ વી શર્માએ કર્યું છે. ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપડા છે.
રણવીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્તની શમશેરા 25 જૂને રિલીઝ થશે. 2018માં આવેલી સંજય દત્તની બાયોપિક સંજૂ બાદ રણબીર આ ફિલ્મથી મોટા પડદા પર પરત ફરશે. ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યું છે. આ ફિલ્મના નિર્માતા આદિત્યા ચોપડાએ જ કર્યું છે.
27 ઑગસ્ટના રોજ રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદાર સિનેમાઘરોમાં પહોંચશે. દિવ્યાંગ ઠાકુર નિર્દેશિત ફિલ્મમાં રણવીર સાથે શાલિની પાંડેય, બમન ઈરાની અને રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ મનીષ શર્માએ કર્યું છે. રણવીરની 83 પણ આ વર્ષે રિલીઝ થવાની છે.
5 નવેમ્બરના રોજ દિવાળી પર પૃથ્વીરાજ આવશે. ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત પૃથ્વીરાજ આ વર્ષની બહુ રાહ જોવાઈ રહેલ ફિલ્મોમાં સામેલ છે. ફિલ્મમાં અક્ષય કુમાર ટાઈટલ રોલમાં જોવા મળશે. તેમ જ માનુષી છિલ્લર ફિલ્મમાં અભિનેત્રી તરીકે ડેબ્યૂ કરશે. સંજય દત્ત અને સોનુ સૂદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડાએ કર્યું છે. પૃથ્વીરાજ બૉક્સ ઑફિસ પર શાહિદ કપૂરની ફિલ્મ જર્સીનો સામનો કરશે. યશરાજ ફિલ્મની આ ઘોષણા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે બેનરની કોઈ ફિલ્મ ઓટીટી પ્લેટફૉર્મ પર નહીં આવે.