17 March, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
બૉલીવુડના ઘણા સ્ટાર્સને ફરિયાદ હોય છે કે ફોટોગ્રાફર્સ સતત તેમની પાછળ ફરતા હોવાને કારણે તેમની પ્રાઇવસી જોખમાય છે. જોકે આ મામલે અક્ષય કુમારે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને ફોટોગ્રાફર્સથી કોઈ વાંધો નથી અને હું એને સેલિબ્રિટી જીવનનો એક ભાગ માનું છું.
હાલમાં એક ઇવેન્ટ દરમ્યાન અક્ષયને તેની પ્રાઇવસી વિશે સવાલ કરવામાં આવ્યો હતો કે શું તમે જ્યારે પત્ની અને બાળકો સાથે બહાર હો ત્યારે દરેક જગ્યાએ ફોટોગ્રાફર્સ દ્વારા ફોટો ખેંચાતા હોવાથી તકલીફ થાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં અક્ષયે કહ્યું હતું કે એમાં મને કોઈ તકલીફ નથી.
અક્ષયે પોતાની વાત સમજાવતાં કહ્યું હતું કે ‘એક ફોટોગ્રાફરને કોઈ સેલિબ્રિટીની તસવીર માટે લગભગ ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા સુધી મળે છે. આવી સ્થિતિમાં જો મારી એક તસવીરથી કોઈનું ઘર ચાલે છે તો એમાં મને શું તકલીફ કે વાંધો હોય? જો કોઈ સેલિબ્રિટી પરિવાર સાથે પબ્લિક પ્લેસ પર બહાર જાય છે તો ત્યાં પ્રાઇવસીની વાત કરવાનું થોડું વિચિત્ર લાગે છે. જ્યારે તમે જાહેર સ્થળે હો ત્યારે લોકો તમને ઓળખશે અને ફોટો પણ લેશે. સાચી મુશ્કેલી તો ત્યારે થશે જ્યારે લોકો તમને ઓળખવાનું જ બંધ કરી દે અથવા કોઈ તમારી તસવીર લેવા ઇચ્છે જ નહીં. જો કોઈ અભિનેતાને જાહેર સ્થળે કોઈ ઓળખતું જ નથી તો એ સાચી ચિંતાની બાબત છે, કારણ કે સ્ટારડમની ઓળખ લોકોના ફીડબૅકથી મળે છે.’