29 July, 2020 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા બચ્ચન સાથે (ડાબે), ઐશ્વર્યા રાય બચ્ચને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીર (જમણે)
બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને તેમની આઠ વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)નો કોરોના (COVID-19) રિપોર્ટ નેગેટિવ આવતા ગત સોમવારે તેમને નાણાવટી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મા-દીકરીને 11 દિવસ પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે આવ્યા બાદ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફૅન્સનો આભાર માન્યો છે. તેણે કહ્યું હતું કે, હું હંમેશાં તમારી ઋણી રહીશ.
ઐશ્વર્યા રાય બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને લખ્યું છે કે, 'તમે ડાર્લિંગ એન્જલ આરાધ્યા, પા, એબી તથા મારા માટે ચિંતા વ્યક્ત કરી, શુભેચ્છા આપી તથા પ્રાર્થના કરી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રેમ માટે હંમેશાં તમારી ઋણી રહીશ. ભગવાન તમારું ભલું કરે અને તમે હંમેશાં ખુશ રહો તેવી મારી પ્રાર્થના. સારા રહો અને સ્વસ્થ રહો. લવ યુ ઓલ.'
જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે તેમને 17 જૂલાઈના નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બન્ને પહેલાથી જ કોરોના પૉઝિટીવ હતાં. પરંતુ બન્ને જુહુમાં આવેલા જલસા બંગલામાં હૉમ ક્વૉરન્ટાઇનમાં હતાં. પણ પછી ઐશ્વર્યાને તાવ આવ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ તેમજ કફ અને ઉધરસની સાથે સાથે ગળામાં થતાં દુઃખાવાને કારણે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.