07 July, 2026 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉથનો સુપરસ્ટાર મોહનલાલ
સાઉથના સુપરસ્ટાર મોહનલાલે કેરલમના વનવિભાગને જાણકારી આપી છે કે તેની પાસે કુલ ૧૦ હાથીદાંત અને એમાંથી બનેલી ૧૩ મૂર્તિઓ છે. મોહનલાલે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે તે હાલમાં વન્યજીવ સંબંધિત એક કેસમાં ગેરકાયદેસર રીતે ૪ હાથીદાંત રાખવાના આરોપ હેઠળ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.
મોહનલાલ દ્વારા આ માહિતી વન વિભાગની માફી યોજના હેઠળ આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત લોકો પોતાની પાસે રહેલી વન્યજીવ સંબંધિત વસ્તુઓની સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી શકે છે. આ યોજના અંતર્ગત મોહનલાલે અગાઉ પોતાની પાસે ૪ હાથીદાંત હોવાની માહિતી આપી હતી, જ્યારે હવે તેણે વધુ ૬ હાથીદાંત વિશે જાણકારી આપી છે. આ સિવાય તેણે જણાવ્યું કે હાથીદાંતમાંથી બનેલી મૂર્તિઓમાં ભગવાન કૃષ્ણ, ભગવાન રામ અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે અને આ તમામ મૂર્તિઓનું કુલ વજન અંદાજે ૪૬ કિલોગ્રામ છે.
મોહનલાલે દાવો કર્યો છે કે તેની પાસે રહેલા મોટા ભાગના હાથીદાંત તેને વારસામાં મળ્યા હતા અથવા ભેટસ્વરૂપે પ્રાપ્ત થયા હતા. આ મામલામાં અધિકારીઓએ જણાવ્યું કે વનવિભાગ આ હાથીદાંત અને એમાંથી બનેલી મૂર્તિઓની પ્રામાણિકતા ચકાસવા માટે DNA પરીક્ષણ કરશે.