લગ્નના ૧૮ વર્ષ બાદ છૂટા પડવાનો અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતનો નિર્ણય

18 January, 2022 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કપલે સોમવારે મોડી રાત્રે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી માહિતી, સમાચારથી ફેન્સ દુઃખી

ધનુષ અને ઐશ્વર્યા (ફાઇલ તસવીર : પલ્લવ પાલીવાલ)

છેલ્લા ઘણા સમયથી બૉલિવૂડ કપલ્સના છૂટાછેડા અને બ્રેકઅપના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે એન્ટરટેઇનમેન્ટ જગતમાંથી વધુ એક કપલે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તામિળ અભિનેતા ધનુષ (Dhanush) અને પત્ની ઐશ્વર્યા રજનીકાંત (Aishwaryaa Rajinikanth)એ લગ્નના ૧૮ વર્ષ બાદ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત કપલે સોમવારે મોડી રાત્રે પોત-પોતાના સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી.

ધનુષે શૅર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘અમે ૧૮ વર્ષ સાથે રહ્યાં. આટલા વર્ષોથી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાના વેલ-વિશર્સ રહ્યાં. આ સફર આગળ વધવાની, સમજવાની, એડજસ્ટ થવાની અને એકબીજા સાથે સુમેળમાં રહેવાની છે. આજે અમે એ જગ્યાએ ઉભા છીએ જ્યાંથી અમારા રસ્તાઓ અલગ પડે છે. ઐશ્વર્યા અને મે એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે અને અમારા સારા માટે અમે પોતાને સમજવા માંગીએ છીએ, જાતને સમજવા માટે એકલા સમય આપવા માંગીએ છીએ. પ્લીઝ, અમારા નિર્ણયનો આદર કરો અને તેની સાથે ડીલ કરવા માટે અમને જરૂરી પ્રાઇવસી આપો. ઓમ નમઃ શિવાય. - ધનુષ.’

આ સેમ નોટ ઐશ્વર્યા રજનીકાંતે પણ શૅર કરી છે અને સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘કોઇ કૅપ્શનની જરુર નથી. ફક્ત તમારી સમજણ અને પ્રેમની જરુર છે.’

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના લગ્ન વર્ષ ૨૦૦૪માં થયા હતા. ૧૮ નવેમ્બરના રોજ બન્નેના ધામધૂમથી લગ્ન થયા હતા. તેઓને બે દીકરા છે, યાત્રા રાજા અને લિંગા રાજા.

તમને જણાવી દઇએ કે, સુપરસ્ટાર રજનીકાંતની બે દીકરીઓ છે. ઐશ્વર્યા અને સૌંદર્યા. આ પહેલા સુપરસ્ટારની બીજી દીકરી સૌંદર્યા અને બિઝનેસમેન પતિ અશ્ચિનના વર્ષ ૨૦૧૭માં છૂટાછેડા થયા હતા. હવે આજે બીજી દીકરીના પણ છૂટાછેડા થઇ રહ્યાં છે.

entertainment news bollywood bollywood news bollywood gossips dhanush rajinikanth