હું ક્યારેય આરાધ્યાને નથી પૂછતો કે તેને મારું કામ ગમ્યું કે નહીં?

25 April, 2026 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિષેક બચ્ચને કહ્યું જો કદાચ મારી લાડલીને મારું કામ પસંદ ન પડ્યું હોય તો હું આ હકીકત સાંભળી નહીં શકું, બૉલીવુડના પાવર કપલ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને તાજેતરમાં પોતાના લગ્નજીવનની ૧૯મી વર્ષગાંઠ ઊજવી હતી.

હું ક્યારેય આરાધ્યાને નથી પૂછતો કે તેને મારું કામ ગમ્યું કે નહીં?

૨૦૦૦માં કરીના કપૂર સાથે ‘રેફ્યુજી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અભિષેક બચ્ચને પોતાની કરીઅરમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. અભિષેકે હાલમાં જણાવ્યું હતું કે મારા પિતા મને હંમશાં પ્રોત્સાહન આપે છે અને પત્ની મારી સૌથી મોટી ક્રિટિક છે, પણ હું ક્યારેય ૧૪ વર્ષની દીકરી આરાધ્યાને પૂછતો નથી કે તેને મારું કામ ગમ્યું છે કે નહીં?
પોતાના આ અભિગમ પાછળનું કારણ જણાવતાં અભિષેકે કહ્યું હતું કે ‘હું ક્યારેય આરાધ્યા પાસે મારી ફિલ્મ અંગે પ્રતિભાવ માગતો નથી. જો એક વાર તે એમ કહી દે કે તેને મારું કામ પસંદ આવ્યું નથી તો મારા કામ વિશેનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. કદાચ હું હજુ એટલો મજબૂત નથી કે તેની સચ્ચાઈ સાંભળી શકું. તેથી હું આ બાબત જાણવાને બદલે આ અનિશ્ચિતતામાં જ રહેવાનું પસંદ કરું છું.’

અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યાને ગણાવી સોલમેટ

જુનિયર બચ્ચને પછી હળવાશથી કહ્યું કે સફળ લગ્નજીવન માણવું હોય તો દરરોજ રાત્રે સૂતાં પહેલાં પત્નીને ત્રણ વખત ‘સૉરી’ જરૂર કહેવું જોઈએ

બૉલીવુડના પાવર કપલ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને તાજેતરમાં પોતાના લગ્નજીવનની ૧૯મી વર્ષગાંઠ ઊજવી હતી. આ ખાસ પ્રસંગે બન્નેએ દીકરી આરાધ્યા સાથેની એક સુંદર તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આ પ્રસંગે અભિષેકે પોતાના લગ્નજીવન વિશે વાત કરી હતી અને સુખી લગ્નજીવનનું રહસ્ય ખોલ્યું હતું તેમ જ પત્ની ઐશ્વર્યાને પોતાની ‘સોલમેટ’ ગણાવી હતી.
અભિષેકે જણાવ્યું હતું કે તેની અને ઐશ્વર્યાની પ્રથમ મુલાકાત ૨૦૦૦ની ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ના શૂટિંગ દરમ્યાન થઈ હતી. જોકે એ સમયે તેને લાગ્યું નહોતું કે ઐશ્વર્યા તેની જીવનસાથી બનશે. જોકે અભિષેકે પછી સ્પષ્ટતા કરી હતી કે ‘ઉમરાવ જાન’ના સેટ પર તેની અને ઐશ્વર્યા વચ્ચે નિકટતા વધી અને ‘ગુરુ’ રિલીઝ થઈ એના પછી થોડા મહિનામાં જ બન્નેએ લગ્ન કરી લીધાં. 
અભિષેકે પત્ની ઐશ્વર્યા સાથેના સંબંધો વિશે જણાવતાં કહ્યું હતું કે ‘ઐશ્વર્યા માત્ર અમારી દીકરીની માતા જ નથી, પરંતુ મારી જીવનસાથી અને સૌથી નજીકની મિત્ર પણ છે. મારું ૧૯ વર્ષનું લગ્નજીવન એક સપના જેવું રહ્યું છે. જોકે સફળ લગ્નજીવન માણવું હોય તો દરરોજ રાત્રે સૂતાં પહેલાં પત્નીને ત્રણ વખત ‘સૉરી’ જરૂર કહેવું જોઈએ.’

aishwarya rai bachchan abhishek bachchan aaradhya bachchan bollywood buzz bollywood news bollywood gossips entertainment news bollywood