06 November, 2012 07:50 AM IST |
મોટા ભાગના કલાકારો તેમના શૂટિંગ-શેડ્યુલ વખતે તેમના ચાહકો કે પછી સામાન્ય જનતા સાથે વાતચીત કરવાનું પસંદ નથી કરતા, પણ આમિર ખાન આવા ટિપિકલ કલાકારો કરતાં સાવ અલગ છે. હાલમાં આમિરે ડિરેક્ટર રીમા કાગતીની ‘તલાશ’ના ઝૂંપડપટ્ટી વિસ્તારના શૂટિંગ વખતે પોતાના ઉમદા સ્વભાવનો પરિચય આપ્યો હતો. આ શૂટિંગ-શેડ્યુલ વખતે તેણે મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં આવેલી આ ઝૂંપડપટ્ટીમાં કેટલાંક ઘરોમાં જઈને ત્યાંના રહેવાસીઓ સાથે ચા અને નાસ્તો કર્યા હતાં.
આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે કે ‘આમિર મુંબઈ સેન્ટ્રલના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે એમાં રહેતા અનેક લોકો શૂટિંગ જોવા આવતા હતા અને પછી આમિરને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપતા હતા. આમિરે તેમની લાગણીને માન આપીને કેટલાક લોકોનાં ઘરોની મુલાકાત પણ લીધી હતી અને પછી તેમની સાથે ચા, બિસ્કિટ અને કાંદા પોહાનો નાસ્તો કરીને ગપસપ પણ કરી હતી. હકીકતમાં આ ફિલ્મનું શૂટિંગ સળંગ કેટલીક રાતો સુધી ચાલ્યું હતું જેના કારણે સ્થાનિકોને પણ સમસ્યા પડી હતી. જોકે તેમણે આના કારણે શૂટિંગમાં કોઈ અંતરાય ઊભો ન કર્યો હોવાના કારણે આમિરે તેમની વ્યક્તિગત મુલાકાત લઈને તેમનો આભાર માન્યો હતો. જો આ શેડ્યુલમાં અમને સ્થાનિકોનો સહકાર ન મળ્યો હોત તો આટલા લાંબા સમય સુધી શૂટિંગ કરવાનું શક્ય ન હોત.’