07 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાન હાલમાં તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ને લઈને ચર્ચામાં છે, પણ આ ફિલ્મ પછી પણ તે બહુ રસપ્રદ પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. આ ફિલ્મ પછી આમિર ડિરેક્ટર રાજકુમાર હીરાણીની દાદાસાહેબ ફાળકેની બાયોપિકમાં કામ કરશે. રિપોર્ટ પ્રમાણે દાદાસાહેબ ફાળકેની બાયોપિક પછી આમિર ૨૦૨૬માં સાઉથના ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને આ ફિલ્મ સુપરહીરો પર આધારિત હશે. આમ ૬૦ વર્ષનો થયેલો આમિર કરીઅરમાં પહેલી વખત સુપરહીરોની ભૂમિકા ભજવશે.
આ ફિલ્મમાં લોકેશ અને આમિરની જોડી પહેલી વાર એકસાથે કામ કરવાની છે અને આમિરે પોતે જણાવ્યું છે કે એનું શૂટિંગ ૨૦૨૬ના મધ્યમાં શરૂ થશે.
લોકેશ કનગરાજ ‘કૈથી’, ‘માસ્ટર’ અને તાજેતરમાં આવેલી ‘લિયો’ જેવી થ્રિલર ફિલ્મો માટે જાણીતો છે. લોકેશ કનગરાજ સાથેની આમિરની ફિલ્મની વાર્તાને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ચર્ચા છે કે આ ફિલ્મ સુપરહીરો થીમ પર આધારિત હોઈ શકે છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટા પાયે રિલીઝ કરવામાં આવશે.