11 March, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાનની ફાઇલ તસવીર
સની દેઓલના ફૅન્સ ‘બૉર્ડર 2’ પછી તેની આગામી ફિલ્મ ‘લાહોર 1947’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે અને એ આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બની રહી છે. હાલમાં ચર્ચા હતી કે આ ફિલ્મનું નામ બદલાવીને ‘બટવારા 1947’ રાખવામાં આવ્યું છે. જોકે પ્રોડ્યુસર આમિર ખાને આ વાતને અફવા ગણાવીને સ્પષ્ટતા કરી છે કે તે પોતાની ફિલ્મનું નામ ‘લાહોર 1947’ જ રાખવા ઇચ્છે છે.
હાલમાં આમિરને ફિલ્મ ‘લાહોર 1947’ના ટાઇટલમાં થયેલા ફેરફાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘આ તમે ક્યાંથી સાંભળ્યું? અમારી ફિલ્મનું ટાઇટલ બદલાયું નથી. હજી પણ એનું નામ ‘લાહોર 1947’ જ છે અને હું એ જ રાખવા માગું છું.’
‘લાહોર 1947’ જાણીતા નાટ્યકાર અસગર વજાહતના પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહૌર નઇ દેખ્યા ઓ જમ્યાઇ નઇ’ પરથી પ્રેરિત છે. આ ફિલ્મની વાર્તા ૧૯૪૭ના ભારત-વિભાજનના સમયની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મની વાર્તા એક વૃદ્ધ હિન્દુ મહિલા ‘માઈ’ની આસપાસ ફરે છે જે વિભાજન પછી પણ પાકિસ્તાનના લાહોરમાં જ રહેવાનું નક્કી કરે છે. ‘લાહોર 1947’ ૧૩ ઑગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.