24 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ને કારણે ચર્ચામાં છે ત્યારે તેણે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે કમર કસી છે. આમિર લાંબા સમયથી મહાકાવ્ય ‘મહાભારત’ બનાવવાના પ્લાનિંગમાં છે અને હવે તેણે એના માટેના પ્રયાસ સઘન બનાવી દીધા છે. આમિર આ ફિલ્મમાં નિર્માતા તરીકેની જવાબદારી નિભાવશે.
‘મહાભારત’ વિશે વાત કરતાં આમિરે કહ્યું કે ‘આશા છે કે હું આ વર્ષે આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરી શકીશ. આ પ્રોજેક્ટ એક મલ્ટિ ફિલ્મ પ્રોજેક્ટ હશે. આમાં જોકે થોડો સમય લાગશે, કારણ કે એના સ્ક્રિપ્ટિંગમાં પણ થોડાં વર્ષ લાગશે. હું આ ફિલ્મમાં કામ કરીશ કે નહીં એ આ તબક્કે હજી નક્કી નથી. મહાભારતના વિશાળ કૅન્વસને જોઈને મને એવું લાગે છે કે એને એક ફિલ્મમાં દર્શાવવું શક્ય નથી. આ પ્રોજેક્ટને અનેક પાર્ટમાં બનાવવામાં આવશે અને તમામ ભાગને એક સમયે સારો ન્યાય આપવા માટે શક્ય છે કે એમાં એક કરતાં વધારે ડિરેક્ટર્સની મદદ લેવામાં આવે.’
આમિર લાંબા સમયથી આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લૉપ જતાં એવા સમાચાર આવ્યા હતા કે આમિરે હવે મહાભારત પરથી ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો છે, પણ તેણે સ્પષ્ટતા કરી છે કે તે હજી પણ આ પ્રોજેક્ટ માટે વિચારી રહ્યો છે.