ટૅલન્ટ હશે તો આજે નહીં કાલે લોકો સુધી પહોંચશો જરૂર: નવાઝુદ્દીન

02 May, 2019 11:54 AM IST  |  મુંબઈ

ટૅલન્ટ હશે તો આજે નહીં કાલે લોકો સુધી પહોંચશો જરૂર: નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકી મંગળવારે બાંદરામાં આવેલી એક હોટેલમાં યોજાયેલી ‘ધ સ્ટ્રેન્જર ઇન મી’ બુક-લૉન્ચ ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. તે લેખિકાઓ નીતા શાહ અને અદિતિ મેદિરાતા સાથે જોવા મળ્યો હતો. તસવીર : અુતલ કાંબળે

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિ એવું કહે કે તેમને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે તો એ ખોટું છે. કંગના રનોટ દ્વારા બૉલીવુડમાં સગાવાદને લઈને ડિબેટ શરૂ કરવામાં આવી હતી. કંગનાએ કહ્યું હતું કે સ્ટાર કિડ્સને ઇન્ડસ્ટ્રીમાં અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ ચર્ચા ત્યારથી લઈને હજી પણ એટલી જ જોરશોરમાં ચાલી રહી છે. બૉલીવુડની બહારની વ્યક્તિ માટે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું મુશ્કેલ છે કે નહીં એ વિશે પૂછતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘આ ઇન્ડસ્ટ્રી વિશે સારી વાત એ છે કે જો તમારી પાસે ટૅલન્ટ હોય તો એ આજે કે આવતી કાલે લોકો સુધી પહોંચીને રહે છે. રસ્તા પર ચાલતી કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે તેમને કામ નથી મળી રહ્યું. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં વાર લાગે છે. જો તમારી પાસે ટૅલન્ટ હોય તો તમને કોઈ અટકાવી નથી શકતું.’

નવાઝુદ્દીનનું માનવું છે કે આજે ઍક્ટર બનવા માગતી વ્યક્તિ પાસે કામ કરવા માટે ઘણાં પ્લૅટફૉર્મ છે. આ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘અમે એમ નહીં કહી શકીએ કે અમને સાવકા જેવી ટ્રીટમેન્ટ મળી રહી છે અને કામ પણ નથી મળી રહ્યું. આવું કંઈ જ નથી. આજે વેબ-સિરીઝ અને ફિલ્મોમાં ઘણા નવા ઍક્ટર્સ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમની પાસે ટૅલન્ટ છે.

તમારી પાસે ટૅલન્ટ હશે તો તમને કામ જરૂર મળશે.’

આ પણ વાંચો : તે એક બાળક છે, હું તેના વિશે ખરાબ ક્યારેય નહીં બોલું: મહેશ ભટ્ટ

ક્રિશ ૪માં કામ નથી કરી રહ્યો નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તે ‘ક્રિશ ૪’માં કામ નથી કરી રહ્યો. હૃતિક રોશનની ‘ક્રિશ’ સિરીઝના ચોથા પાર્ટની તૈયારીઓ ચાલી રહી છે. આ ફિલ્મમાં વિલનના રોલ માટે નવાઝુદ્દીનને ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ વિશે પૂછતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું આ પહેલી વાર સાંભળી રહ્યો છું અને એ પણ મીડિયા પાસેથી. આ એક અફવા છે, એમાં કોઈ તથ્ય નથી.’

nawazuddin siddiqui bollywood news