મને નિષ્ફળ જોવા માટે ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે : કંગના રનોટ

23 January, 2019 11:43 AM IST  | 

મને નિષ્ફળ જોવા માટે ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે : કંગના રનોટ

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો એવા છે જે તેના નિષ્ફળ જવાની રાહ જોઈ રહ્યા છે. કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ‘ક્વીન’ બાદ કંગનાને ઘણું સ્ટારડમ મળ્યું હતું અને તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. જોકે આ ફિલ્મ બાદ તેણે એક જ હિટ ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટન્ર્સ’ અને આ સાથે જ અન્ય છ નિષ્ફળ ફિલ્મો આપી હતી. કંગના તેની ફિલ્મો કરતાં તેની પર્સનલ લાઇïફને લઈને ખૂબ જ કન્ટ્રોવર્સીમાં રહે છે. આ વિશે વધુ જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને ખબર છે કે કેટલાક લોકો મારા નિષ્ફળ જવાની રાહ જોઈને બેઠા હોય છે. આ લોકો પોતાની જાતને એ સાબિત કરવા માગે છે કે હું કંઈ નથી. આનાથી તેમને ખૂબ જ સારું લાગે છે. મારી નિષ્ફળતા તેમના માટે ખૂબ જ મહત્વની છે.’

તેને ખબર છે કે કેટલાક લોકો તેની વિરુદ્ધ છે, પરંતુ તે તેનો દૃષ્ટિકોણ બદલવા નથી માગતી. આ વિશે વધુ જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને ખબર છે કે કેટલાક લોકો મારી વિરુદ્ધ છે, પરંતુ એમ છતાં હું તેમના જેવી નથી બની શકતી. હું તેમની ટીકાઓને સમજી શકું છું, પરંતુ હું તેમના જેવી નથી બની શકતી. અંગત રીતે કહું તો હું કોઈના પણ નિષ્ફળ થવાની રાહ નથી જોતી. મારી અંદર એક પૉઝિટિવિટી રહેલી છે. મારા વિશે કોણ શું વિચારે છે એના પર ધ્યાન આપવા કરતાં હું દરેકનાં તેમના કામ અનુસાર વખાણ કરું છું. હું કોઈ બહુમુખી માણસ નથી. લોકો શું વિચારે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો.’

‘મણિકર્ણિકા’માં કંગના ખાદીમાં જોવા મળશે

કંગના રનોટ તેની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’માં ખાદીમાં જોવા મળશે. ૧૯૨૬માં ગાંધીજીએ ખાદી પહેરવા માટે અભિયાન છેડ્યું હતું. જોકે ગાંધીજીએ જંગ છેડ્યો એ પહેલાં જ મણિકર્ણિકાનો જન્મ થઈ ચૂક્યો હતો અને તેણે વેદ અને પુરાણનો અભ્યાસ કરવાની સાથે જ ઘોડેસવારી અને તલવારબાજી પણ કરતાં શીખી હતી. આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઈની બાયોપિક છે અને તેમણે પણ પોતાના દેશ માટે કુરબાની આપી હતી. આથી ફિલ્મમાં કંગના ખાદીનાં કપડાંમાં જોવા મળશે.