29 November, 2013 06:33 AM IST |
યશરાજ ફિલ્મ્સમાં બની રહેલી રાની મુખરજીની ફિલ્મ ‘મર્દાની’નું શૂટિંગ ત્રીજી જાન્યુઆરીથી શરૂ થવાનું છે. શૂટિંગનું પહેલું શેડ્યુલ દિલ્હીમાં છે જેમાં એકધારું ૬૫ દિવસ શૂટિંગ ચાલશે. ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બૅનરમાં બને છે એટલે સ્વાભાવિક રીતે આદિત્ય પોતે અંગતપણે આ શૂટિંગ-શેડ્યુલ પર નજર રાખી રહ્યો છે અને તૈયારીઓ બધી બરાબર ચાલે છે કે નહીં એની કાળજી રાખે છે. ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકારની આ ફિલ્મ બંગાળી લેખક બંકિમચંદ્ર ચૅટરજીની નૉવેલ ‘દેવી ચૌધરાની’ પર આધારિત છે.
ફિલ્મની સ્ક્રિપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો હતો, પણ આદિત્ય ચોપડાને એ ડ્રાફ્ટમાં મજા નહોતી આવી એટલે તેણે ડિરેક્ટરને એમાં ફરી ચેન્જ સુઝાડ્યા. એ ચેન્જ કર્યા પછી જે ફાઇનલ રિઝલ્ટ આવ્યું અને ફિલ્મનું શૂટિંગ-શેડ્યુલ ફાઇનલ કરવામાં આવ્યું. જોકે એક વાત એવી પણ હતી કે રાની મુખરજીને વધુ ટ્રેઇનિંગની જરૂર હોવાથી ફિલ્મનું શૂટિંગ-શેડ્યુલ ચેન્જ કરવામાં આવ્યું હતું.
ફિલ્મ ‘મર્દાની’માં રાની મુખરજી એક પોલીસ-ઑફિસરનો રોલ કરે છે અને સલમાન ખાન પણ આ ફિલ્મમાં નાનકડો રોલ કરે એવી પૂરી શક્યતા છે. બે દશકાની કરીઅર ધરાવતી રાની મુખરજી હંમેશાં ઇચ્છતી હતી કે તેની કરીઅર દરમ્યાન તેને એક વાર પોલીસ-ઑફિસરનો રોલ કરવા મળે. ફિલ્મ ‘મર્દાની’ સાથે તેની આ ઇચ્છા પૂરી થઈ રહી છે. પોલીસ-ઑફિસર ફિઝિકલી ફિટ હોય એ સ્વાભાવિક છે. રાની મુખરજીએ પણ રોલ માટે પૂરતી તૈયારીઓ કરી છે અને તેર કિલો જેટલું વજન પણ ઘટાડ્યું છે. ‘મર્દાની’ આવતા વર્ષે ૧૮ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે.
- અસિરા તરન્નુમ