તમે, તમારી આજ અને તમારી આવતી કાલ : આજ જવાની પર ઇતરાનેવાલે કલ પછતાએગા

15 March, 2021 11:12 AM IST  |  Mumbai | Manoj Joshi

તમે, તમારી આજ અને તમારી આવતી કાલ : આજ જવાની પર ઇતરાનેવાલે કલ પછતાએગા

તમે, તમારી આજ અને તમારી આવતી કાલ : આજ જવાની પર ઇતરાનેવાલે કલ પછતાએગા

લાલુપ્રસાદ યાદવ યાદ છે?
ભ્રષ્ટાચારને યાદ કરો કે સૌથી પહેલો જેનો ચહેરો યાદ આવે એ લાલુપ્રસાદ. જરા વિચાર કરો કે ૧૯૯૦થી ૧૯૯૭ના સમયગાળામાં જે માણસે બિહારના મુખ્ય પ્રધાન તરીકે એકચક્રી શાસન ભોગવ્યું, ૨૦૦૪થી ૨૦૦૯ વચ્ચે જેણે કેન્દ્રમાં રેલવે વિભાગની મિનિસ્ટ્રી ભોગવી અને બધી પ્રકારની રાજાશાહીનો આસ્વાદ માણ્યો એ માણસ આજે ક્યાં છે!
હમણાં લાલુભાઈ ફરી ન્યુઝમાં છે. હાઈ કોર્ટે તેમની અરેસ્ટ અટકાવી દીધી છે અને એ પણ અનિર્ણાયક સમય માટે. કહો કે હવે લાંબો સમય બહાર રહી શકશે, પણ તેઓ રહેશે એવી રીતે જાણે કૅન્સર થયું હોય, એવો સિંહ કે પછી કોવિડ થયેલા વાઘની જેમ. પોતાની જાતને બચાવવા લાલુ હવાતિયાં મારશે અને આમાં કોઈ નવી કે મોટી વાત નથી. લાલુ જેવી સ્થિતિ ઘણા લોકોની થઈ છે અને થતી રહેવાની છે. આ તો રાજનીતિ છે, પરંતુ જીવનનીતિ હોય, વ્યવસાયનીતિ હોય કે પછી સંબંધનીતિ હોય. યાદ રાખજો કે જીવનમાં ઉતાર-ચડાવ સતત આવતા રહેવાના, કારણ કે એ જ સમયનો સ્વભાવ છે. સમય બદલાય છે અને બદલાતો રહેવાનો. સારો કે ખરાબ, એ બદલાશે જ. સારા સમયમાં કરેલાં સારાં કામ ખરાબ સમયમાં કામ લાગશે અને સારા સમયમાં કરેલાં ખરાબ કર્મો ખરાબ સમયમાં વધુ બદતર હાલત કરશે. નિર્ણય તમારો કે તમારે આજ સાથે શું કરવું છે.
મિયાં અઝીઝની એક કવ્વાલીના શબ્દો અત્યારે યાદ આવે છે...
આજ જવાની પર ઇતરાનેવાલે કલ પછતાયેગા,
ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા...
સૂરજ ઢળે એ સહજ છે. ક્રમ છે, પ્રકૃતિનો અને આપણા જીવનનો, પણ હવે નક્કી તમારે કરવાનું છે કે એને કઈ અવસ્થામાં તમારે ઢળવા દેવો છે. ઢળતો સૂરજ પણ સમી સાંજ બનીને ઉત્સવનું રૂપ લઈ શકે છે અને ઢળતો સૂરજ તમારી નિષ્ફળતાઓનું અને નાલેશીનું નજરાણું બનીને તમને વેરણછેરણ કરી શકે છે. ગમે એટલો મોટો રાજા હોય કે મહાન પંડિત હોય. આ હકીકત બધાને લાગુ પડે છે કે એકેય સમય સરખો રહેતો નથી. હવે નિર્ણય તમારો, વ્યવહાર તમારો અને પરિણામ પણ તમારું. તમારી આજની વર્તણૂક આવતી કાલ પર ઓછાયો બનીને મંડરાશે. એક વાત ખાસ કહીશ કે જે પોતાના અનુભવ પરથી શીખ્યો છે કે સમય બદલાય છે પરંતુ જે-તે સમયમાં તમે લીધેલા નિર્ણયોની તમારા આવનારા સમય પર ખૂબ ઘેરી અસર રહે છે, પણ એ પહેલાં યાદ રાખવું કે આવનારા સમયનો આધાર તમારી આજ પર, આજનાં કાર્ય અને નિર્ણયો પર અવલંબિત છે. એટલે જ કહેવાનું મન થાય છે કે જાત સાથે પ્રામાણિક રહીને તમારી આજને જીવો. આજે કદાચ તમારો નબળો સમય ચાલતો હોય તો પણ ગભરાયા વિના આ સમયમાં યોગ્ય નિર્ણય લેવાનું ચુકાય નહીં એટલી સજાગતા કેળવશો તો જ્યારે આ સમય બદલાશે ત્યારે આવનારા સમયને બહેતર બનાવવામાં સરળતા રહેશે.

manoj joshi columnists