યોગ્ય સમયે બચાવવામાં આવેલું ધન અયોગ્ય સમયે લક્ષ્મી બનીને મદદ કરે છે

27 September, 2020 04:16 PM IST  |  Mumbai | Manoj Joshi

યોગ્ય સમયે બચાવવામાં આવેલું ધન અયોગ્ય સમયે લક્ષ્મી બનીને મદદ કરે છે

પ્રતિકાત્મક તસવીર

આપણે ત્યાં બે પ્રકારના લોકો છે. એક તો એવા કે જે પોતે બેફામ પૈસા કમાય છે અને કમાયેલા એ પૈસાનો બેફામ ગેરઉપયોગ કરે છે. બીજા એવા લોકો છે જે પોતે અઢળક ધન કમાય છે અને પછી એ ધનનો દુરુપયોગ કરવા માટે પોતાનાં સંતાનોને આપે છે. આ બન્ને પ્રકારના લોકોમાંથી બીજી કૅટેગરીના જે લોકો છે તે લોકોની આજે વાત કરવી છે.

કરકસર જરાય ખરાબ નથી, કંજૂસાઈ ખરાબ છે. જ્યાં એક રૂપિયો વાપરવાની જરૂર હોય ત્યાં બે રૂપિયા વાપરવા એ ઊડાઉગીરી છે અને જ્યાં એક રૂપિયો વાપરવો જરૂરી છે ત્યાં પણ પચાસ પૈસા વાપરવા માટે અમૂલ્ય અને ક્યારેય પાછો ન આવતો સમય ખર્ચી નાખવો એ કંજૂસાઈ છે. કરકસર આ બન્નેની વચ્ચે ક્યાંક આવે છે, એવું મને લાગે છે. ચાણક્યની એક વાત અત્યારે યાદ આવે છે. ચાણક્યની એક વાત અત્યારે યાદ કરાવવી છે. ચાણક્ય કહેતા, યોગ્ય સમયે બચાવવામાં આવેલું ધન અયોગ્ય સમયે લક્ષ્મી બનીને મદદ કરે છે.

વાત ખૂબ જ સુંદર અને જીવનમાં ઉતારવાલાયક છે, પણ એક હકીકત એ પણ છે કે આપણે સૌ આ બધી સારી લાગતી અને સાચી લાગતી વાતો વાંચીને ખુશ માત્ર થઈએ છીએ, પણ એનો જીવનમાં અમલ કરવાનું યાદ નથી રાખતા. અયોગ્ય રીતે પૈસાનો વેડફાટ કરવો મને ત્યારે પણ નહોતું ગમતું જ્યારે કરીઅરની શરૂઆત હતી અને સ્ટ્રગલ ચાલી રહી હતી. આજે પણ અયોગ્ય રીતે પૈસા ખર્ચવાની વાત મને બિલકુલ નથી ગમતી. જો વસ્તુ બગડી હોય તો એના વિના ચલાવવાની આદત પાડવાનું પણ હું મારાં બાળકોને શીખવું છું અને વસ્તુ બગડી હોય તો એ જ વસ્તુ ખરીદવા માટે કેવી રીતે બચત કરવી જોઈએ એ પણ હું શીખવતા ખચકાતો નથી, કારણ કે મારે મારાં બાળકોને માત્ર ધનનો વારસો નથી આપવો, પણ સંસ્કારનો પણ વારસો આપતા જવું છે અને એ વારસો બહુ જરૂરી છે. કરકસર કરવી, ઓછી જરૂરિયાત સાથે શ્રેષ્ઠ રીતે જીવવાની આવડત કેળવવી, અનિવાર્ય સંજોગો વિના જરૂરિયાતો મોટી ન કરવી અને એવી બીજી જે કોઈ સારી આદતો છે એ આદત આજકાલ પૅરન્ટ્સ બાળકોમાં રોપવાનું ભૂલી ગયા છે. ફૅમિલી હવે નાની થઈ ગઈ છે એટલે મોટા ભાગના કિસ્સામાં એક જ બાળક હોય છે. એક જ બાળક હોય એટલે તે વહાલું નહીં, વધારેપડતું વહાલું હોવાનું એ પણ એટલું જ સાચું છે, પણ મારું કહેવું એ છે કે જ્યારે એક જ બાળક હોય ત્યારે તમારી જવાબદારીમાં ઉમેરો થઈ જાય છે. મને લાગે છે કે સંતાનો માટે કોઈ પારકી મા આવીને તેના કાન વિંધે એના કરતાં તો બહેતર છે કે કાન વિંધવાનું કામ આપણે જ કરવું જોઈએ. પારકી મા કાન ન વીંધે ત્યારે દુખે નહીં એની કાળજી ન રાખે એવું બની શકે અને જો એવું બનશે તો તમારું જ બાળક દુખી થશે. કરકસર શીખવવી પડે અને અત્યારના સમયમાં તો ખાસ શીખવવી પડે. લૉકડાઉન વચ્ચે ઓછામાં ઓછી જરૂરિયાત સાથે જીવતાં અને રહેતાં તેમને આવડી ગયું છે. જો આ સમયે તેમને સાચી દિશાએ વાળી દેવામાં આવશે તો એનો લાભ તમને જ થવાનો છે.

columnists manoj joshi