27 October, 2019 04:10 PM IST | મુંબઈ | તમંચા - વિવેક અગરવાલ
પ્રતીકાત્મક તસવીર
નીલેશ કોકમ ડી-કંપનીનો અત્યંત તેજ-તર્રાર શૂટર હતો.
ડી-કંપનીમાં ૧૯૯૨ પછી આવેલી પરિવર્તનની લહેરમાં તે પણ હિન્દુમાંથી મુસ્લિમ બની ગયો હતો.
ગુના શાખાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે ડી-કંપનીએ સ્વામીભક્તિ દર્શાવવા માટે વિરોધી કે શિકાર પર ગોળીબાર કરવાને બદલે, કોઈ બાતમીદાર કે બળવાખોર સભ્યને મારી નાખવાને બદલે ધર્મપરિવર્તન કરવાનું શરૂ કરી દીધું. ખાસ કરીને શકીલ-ગૅન્ગમાં આ પરંપરા શરૂ થઈ.
એક પોલીસ અધિકારી જણાવે છે કે એ પાક્કું છે કે નીલેશ જન્મથી હિન્દુ હતો. ડી-કંપનીમાં જ તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હશે એને કારણે તેને ઘણી વખત સુવિધા રહેતી હશે. તે બેવડી ઓળખ સાથે જીવી શકતો હતો. જરૂરપડ્યે હિન્દુ કે મુસ્લિમ કશું પણ બની શકતો. ઘણી વખત તો તે અમને પણ હાથતાળી આપી ચૂક્યો છે. એ દિવસે તે ખુદ ઘટનાસ્થળે ન પહોંચ્યો, જ્યારે તેના ત્રણ સાથીઓને અમે એન્કાઉન્ટરમાં માર્યા.
સૂત્રોએ જણાવ્યા અનુસાર શકીલ-ગૅન્ગમાં ત્યારે સારા પૈસા, સુવિધાઓ અને મોટાં કામ ફક્ત મુસ્લિમ સભ્યોને જ આપવામાં આવતાં. હિન્દુ ગુંડા સાથે તો હોય, પણ નાના દરજ્જા પર. તેમની સ્વામીભક્તિ વિશે પણ શંકા સેવવામાં આવતી. મહત્વની વાતો તેમને જણાવવામાં ન આવતી. મોટાં કામ સોંપવામાં ન આવતાં. કંપનીમાં શૂટર કે પ્લાનર બનવા માટે મુસ્લિમ હોવું જરૂરી હતું.
નીલેશના ધર્મપરિવર્તનથી તેનો આખો પરિવાર નારાજ હતો. અથડામણમાં મોત નીપજ્યા પછી તેની માતાએ પુત્રનો મૃતદેહ લેવાનો ઇનકાર કરી દીધો. તેની સાથે મૃત્યુ પામેલા મસ્તાનની બહેને બન્ને શબ લીધાં અને એકસાથે બન્નેને દફનાવ્યા. નીલેશે બેવડી સજા ભોગવવી પડી. એક તો મુંબઈ પોલીસે અથડામણમાં માર્યો અને બીજું છેલ્લા સમયે માના હાથે અંતિમ સંસ્કાર પણ ન પામ્યો. આમ તો દીકરા જ માતા-પિતાના અંતિમ સંસ્કાર કરે છે, પણ નાલાયક દીકરાનાં કરતૂતોથી મા નારાજ હોય તો આનાથી વધુ મોટી સજા બીજી કઈ હોઈ શકે?
ગુના શાખાના એ અધિકારી આ કિસ્સો જણાવીને દુખી સ્વરે બોલ્યા,
માનું દિલ દૂભવ્યું સાલાએ, નરકમાં પણ જગ્યા નહીં મળે તેને તો.