વિષયવાસના સામેનો સંઘર્ષ જીવનમાં સૌથી કપરો સંઘર્ષ

30 December, 2018 01:23 PM IST  |  | ચીમનલાલ કલાધર

વિષયવાસના સામેનો સંઘર્ષ જીવનમાં સૌથી કપરો સંઘર્ષ

જૈન દર્શન 

‘શ્રી સ્થાનાંગ સૂત્ર’માં જણાવ્યું છે કે ‘બ્રહ્મ ચ કુશલાનુષ્ઠાનં, તચ્ચ તચ્ચર્યં ચાઽઽસેવ્યમિતિ બ્રહ્મચર્યમ - બ્રહ્મ એટલે કુશળ અનુષ્ઠાન, એ અને એનું સેવન કરવું એ બ્રહ્મચર્ય, તાત્પર્ય કે આત્માનું હિત કરનારી જે ક્રિયા હોય એ બ્રહ્મચર્ય કહેવાય છે. ‘યોગશાસ્ત્ર’ના પ્રથમ પ્રકાશમાં હેમચંદ્રાચાર્યે સ્પષ્ટ કહ્યું છે:

દિવ્યોદારિકકામાનાં, કૃતાનુમતિ કારિતૈ:

મનોવાક્કાયતસ્ત્યાગો, બ્રહ્માષ્ટાદશધા મતમ

અર્થાત્ દિવ્ય ઔદારિક કામો મનથી, વચનથી અને કાયાથી કરવાનો, કરાવવાનો અને અનુમોદવાનો ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય છે જે અઢાર પ્રકારનું મનાયેલું છે. ‘શ્રી પ્રfન વ્યાકરણ સૂત્ર’માં જણાવવામાં આવ્યું છે કે ‘સ ઇસી સ મુણી સ સંજએ સ એવ ભિક્ખુ જો સુદ્ધં ચરતિ બંભચેર’. અર્થાત તે જ ઋષિ છે, તે જ મુનિ છે, તે જ સંયમી છે, તે જ ભિક્ષુ છે જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. કહેવાનો અર્થ એ કે જ્યાં શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન નથી ત્યાં નથી ઋષિપણું, નથી મુનિપણું, નથી ભિક્ષુપણું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રતિપાદન કરતાં કહે છે:

મંત્ર ફળે, જગ જશ વધે, દેવ કરે રે સાãન્નધ

બ્રહ્મચર્ય નર જે ધરે, તે પામે નવનિધ

જે મનુષ્ય બ્રહ્મચર્યને ધારણ કરે છે તેને જ મંત્રજપનું ફળ મળે છે. તેનો આ જગમાં યશ વધે છે, તેને દેવો સહાય કરે છે અને તે નવનિધિ પામે છે.

મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં કહ્યું છે કે બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયાં વીર્યલાભ: એટલે કે બ્રહ્મચર્યની દૃઢતા થવાથી વીર્યલાભ થાય છે. યાજ્ઞવલ્ક્ય સંહિતામાં જણાવાયું છે કે મન, વાણી અને શરીરથી સર્વ અવસ્થાઓમાં સર્વદા, સર્વત્ર મૈથુનનો ત્યાગ કરવો એને બ્રહ્મચર્ય કહેવાય. શિવસંહિતામાં બ્રહ્મચર્ય પર પ્રકાશ પાડતાં કહેવાયું છે:

મરણં બિન્દુ પાતેન, જીવન બિન્દુ ધારણાત્

તસ્માદતિ પ્રયત્નેન, કુરુતે બિન્દુધારણમ્

વીર્યપાત કરવો એ મરણ છે અને વીર્યને ધારણ કરવું એ જીવન છે. માટે ભગીરથ પ્રયત્ન કરીને પણ વીર્યની રક્ષા કરવી જોઈએ.

સંત તુલસીદાસે માર્મિક વાણીમાં સ્પષ્ટ કહ્યું છે:

રામ તિહા નવ કામ ભાસે, કામ તિહાં નહિ રામ

તુલસી દોનો ના રહે, રવિ-રજની એક ઠામ!

શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે:

નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન

ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન

જૈન શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યના મુખ્ય બે પ્રકારો બતાવ્યા છે. એ છે (૧) સર્વ અને (૨) દેશ. પ્રથમ પ્રકારમાં સાધુ-સાધ્વીઓએ જે બ્રહ્મચર્ય પાïળવાનું છે એ સર્વ એટલે કે જીવનસ્પર્શી સંપૂર્ણ સંયમ છે. સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, શમાદિ સ્વાભાવિક સદ્વૃત્તિઓના વિકાસનો પણ સમાવેશ થાય છે. બીજા પ્રકારમાં શ્રાવકોએ સ્વદારા સંતોષવþત ગ્રહણ કરવાનું હોય છે. એટલે પોતાની સ્ત્રીથી જ સંતોષ માનવાનો હોય છે અને તેની સાથે સંયમપૂર્ણ વ્યવહાર કરવાનો હોય છે.

બ્રહ્મચર્યનો મુખ્ય આધાર આહાર પર છે. સ્વાદેãન્દ્રય પર જેણે સંપૂર્ણ કાબૂ મેળવ્યો નથી તેને બ્રહ્મચર્ય પાળવાનો અધિકાર નથી. બ્રહ્મચર્ય પાળવાની લાયકાત પણ તેનામાં હોઈ શકે નહીં. બ્રહ્મચર્યસાધકે સંયમી જીવન જીવવા માટે દેહના પોષણ અર્થે ખાવાનું છે અને રસલોલુપતાને કાબૂમાં લેવી એ તેનું સૌથી પ્રથમ કર્તવ્ય બની રહે છે.

બ્રહ્મચર્યમાં સ્થિર થવા માટે સાધકે પોતાની આંતરિક ચોકી કરવી પડે. સાથોસાથ બાહ્ય નિમિત્તોની બાબતમાં પણ સાવધાની રાખવી પડે. જૈન સૂત્રોમાં બ્રહ્મચર્યની સ્થિરતા માટેના દસ ઉપાયો બતાવવામાં આવ્યા છે : (૧) એકાંત નિવાસ, (૨) સ્ત્રીકથા વર્જન, (૩) નારીપ્રસંગ વર્જન, (૪) ચક્ષુ સંયમ, (૫) શ્રવણ સંયમ, (૬) સ્મરણ સંયમ, (૭) આહાર સંયમ, (૮) આહારની માત્રા સંયમ, (૯) ભૂષા સંયમ અને (૧૦) કામભોગ સંયમ.

આ પણ વાંચો : મયખાને સબ બંદ હો જાએ તો કોઈ ગમ નહીં તૂને આંખોં સે જો પિલાયા જામ વો મયખાને સે કમ નહીં

સંસાર અને વિષયોનું સ્વરૂપ જે સમજી શકે તે ઇãન્દ્રયો પર સંપૂર્ણ સંયમ મેળવી શકે છે. આવા સાધકને ઇãન્દ્રયો જે-જે પદાર્થો માટે ઝંખના કરે છે એ બધા સિવાય ચલાવી લેવાની અદ્ભુત શક્તિ પ્રાપ્ત થાય છે. આ જ સાચું આધ્યાત્મિક જીવન છે. કુદરતે માનવીને વિચાર અને વિવેકની અદ્ભુત શક્તિ આપેલી છે. એ શક્તિનો ઉપયોગ અધ:પતનની ઊંડી ખીણમાં ગબડી પડીને કરવો કે ઉન્નતિના શિખરે પહોંચવા માટે કરવો એ નિર્ણય તેણે પોતે જ પોતાની જાત માટે કરવાનો રહે છે.

columnists