સોશ્યલ મીડિયા મેનર્સ

16 January, 2021 08:33 AM IST  |  Mumbai | Manoj Joshi

સોશ્યલ મીડિયા મેનર્સ

પ્રતીકાત્મક તસવીર

કોને મેસેજ કરવો, ક્યારે મેસેજ કરવો, મેસેજ કેવી રીતે કરવો અને કેવી રીતે એ મેસેજમાં જરૂરી વાત કહેવી એ કળા હોવી બહુ જરૂરી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે સોશ્યલ મીડિયા જીવનનું અવિભાજ્ય અંગ બની રહ્યું છે. વૉટ્સઍપ પર સીધો મેસેજ કોઈને પણ ન થાય અને ક્યારેય ન થાય. એટલા માટે કે એ એની પોતાની દુનિયા છે. પહેલાં એ સંબંધો વધારવા પડે, વિકસાવવા પડે અને એ ડેવલપ ન થયા હોય તો પહેલાં ટેક્સ્ટ મેસેજ થકી કામ ચલાવવું જોઈએ. સોશ્યલ મીડિયાની આ જ નહીં, આ સિવાયનાં પણ અનેક મેનર્સ છે અને એ તમામ મેનર્સ સમજવાની તાતી જરૂર છે. કહેવાનું મન પણ થાય કે આપણે ત્યાં આ પ્રકારનાં પુસ્તકો લખાવાનું શરૂ થવું જોઈએ.
વાતચીત કરવાની કળા પણ આપણે ત્યાં અનેક લોકોમાં નથી. જો વાત કરવાની કળા ન હોય તો સ્વાભાવિક રીતે મેસેજ લખવાની કળાનો પણ અભાવ હોય એવું ધારી જ શકાય. સાવ જ ફાલતુ રીતે વાતની શરૂઆત કરતા લોકો પણ તમને આ આ સોશ્યલ મીડિયા પર મળી જાય અને કોઈ જાતનું કામ ન હોય તો પણ દર પંદરમી મિનિટે ‘હાય’ના હાયકારા નાખનારાઓ પણ તમને સોશ્યલ મીડિયાના મેસેન્જર પર મળી જાય. તમારી ઇચ્છા ન હોય તો પણ તમને મેસેજ ઠોકનારાઓ મળી જાય અને તમે કોઈ જાતનો જવાબ ન આપો તો પણ તમને દરરોજ ફાલતુ રીતે ડિસ્ટર્બ કરનારા પણ આ વૉટ્સઍપ પર મળી જાય.
જરૂરી વાતને જરૂરી હોય એ જ રીતે કહેવાનું હવે શીખવું પડશે, કારણ કે હવે કોઈની પાસે સમય નથી અને સૌથી મહત્ત્વની વાત, હવે બધાનો સમય કીમતી થઈ ગયો છે. ઇન્શ્યૉરન્સ એજન્ટ પણ બહુ બિઝી છે અને એસ્ટેટ એજન્ટ પણ ભાગદોડ વચ્ચે શક્ય હોય એટલો સમય બચાવવાની કોશિશ કરે છે. ઍક્ટર પણ પોતાનું કામ કરી રહ્યો છે, તો ડૉક્ટર પણ પોતાના શિસ્તબદ્ધ બનાવેલા શેડ્યુલની સાથે તાલમેલ મિલાવવા માટે શક્ય હોય ત્યાં સુધી ખોટો સમય બગાડવા તૈયાર નથી. ટૂંકી વાત કરવાથી જો એની ધારી અસર ઊભી થતી હોય તો વાત ટૂંકી જ કરવી જોઈએ. આપણા વડવાઓ પણ આ જ કહેતા. આજે એ જ વાત જરા બદલાઈ છે અને એ સોશ્યલ મીડિયા પર આવી ગઈ છે. વગર કારણે કોઈને ડિસ્ટર્બ ન કરવા એ સોશ્યલ મીડિયાનું પહેલું મેનર્સ હોવું જોઈએ. બધાને ખબર છે કે તમામ પ્રકારના મીડિયા પર બ્લૉક કરવા માટેનો ઑપ્શન છે જ. ફેસબુક પર પણ તમે બ્લૉક કરી શકો છો અને વૉટ્સઍપ પર પણ તમે કોઈને બ્લૉક કરી જ શકો છો, પણ એ ઑપ્શનનો ઉપયોગ ન કરવો પડે એવું જ વર્તન શું કામ ન રાખી શકીએ?
વૉટ્સઍપ પર બનતાં પેલાં ગ્રુપ અને બ્રૉડકાસ્ટનો ત્રાસ પણ અનહદ છે. કોઈને પણ ગ્રુપમાં દાખલ કરતાં પહેલાં કે પછી એમાં ઍડ કરતાં પહેલાં ઍટ લીસ્ટ એક વખત જો તેને પૂછી લેવાનો શિષ્ટાચાર દેખાડવામાં આવે તો એ પણ રાહત આપનારો રહેશે. એક ભાઈ દરરોજ બ્રૉડકાસ્ટ પર ફાફડા-જલેબી મોકલતા. પચ્ચીસ વખત મેં તેને કહ્યું પણ તે માને જ નહીં કે મને પણ એનો મેસેજ આવે છે. એક દિવસ સવારમાં ફોન કરીને કહે ‘ભૂલથી તમારું નામ પણ બ્રૉડકાસ્ટમાં મુકાઈ ગયું હતું, સૉરી.’ આ સૉરીનું શું અથાણું નાખવું! આવી ભૂલો કોઈની શાંતિના ભોગે શું કામ હોય ભાઈ? તમારાં ફાફડા-જલેબી તમારા સુધી સીમિત રાખો, સોશ્યલ મીડિયા અનિવાર્ય છે એવા સમયે હવે એનો ઉપયોગ પણ પૂરા મેનર્સ સાથે કરો.

columnists manoj joshi