દીકરાથી પણ વ્હાલા ભાણેજને પતિના મૃત્યુ પછી હવે સંપત્તિમાં રસ પડ્યો છે

12 June, 2019 11:41 AM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

દીકરાથી પણ વ્હાલા ભાણેજને પતિના મૃત્યુ પછી હવે સંપત્તિમાં રસ પડ્યો છે

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું ૫૩ વર્ષની છું અને મારા હસબન્ડ બે વર્ષ પહેલાં એક કાર-અકસ્માતમાં ગુજરી ગયા. અમારું લગ્નજીવન એકંદરે સુખી હતું અને ખાસ તો દોસ્તોમાં એની બહુ ઇર્ષા થતી. ભગવાને શેર માટીની ખોટ આપેલી અને એને પણ અમે બહુ સહજતાથી સ્વીકારી લીધેલી. મારી નણંદને ત્રણ સંતાનો હતાં અને તેમાંથી સૌથી નાનો દીકરો મારા હસબન્ડને બહુ જ વહાલો હતો એટલે તેના ભણવાથી લઈને કૉલેજના હાયર એજ્યુકેશન માટે પણ તેણે જ પૈસાની મદદ કરેલી. મારાં નણંદને મારા માટે બહુ પૂર્વગ્રહો હતા એટલે દીકરો મારી નજીક આવે એ તેનાથી સાંખી શકાતું નહીં. મને પણ તેની અસલામતી સમજાતી અને એટલે મેં કદી તેને પોતાનો કરવાની કોશિશ ન કરી. હસબન્ડનો બિઝનેસ એટલો સારો ચાલતો હતો કે તેના ગયા પછી મેં કંપની વેચી દીધી અને ભવિષ્ય સિક્યૉર કરી લીધું. પૈસાની કોઈ કમી નથી, પણ ઘણી વાર પૈસો પણ મુસીબતનું મૂળ હોય છે. પતિ કહેતા હતા કે આપણે બન્ને ગયા પછી અડધી સંપત્તિ બહેનના નાના દીકરાને અને અડધી કોઈ ટ્રસ્ટમાં આપીશું. જોકે અત્યારે સમસ્યા એ છે કે પતિના ગયા પછી ભાણેજ મને વસિયતનામું બનાવી દેવા માટે બહુ જ ફોર્સ કરે છે. કોઈકને કહીએ તો એમ લાગે કે મને તેના પ્રત્યે અભાવ હોવાથી હું આ વાત ફેલાવું છું, પણ જે છોકરાને મારા પતિએ દીકરો-દીકરો કહીને હાથમાં રાખ્યો હતો તે મને ધમકી આપે છે કે જો તમે વસિયતમાં કોઈ ચાલાકી કરી તો હું તમને નહીં છોડું. મને શંકા છે કે કદાચ તે મને નુકસાન પણ પહોંચાડી શકે. પતિની ઇચ્છા મુજબ અત્યારે જ અડધી સંપત્તિ કોઈ ટ્રસ્ટને આપી દેવા માટે તૈયારી શરૂ કરી દીધી છે.

જવાબ : પાછલી વયે જીવનના કપરા નિર્ણયો જાતે લેવાના આવે ત્યારે જીવનસાથીનો સાથ બહુ મિસ થાય. બીજું, પેટનાં જણ્યાં સંતાનો ખોટું કરતાં હોય તો કાન આમળીને તેમને સીધા કરી શકાય, પણ જેની સાથે લાગણીનો બહુ નાતો નથી એવી વ્યક્તિ તરફથી સંપત્તિની નરી લાલચથી નીતરતી દમદાટી મળે ત્યારે વાત સિમ્પલ નથી રહેતી.

તમને ડરાવવા માટે નથી કહેતી, પણ જો તમને સહેજ પણ એવું લાગતું હોય કે ભાણેજ તમને ફિઝિકલી નુકસાન કરી શકે એમ છે તો એ વાતને હળવાશથી ન લેવી. તમને જેના પર વિશ્વાસ હોય એવી વ્યક્તિનો સાથ લઈને તેની ફોનની ધમકીઓને રેકૉર્ડ પર લઈ લો. આખાય કેસમાં તમે મેન્ટલી કેટલા સ્ટ્રૉન્ગ છો એ મહત્વનું છે. બની શકે કે ભાણેજ એટલો સ્વાર્થી હોય કે તેણે આ બાબતે નણંદ-નણદોઈને પણ ખબર ન પડવા દીધી હોય. તમારે એ જાણવું જરૂરી છે કે શું ભાણેજના ઇરાદાથી નણંદ-નણદોઈ વાકેફ છે કે નહીં. જો નણંદ-નણદોઈ બેખબર હોય તો જરાક કુનેહપૂર્વક તેમને આ વાતની જાણ કરવી જરૂરી છે. જો તેઓ પોતાના દીકરાને ઠપકો આપીને સીધો કરી શકતા હોય તો વેલ ઍન્ડ ગુડ. જો નણંદ-નણદોઈ વાકેફ હોય અને તેને આમાં સાથ આપતા હોય તો વિનાસંકોચે તમારે ભાણેજ ધમકી આપે છે એવી ફરિયાદ પોલીસમાં કરી દેવી.

આ પણ વાંચો : દોસ્તને બાળક મેળવવા માટે ડોનરની જરૂર છે, હું એ માટે તૈયાર છું પણ.....

પૈસો કે સંપત્તિ કોઈ માણસ મર્યા પછી સાથે લઈ જતું નથી. જોકે ભાણેજથી ડરીને અડધી સંપત્તિ અત્યારથી જ ટ્રસ્ટમાં દાન આપી દેવી એ પણ એટલું પ્રૅક્ટિલ નથી. તમારી હયાતી ન હોય ત્યારે બધી જ સંપત્તિ તમને જે વાજબી લાગે છે એવી સંસ્થા કે સંસ્થાઓને મળે એવું જરૂર કરી શકાય.

columnists sex and relationships life and style