સ્કૃતને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે અને એ સંબંધ લાભદાયી છે

21 September, 2020 11:52 AM IST  |  Mumbai | Manoj Joshi

સ્કૃતને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે અને એ સંબંધ લાભદાયી છે

સંસ્કૃત સાથે આજે પણ જે કોઈ જોડાયેલા છે તેઓ સમૃદ્ધ છે. મનની દૃષ્ટિએ પણ અને સંયમની દૃષ્ટિએ પણ.

સંસ્કૃત માત્ર એક ભાષા નથી, આ ભાષા શરીરના અવયવો પર પણ મહત્ત્વની અસર છોડવાનું કામ કરે છે. આ જ કારણ હતું જેને લીધે સંસ્કૃતનો વપરાશ સૌથી વધારે થતો હતો. તમને માનવામાં નહીં આવે, પણ મૂળ આયુર્વેદમાં એક જગ્યાએ કેટલીક બીમારીની સારવારની સાથોસાથ સંસ્કૃતનો વપરાશ કરવો એવો પણ ઉલ્લેખ છે અને એ ઉલ્લેખની સાથોસાથ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સંસ્કૃતનો વપરાશ કરવાથી બ્રેઇન-ફંક્શન વધારે તેજ બનશે. સંસ્કૃત આપણે ત્યાં ટકવા માટે ફાંફાં મારતી હોય એવું ભલે દેખાયા કરે, પણ આ જ સંસ્કૃતને વિશ્વની ૧૦૦થી વધારે યુનિવર્સિટીએ પોતાને ત્યાં કોર્સ તરીકે દાખલ કરી છે. લંડનની જેમ્સ જુનિયર સ્કૂલમાં સંસ્કૃત ફરજિયાત બાળકોને શીખવવામાં આવે છે. આ માટે ઑલરેડી એ જ કારણ આપવામાં આવ્યું છે જે કારણનો ઉલ્લેખ આયુર્વેદમાં થયો છે. જેમ્સ જુનિયર સ્કૂલમાં સંસ્કૃતને ફરજિયાત બનાવવામાં આવ્યાને આજે લગભગ ૮થી ૧૦ વર્ષ થઈ ગયાં છે, જેનું રિઝલ્ટ પણ બહુ જ સરસ તેમને મળ્યું છે.
સંસ્કૃત વાંચવું, બોલવું, સાંભળવું અને લખવું એ પ્રક્રિયા એવી છે જે શરીર પર હકારાત્મક અસર છોડે છે. એટલું જ નહીં, સંસ્કૃત એનર્જીની બાબતમાં પણ બહુ લાભદાયી પુરવાર થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંદગી સમયે પથારીમાં પડ્યા હોઈએ ત્યારે સંસ્કૃત વાંચવાનું કે સાંભળવાનું કામ કરવાથી બીમારી દૂર થાય છે. કેટલાકને મારી આ વાતો હાસ્યાસ્પદ લાગશે, પણ ભારતીય ઇતિહાસમાં આ વાતનો ઉલ્લેખ છે અને શાસ્ત્રોમાં આ જ ચર્ચાને હકારાત્મક સાબિત કરતા અનેક કિસ્સા પણ નોંધાયેલા છે. સંસ્કૃતની જ વાત કરું તો, સંસ્કૃત બોલતી વખતે અને એના ઉચ્ચારણ સમયે મગજના ભાગમાં આવેલા કેટલાક એવા પૉઇન્ટ્સ પર વજન આવે છે, જે આખા શરીરનું સંચાલન યોગ્ય રીતે કરવામાં ઉપયોગી બનતા હોય છે. સંસ્કૃતમાં જો વાતચીત કરવામાં આવે તો એનાથી સ્વરમાં પણ આભા ઉમેરાતી હોય છે, જે પ્રભાવશાળી બનાવવાનું કામ કરે છે. ચરક ઋષિએ કહ્યું છે કે સંસ્કૃત બોલનાર વ્યક્તિનો સ્વર આદેશાત્મક બનતો હોય છે. ઓશોના અવાજને સાંભળી લેશો તો તમને આ વાત બરાબર સમજાઈ જશે. ઓશો સંસ્કૃત જાણતા હતા અને સંસ્કૃતમાં તેઓ માહેર પણ હતા.
સંસ્કૃત માટે કહેવાતું રહ્યું છે કે એ ભાષા શાતા આપનારી ભાષા છે અને આ હકીકત પણ છે, કારણ કે એ ધર્મભાષા છે અને ધર્મ જે ભાષામાં રચાયો હોય એ ભાષા સુખ અને શાતા આપનારી જ હોય. સંસ્કૃતમાં તો સમૃદ્ધિ આપવાની પણ ક્ષમતા છે. સંસ્કૃત સાથે આજે પણ જેકોઈ જોડાયેલા છે તેઓ સમૃદ્ધ છે. જ્ઞાનની દૃષ્ટિએ પણ અને અર્થ-ધનની દૃષ્ટિએ પણ એટલા જ પ્રચુર.  

manoj joshi columnists