નાની ઉંમરે માતાથી વિખૂટા પડવાની પીડા અસહ્ય હોય

13 April, 2021 02:41 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

આજે માબાપ જે ઘેલછાથી બાળકોને અંગ્રેજી સ્કૂલો તરફ ધકેલે છે એ જોતાં લાગે છે કે ચાર-પાંચ વર્ષમાં મુંબઈમાં એક પણ ગુજરાતી સ્કૂલ નહીં હોય

પ્રતીકાત્મક તસવીર

‘તમારી આર્થિક પરિસ્થિતિ સારી છેને?’

‘હાસ્તો.’

‘તમને વર્તમાન જગતની પરિસ્થિતિ ખ્યાલમાં છે? બજારમાં, ધંધામાં, દેશમાં શું કે પરદેશમાં શું? સર્વત્ર બોલબાલા અંગ્રેજીની છે એ તમારા ખ્યાલમાં છે?’

૪૦ વર્ષનો યુવક પોતાના દીકરાને ગુજરાતી સ્કૂલના પ્રિન્સિપાલ પાસે લઈ ગયો એ સમયની વાતચીત છે.

‘તમે જાણો છોને અંગ્રેજી સરસ તેનું ભાવિ ઉજ્જ્વળ.’

‘અંગ્રેજી સારું તેને આગળ વધવાની તક મળે, પણ એનું જ ભાવિ ઉજ્જ્વળ એ વાતમાં સંમત નથી.’

‘તો તમે અંધારામાં છો, મારી એક વાત માનો, તમારા દીકરાને કોઈ અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરો.’

‘ગુજરાતી સ્કૂલના પ્રિન્સિપાલ થઈને તમે અંગ્રેજી સ્કૂલની હિમાયત કરો એ જાણી આશ્ચર્ય સાથે દુઃખ પણ થાય છે.’

‘એનાં કારણો છે. આજે માબાપ જે ઘેલછાથી બાળકોને અંગ્રેજી સ્કૂલો તરફ ધકેલે છે એ જોતાં લાગે છે કે ચાર-પાંચ વર્ષમાં મુંબઈમાં એક પણ ગુજરાતી સ્કૂલ નહીં હોય. તમે એક નવી ગુજરાતી સ્કૂલના સમાચાર છેલ્લાં ૧૦ વર્ષમાં નહીં જાણ્યા હોય, પણ વર્ષોથી ચાલતી ગુજરાતી સ્કૂલો બંધ થયાના સમાચાર સાંભળ્યા હશે. આ હિસાબે કહું છે કે બાબાના ભાવિને અંધકારમય ન બનાવવું હોય તો તેને અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરી દો.’

‘પ્રિન્સિપાલસાહેબ, ચાર-પાંચ વર્ષમાં મુંબઈમાં ગુજરાતી સ્કૂલ નહીં હોય એવી આગાહી તમે કરો છો એ સાચી પડવાની સંભાવના એટલા માટે નથી કે હજી મુંબઈમાં મારા જેવા મૂરખ (?) બાપાઓની કમી નથી. અમારો દીકરો ગુજરાતી માધ્યમમાં ભણવાને કારણે કદાચ કાચો રહી જશે તોય અમને મંજૂર છે; પણ ગુજરાતી અમારી માતૃભાષા છે. નાની ઉંમરમાં માતા ગુમાવી બેસતા દીકરાની વેદના કેવી હોય એની તો એ વખતે કદાચ તેને ખબર નથી હોતી, તે મોટો થાય ત્યારે જ તેને ખ્યાલ આવે કે મા ગુમાવીને મેં કેટલું બધું ગુમાવી દીધું, કેટલું બધું હાથમાંથી છૂટી ગયું. અણસમજની વયમાં માબાપની ઘેલછાને કારણે અંગ્રેજી સ્કૂલમાં દાખલ થઈ જતા દીકરાને ખુદને ખ્યાલ નથી હોતો કે માતૃભાષાથી છૂટી જઈને હું કેટલી મોટી નુકસાનીમાં ઊતરી રહ્યો છું. એ તો મોટો થાય ત્યારે તેને ખ્યાલ આવે કે માતૃભાષા છૂટી જવાથી મેં ઘણું ગુમાવ્યું. પ્રિન્સિપાલસાહેબ, દીકરાને એવા પસ્તાવાની પળોમાં હું મૂકવા માગતો નથી. દીકરો માતાથી જુદો ન જ પડવો જોઈએ. મરતી વખતે હું પાણી માગું એ સમયે બાબાની સામે પાણી પડ્યું હોય છતાં ‘વૉટર’ના ખ્યાલે તે પાણી આપવાનું ભૂલી જાય એવી હાસ્યાસ્પદ સ્થિતિ હું સર્જવા નથી માગતો.’

columnists