સજા માત્ર આરોપીને નહીં, તેને મદદ કરનારાઓને પણ મળવી જોઈએ

07 October, 2020 11:07 AM IST  |  Mumbai | Manoj Joshi

સજા માત્ર આરોપીને નહીં, તેને મદદ કરનારાઓને પણ મળવી જોઈએ

હાથરસની ઘટનામાં ચાર દિવસ પહેલાં યુપી ગવર્નમેન્ટે કેટલાંક પગલાં લીધાં અને જવાબદાર સરકારી અધિકારીઓને પદ પરથી હટાવ્યા, પણ વાત અહીં અટકવી ન જોઈએ.


હા, આવી માગણી આપણા જ વાચકો કરી રહ્યા છે અને આ માગણીમાં કશું ખોટું પણ નથી. પાપ કરનારો જેટલો દોષી છે એટલા જ દોષી એ સૌ પણ છે જેઓ આ પાપને ઢાંકવામાં, છાવરવામાં મચી પડ્યા હતા. હાથરસની ઘટનામાં ચાર દિવસ પહેલાં યુપી ગવર્નમેન્ટે કેટલાંક પગલાં લીધાં અને જવાબદાર સરકારી અધિકારીઓને પદ પરથી હટાવ્યા, પણ વાત અહીં અટકવી ન જોઈએ. ના, ભદ્ર સમાજમાં ન્યાય હોઈ પણ ન શકે. ભલું થજો કે આ આખી ઘટના બહાર આવી. ધારો કે એ બહાર ન આવી હોત તો આ સરકારી અધિકારીઓ પોતાની લીલા પછી પણ જવાબદાર પદ પર અકબંધ રહ્યા હોત. કબૂલ, વાચકોની એ સૌની માગણી માટે જે માને છે કે સજા માત્ર આરોપીને જ નહીં, તેને મદદ કરનારાઓને પણ મળવી જ જોઈએ.
ભારતીય સંવિધાનમાં બદલાવની તાતી જરૂર છે. ખાસ કરીને બળાત્કાર અને શારીરિક ગેરલાભ લેવાના કાયદાઓમાં. આ કાયદાઓ બદલાશે તો એની ગંભીરતા પણ આરોપીઓને સમજાશે તો સાથોસાથ તેને મદદ કરનારા કે પછી કહેવાતા સાથીદારો બનનારાઓને પણ સમજાશે. હાથરસમાં જેકોઈએ આરોપીઓને મદદ કરી છે તે સૌકોઈના હેતુ કેટલા વાહિયાત હતા એ પણ જોવા જેવું છે. ઇન્ટરનેટ અને ન્યુઝ-ચૅનલના કહેવા મુજબ તો એ જ હેતુ છે કે આરોપીઓ ઉચ્ચવર્ણના હતા એટલે અધિકારીઓએ તેમને સાથ આપવાનું કામ કર્યું. જો આ જ સત્ય હોય અને આ જ કારણસર આરોપીઓને છટકબારી મળી હોય તો બહેતર છે કે આ સરકારી અધિકારીઓને નગ્ન કરીને તેમને જાહેરમાં ફટકારવા જોઈએ. ચીસો તેમની એ સ્તર પર બહાર નીકળવી જોઈએ કે ઘરમાં વાઇફની પણ છેડતી કરતાં પહેલાં આ કહેવાતા ઉચ્ચવર્ણના પુરુષો ૫૦૦ વખત વિચાર કરે. ચીસો તેમની એ સ્તર સુધી નીકળવી જોઈએ કે પીડિતાના પરિવારનાં એકેક આંસુ બાષ્પીભવન થઈ જાય.
વિચારીને જ કંપારી છૂટી જાય છે કે આપણે કેવા ભદ્ર સમાજમાં જીવીએ છીએ, જ્યાં આજે પણ વર્ણવાદ ચાલી રહ્યો છે. વિચારીને જ રૂંવાડાં ઊભાં થઈ જાય છે કે આપણે આત્મનિર્ભર થવા માટે પહેલાં કઈ દિશા પકડવાની જરૂર છે, ચાઇનાને હરાવવા ઉદ્યોગો તરફ જોવાનું છે કે પછી ન્યુ ઝીલૅન્ડ સમાન બનવા માટે આપણે પહેલાં સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની જરૂર છે?
હાથરસને અટકવા નહીં દેતા હવે તમે, પ્લીઝ. ના, જરાય નહીં. હાથરસની આગ સતત પ્રજ્વલિત રાખવાની છે અને એનું કારણ આ ભદ્ર સમાજ છે. ભદ્ર સમાજની માનસિકતામાં બદલાવ આવે એ આવશ્યક છે. હાથરસમાં મદદ કરનારા અધિકારીઓને જોઈને કહેવાનું મન થાય છે કે બળાત્કાર જેવા ગુનાની માનસિકતા ચેન્જ કરવા માટે ભણતર પણ કામ લાગવાનું નથી. કદાચ. જો ભણતર કામ લાગતું હોત તો આ ઉચ્ચ અભ્યાસ કરીને સરકારી નોકરીઓ પામનારાઓએ કહેવાતા ઉચ્ચવર્ણના આરોપીઓ માટે પોતાનું જીવન જોખમમાં મૂક્યું ન હોત. ના, ભણતર નહીં, માનસિકતા જ કામ લાગશે આ પ્રકારના ગુનાઓને અટકાવવા માટે.

manoj joshi columnists