કૉલમ : લોકપ્રતિનિધિત્વ ધારો જાણો અને જાગો

25 April, 2019 10:21 AM IST  |  | મિતેષ સોલંકી - બંધારણના નિષ્ણાત

કૉલમ : લોકપ્રતિનિધિત્વ ધારો જાણો અને જાગો

પ્રતીકાત્મક તસવીર

બંધારણના બારણેથી

ભારતમાં રાજકીય ક્ષેત્રનો સૌથી મોટો ઉત્સવ એટલે સામાન્ય ચૂંટણી. હાલમાં ૧૭મી લોકસભાનો જંગ જીતવા માટે ૫૪૩ ઉમેદવારો રણમેદાનમાં ઊતર્યા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે એ વાતમાં કોઈ બેમત નથી. વિશ્વમાં બીજા ક્રમની વસ્તી ધરાવતા દેશનો વહીવટ ચલાવવા માટે સંસદના લોકસભાગૃહમાં માત્ર ૫૪૩ સભ્યો બેસે છે અને દેશ સુવ્યવસ્થિત રીતે ચાલે છે એ એક અજાયબી ચોક્કસ કહી શકાય.

ભારતમાં પ્રતિનિધિત્વ પ્રકારની લોકશાહી છે. એનો અર્થ એ કે ભારતમાં દરેક નાગરિક પોતાના મતવિસ્તારમાં મત દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને એ ચૂંટાયેલો પ્રતિનિધિ સંબંધિત મતવિસ્તાર તરફથી લોકસભામાં બેસે છે. દરેક રાજ્યને વસ્તીના પ્રમાણમાં અલગ-અલગ બેઠકો લોકસભામાં મળી છે, જેમ કે ગુજરાતને લોકસભાની ૨૬ બેઠકો મળી છે, જ્યારે મહારાષ્ટ્રને ૪૮ બેઠકો મળી છે. દરેક બેઠક પર વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને જનતા પોતાના મત દ્વારા તેને જિતાડશે અથવા હરાવશે. તો ચાલો આજે આપણે થોડી એવી માહિતી મેળવીએ જે સામાન્ય રીતે નાગરિકો જાણતા નથી અથવા જાણવાનો પ્રયત્ન કરતા નથી.

ભારતમાં ચૂંટણીનું આયોજન કરવાથી લઈને પરિણામ જાહેર કરવા સુધીની જવાબદારી બંધારણીય સંસ્થા ચૂંટણીપંચ પાસે છે. બંધારણના અનુચ્છેદ-૩૨૪થી ૩૨૯ અંતર્ગત ભારતમાં ચૂંટણીપંચની રચના કરવામાં આવે છે જે રાજકીય પક્ષોની નોંધણી કરવાનું, તેમને ચૂંટણી માટે ચિહ્ન આપવાનું, મતદારયાદી તૈયાર કરવાનું, નવા મતદાતાની નોંધણી કરવાનું, મતદાતાની માહિતીમાં સુધારા કરવાનું, ઉમેદવારની અરજીઓ સ્વીકારવાનું અથવા રદ કરવાનું, આચારસંહિતા લાગુ કરવાનું, ચૂંટણીની તૈયારીઓ કરવાનું, ચૂંટણી યોજવાનું તથા પરિણામો જાહેર કરવા જેવી અનેક મહત્વની જવાબદારીઓ નિભાવે છે. ભારતમાં ચૂંટણીની તૈયારી કરવા માટે અને યોજવા માટે બે લોકપ્રતિનિધિ ધારા અસ્તિત્વમાં છે. આ બન્ને લોકપ્રતિનિધિ ધારાનો પહેલાં તફાવત જોઈએ, ત્યાર બાદ આગળ વધુ માહિતી મેળવીએ. ભારતમાં લોકપ્રતિનિધિ ધારા બે છે : (૧) ૧૯૫૦ અને (૨) ૧૯૫૧.

લોકપ્રતિનિધિ ધારો-૧૯૫૦ ચૂંટણીની તૈયારી માટે છે, જ્યારે લોકપ્રતિનિધિ ધારો-૧૯૫૧ ચૂંટણી યોજવા માટે છે.

૧૯૫૦ના ધારા અંતર્ગત મુખ્યત્વે પાંચ બાબતો પર ધ્યાન આપવાનું રહે છે : (૧) મતદારયાદી તૈયાર કરવી, (૨) મતદાનમથક તૈયાર કરવાં, (૩) ઈવીએમ-વીવીપીએટી (ઇલેક્ટ્રિક વોટિંગ મશીન-વોટર વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રાયલ)ની તૈયારી કરવી, (૪) જરૂરી અન્ય વહીવટી સામગ્રી તેમ જ વ્યવસ્થા કરવી અને (૫) ચૂંટણી માટે જરૂરી અધિકારીઓની વ્યવસ્થા કરવી. અહીં દર્શાવેલી બાબતોની તૈયારી કરવા માટેની જવાબદારી જિલ્લા કલેક્ટરની રહે છે, જેઓ ૧૯૫૦ના ધારા અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ઓળખાય છે. એ ઉપરાંત લોકપ્રતિનિધિ ધારો-૧૯૫૦ મતદાતાની લાયકાત, મતદારક્ષેત્ર તેમ જ સંસદ અને વિધાનસભામાં બેઠકોની ફાળવણી વિશે સંબંધિત કામગીરી અંગે માર્ગદર્શન આપે છે.

લોકપ્રતિનિધિ ધારો-૧૯૫૧ ચૂંટણી યોજવા માટે છે. આ ધારાના કુલ ૧૩ ભાગ છે અને એમાં ૧૭૧ વિભાગ જોવા મળે છે જે અંતર્ગત ચૂંટણીપંચ જાહેરનામું બહાર પાડે છે, આચારસંહિતા લાગુ કરે છે, ચૂંટણી સંબંધિત ગુનાઓ, વિવાદ, પેટાચૂંટણી તેમ જ રાજકીય પક્ષની નોંધણી જેવી કામગીરી માટે માર્ગદર્શન આપે છે અને અહીં જિલ્લા કલેક્ટરને રિટર્નિંગ ઑફિસર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ નોંધ લેવી કે દરેક જિલ્લાના કલેક્ટર રિટર્નિંગ ઑફિસર બનતા નથી, કારણ કે મતવિસ્તારનું સીમાંકન અને જિલ્લાનું સીમાંકન એકસમાન હોય એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં ૩૩ જિલ્લા છે, પરંતુ લોકસભાની બેઠકો માત્ર ૨૬ જ છે એથી ૩૩ કલેક્ટરમાંથી માત્ર ૨૬ કલેક્ટર જ રિટર્નિંગ ઑફિસર બનશે.

શું છે લોકપ્રતિનિધિત્વ ધારાની સામાન્ય જોગવાઈઓ?

(૧) લોકસભાની બેઠક પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ભરવામાં આવશે એનો અર્થ એ કે સામાન્ય નાગરિક ગુપ્ત મતદાન દ્વારા પોતાના મતવિસ્તારમાંથી એક ઉમેદવારને વિજેતા બનાવશે.

(૨) એક મતદારક્ષેત્રમાં માત્ર એક બેઠક માટે જ ચૂંટણી યોજાશે.

(૩) મતદારક્ષેત્ર અંગેનો નિર્ણય સીમાંકન આયોગ (ડિલિમિટેશન કમિશન) દ્વારા જ લેવામાં આવશે તેમ જ ચૂંટણીપંચ દ્વારા મતદારક્ષેત્રને હંમેશાં અપડેટ રાખવામાં આવશે.

(૪) મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ અને ત્રિપુરા રાજ્યમાં અનુસૂચિત જનજાતિ માટેની બેઠકો અનામત રાખવાની સત્તા ચૂંટણીપંચ પાસે રહેલી છે.

(૫) સીમાંકન આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા મતદારક્ષેત્ર અંગેના નિર્ણયમાં માત્ર રાષ્ટ્રપતિ જ ફેરફાર કરી શકે, પરતું એને માટે રાષ્ટ્રપતિએ ચૂંટણીપંચ સાથે ચર્ચાવિચારણા કરવી જરૂરી રહેશે.

(૬) દરેક રાજ્યમાં એક મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવશે અને નિમણૂક પહેલાં રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.

(૭) કોઈ પણ વ્યક્તિનું નામ એક જ મતદારક્ષેત્રમાં હોવું જોઈએ તેમ જ એક વ્યક્તિનું નામ મતદારયાદીમાં એક જ વાર હોવું જોઈએ.

(૮) લોકપ્રતિનિધિત્વ ધારા અંગે કાયદો ઘડવાની અથવા સુધારવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે, પરંતુ એ લાગુ કરતાં પહેલાં ચૂંટણીપંચ સાથે ચર્ચા કરવાની રહેશે.

(૯) મતદારયાદી સુધારણા અંગે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયની કાયદેસરતા તપાસવા માટે દીવાની ર્કોટને સત્તા હોતી નથી.

ચૂંટણીના ઉમેદવારની લાયકાત

(૧) ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નામ નોંધવા માટે મતદારયાદીમાં નામ હોવું જરૂરી છે.

(૨) સામાન્ય વર્ગના ઉમેદવાર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની બેઠક પર ઊભા રહી ન શકે.

(૩) આસામ અને સિક્કિમના સ્વાયત્ત જિલ્લાઓ તેમ જ લક્ષદ્વીપની અનુસૂચિત જાતિની બેઠક માટે ઉમેદવાર જે-તે મતદારક્ષેત્રની યાદીમાં હોય એ જરૂરી છે.

(૪) લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેવા માટે અન્ય જરૂરી લાયકાત જે સંસદે કાયદા દ્વારા નક્કી કરી હોય એ જરૂરી છે.

રાજકીય પક્ષ માટેની જોગવાઈ

(૧) દરેક રાજકીય પક્ષે ચૂંટણીપંચમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.

(૨) રાજકીય પક્ષની નોંધણીની બાબતમાં ચૂંટણીપંચનો નિર્ણય અંતિમ રહેશે.

(૩) જો રાજકીય પક્ષ એનું નામ અને સરનામું બદલે તો ચૂંટણીપંચને જાણ કરવી જરૂરી છે.

(૪) રાજકીય પક્ષ વિદેશી સ્રોત દ્વારા નાણાકીય સહાય ન લઈ શકે.

(૫) રાજકીય પક્ષને મળતી નાણાકીય સહાય વિશેનો વિસ્તૃત અહેવાલ ચૂંટણીપંચને સોંપવાનો રહેશે, જો રકમ ૨૦,૦૦૦ રૂપિયા કરતાં વધારે હોય.

મત આપવાના અધિકાર વિશે જોગવાઈ

(૧) જે વ્યક્તિનું નામ મતદારયાદીમાં છે તે વ્યક્તિને મત આપવાનો પૂરેપૂરો અધિકાર છે.

(૨) એક વ્યક્તિ માત્ર એક જ મત આપી શકે છે અને એ પણ પોતાના મતદારક્ષેત્રમાં જ.

(૩) જો વ્યક્તિ કાયદેસર ગુના અંતર્ગત જેલવાસ ભોગવતો હોય તો તે મત ન આપી શકે, પરંતુ નિવારક અટકાયતમાં હોય તો મત આપી શકે છે.

ચૂંટણી સંબંધિત ગુનાઓ વિશે

(૧) શત્રુતા ઊભી કરવી.

(૨) મતદાન પહેલાંના ૪૮ કલાકમાં જાહેર સભા યોજવી.

(૩) અન્ય પક્ષનાં પોસ્ટર, પૅમ્ફલેટ વગેરે છાપવામાં અવરોધ ઊભો કરવો.

(૪) કોઈ ઉમેદવાર માટે જાહેર અધિકારી કામ કરતા હોય.

(૫) મતદાન મથક નજીક રાજકીય પ્રચાર કરવો અથવા લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરવો.

(૬) મતદાતાઓને સુવિધાના નામે વાહનની વ્યવસ્થા કરી આપવી.

(૭) કોઈ અધિકારીની કામગીરીમાં ખલેલ પહોંચાડવી.

(૮) મતપત્રક કે ઈવીએમ સાથે છેડછાડ કરવી.

(૯) મતદાન મથક પર કબજો જમાવવો.

(૧૦) મતદાનના ૪૮ કલાક પહેલાં અથવા મતદાન પૂરું થવાની નજીક હોય ત્યારે દારૂ કે અન્ય લાલચ આપતી વસ્તુઓનું વેચાણ કરવું.

અન્ય જોગવાઈ

(૧) ચૂંટાયેલા ઉમેદવારે શપથ લીધા પછીના ૯૦ દિવસમાં પોતાની સંપત્તિ વિશેની સચોટ જાણકારી આપવાની રહે છે.

(૨) ચૂંટણી સંબંધિત ખર્ચનો હિસાબ જાળવી રાખવો જરૂરી છે.

(૩) ચૂંટણી સંબંધિત ફરિયાદ પર ચૂંટણીપંચ પગલાં લઈ શકે છે.

(૪) ભ્રષ્ટાચાર, અયોગ્ય રીતે ચૂંટણીની કામગીરી કરવી, શત્રુતા ઊભી થાય એવો પ્રચાર કે પ્રવૃત્તિ કરવી, બિનકાયદેસર રીતે વાહનો ભાડે રાખવાં વગેરે બાબતોમાં ચૂંટણીપંચ ચૂંટણી રદ કરવા સુધીનાં પગલાં લઈ શકે છે.

(૫) ચૂંટણીપંચ કોઈ વ્યક્તિ કે પુરાવાને હાજર રહેવા માટે દીવાની અદાલત જેવી સત્તા ધરાવે છે.

(૬) લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારે ૨૫,૦૦૦ રૂપિયા જમા કરાવવાના હોય છે. અનામત બેઠકના ઉમેદવારને આ રકમમાં છૂટછાટ મળે છે.

ઉપરોક્ત લોકપ્રતિનિધિ ધારામાં સમયાંતરે ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જેમ કે ૧૯૫૬, ૧૯૬૬, ૧૯૮૮, ૨૦૦૨, ૨૦૧૦ તેમ જ ૨૦૧૩માં વિવિધ જોગવાઈઓમાં સુધારા કરવામાં આવ્યા છે.

૧૯૫૬માં કરવામાં આવેલો સુધારો

(૧) પહેલાં ચૂંટાયેલા ઉમેદવાર જો ચૂંટણી સંબંધિત ખર્ચનો હિસાબ જમા ન કરાવતા તો તે ગેરલાયક ગણાતા નહીં, પરંતુ ૧૯૫૬ના સુધારા બાદ જો ચૂંટણીનો ખર્ચ જમા ન કરાવે તો ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવે છે.

૧૯૬૬માં કરવામાં આવેલો સુધારો

(૧) વર્ષ ૧૯૬૬ પહેલાં ચૂંટણી વિવાદ પંચનું અસ્તિત્વ હતું, પરંતુ ચૂંટણી સંબંધિત પ્રશ્નો કે વિવાદના નિરાકરણની જવાબદારી ૧૯૬૬ પછી ઉચ્ચ અદાલતને સોંપવામાં આવી જે વિશેની અપીલ સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે.

૧૯૮૮માં કરવામાં આવેલો સુધારો

(૧) મતપેટી કે ઈવીએમ-વીવીપીએટી પર બિનકાયદેસર કબજો જમાવવાની બાબતમાં ચૂંટણી રદ કરી શકવા સુધીની સત્તા ચૂંટણીપંચે મેળવી છે.

૧૯૯૬માં કરવામાં આવેલા સુધારા

(૧) ભારતના બંધારણ તેમ જ રાષ્ટ્રધ્વજના અપમાનને ગુનો ગણવામાં આવ્યો.

(૨) ભારતના રાષ્ટ્રગાનને ગાતાં અટકાવવાને ગુનો ગણવામાં આવ્યો.

(૩) ચૂંટણીપ્રક્રિયા પર નિરીક્ષણ રાખવા માટે સરકારી અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા ચૂંટણીપંચને આપવામાં આવી.

(૪) જો ચૂંટણી-નિરીક્ષકને લાગે કે મતદાનમથક પર ગેરરીતિ આચરવામાં આવી છે તો મતગણતરી અટકાવવાનો આદેશ આપવાની સત્તા મળી છે.

(૫) મતદારયાદીમાં મૂળાક્ષર પ્રમાણે નામ ગોઠવવાં જેથી મતદાતા પોતાનું નામ સહેલાઈથી શોધી શકે.

૨૦૦૨માં કરવામાં આવેલા સુધારા

(૧) માહિતીના અધિકાર માટે કલમ-૩૧-એ ઉમેરવામાં આવી. જે ઉમેદવાર ચૂંટણીનું ફૉર્મ ભરે એ જો કોઈ ગુનામાં સંડોવાયેલો હોય અથવા ગુનેગાર સાબિત થયો હોય તો ફૉર્મની સાથે એની વિગતો પણ ઍફિડેવિટ કરીને આપવી ફરજિયાત છે.

(૨) ખોટાં ઍફિડેવિટ કરવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી.

(૩) ચૂંટણીના તમામ તબક્કા પૂર્ણ થાય એ પહેલાં પરિણામ સંબંધિત જાહેરાત કે અફવાઓ કે સંભવિત પરિણામ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

૨૦૧૦માં કરવામાં આવેલા સુધારા

(૧) નૉન-રેસિડેન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ)ને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

(૨) એનઆરઆઇ મત આપી શકે, પરંતુ ચૂંટણી ન લડી શકે.

(૩) કોઈની અવેજી તરીકે પણ એનઆરઆઇ ચૂંટણી ન લડી શકે.

૨૦૧૩માં કરવામાં આવેલા સુધારા

(૧) જો કોઈ વ્યક્તિ પોલીસ-કસ્ટડીમાં કે જેલમાં હોવાને કારણે મત નથી આપી શકતો તો પણ જો વ્યક્તિનું નામ મતદારયાદીમાં હોય તો તે વ્યક્તિ ચૂંટણી લડી શકે છે.

(૨) કોઈ પણ વ્યક્તિ ચૂંટણી માટે તો જ ગેરલાયક ગણાય જો તે ચોક્કસ ગુના અંતર્ગત ગુનેગાર સાબિત થયો હોય.

મિનીકટ : લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે લડતા ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કેટલું યોગ્ય છે એ જોવું ખૂબ જરૂરી છે.

લોકપ્રતિનિધિત્વ ધારા સંબંધિત જાણીતો કેસ - થૉમસ લીલી કેસ-૨૦૧૩

લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ-૮(૪) અનુસાર ગુનેગાર સાબિત થયેલો સંસદસભ્ય કે વિધાનસભ્ય કે વિધાન પરિષદના સભ્યને પોતાના પદ પર કાયમ રહેવાની સ્વતંત્રતા આપે છે, જો ઉમેદવાર ગુનેગાર સાબિત થયાના ત્રણ મહિનામાં ઉપરની અદાલતમાં અપીલ કરે. જો અપીલ ન કરે તો વ્યક્તિ ત્વરિત સભ્યપદ ગુમાવે છે.

ઉપરોક્ત જોગવાઈને ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ગણાવી અને એનાં કારણો ખૂબ રસપ્રદ છે.

(૧) જો કોઈ સરકાર પાતળી બહુમતીથી બની હોય અને એવામાં કોઈ સભ્યને ગેરલાયક ઠરાવવામાં આવે તો સરકારની સ્થિરતાના પ્રશ્નો ઊભા થાય છે. વળી ભવિષ્યમાં જો અદાલત એ વ્યક્તિને નિર્દોષ જાહેર કરે તો સરકાર અયોગ્ય કારણસર પડી ગઈ કહેવાય.

(૨) દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો મૂળભૂત અધિકાર રહેલો છે. એ અંતર્ગત કોઈનું સભ્યપદ ત્વરિત છીનવી લેવાથી ન્યાય મેળવવાના અધિકારનો ભંગ થયો કહેવાય. એથી સભ્યને પણ ન્યાયના દરેક તબક્કામાંથી પસાર થઈને પોતાને નિર્દોષ સાબિત કરવાની તક મળવી જોઈએ.

(૩) કે. પ્રભાકરન વિરુદ્ધ પી. જયરાજન કેસ અંતર્ગત કલમ-૮(૪)ને યોગ્ય ઠરાવવામાં આવી હતી. એ માટે એવી દલીલ કરવામાં આવી હતી કે કોઈ ઉમેદવારને લાભ પહોંચાડવાનો હેતુ ન હતો, પરંતુ ગૃહની રક્ષા કરવાનો હતો. જોકે ધીમી ન્યાયિક પ્રક્રિયાને કારણે રાજકારણમાં ગુનેગારોનું પ્રમાણ વધતું ગયું અને ધીમી ન્યાયિક પ્રક્રિયાનો રાજકીય ગેરલાભ લેવામાં આવતો રહ્યો.

(૪) સર્વોચ્ચ અદાલતે ગૃહના સભ્યો વિરુદ્ધના કેસનો ઝડપી નિકાલ લાવવા માટે યોગ્ય ધારાકીય પ્રસ્તાવ પસાર કરીને વિશેષ અદાલત સ્થાપવાનું સૂચન આપેલું છે. એને લીધે ઉમેદવારને અપીલ કરવાનો અધિકાર પણ જળવાઈ રહેશે અને ઝડપી ન્યાયપ્રક્રિયાના અંતે ઉમેદવારની લાયકાત કે ગેરલાયકાત પણ નક્કી થઈ શકશે. પરિણામે જ્યારે અદાલતની કાર્યવાહી ચાલુ હોય ત્યારે પણ ઉમેદવાર પોતાની બેઠક પર કાર્યરત રહી શકે.

(૫) એ ઉપરાંત ચૂંટણીનાં જ્યારે નામાંકન ભરવામાં આવતાં હોય ત્યારે ઉમેદવાર વિશેની બધી જ જાણકારી મેળવી લેવી જોઈએ અથવા ચકાસી લેવી જોઈએ.

(૬) ગુનેગાર સાબિત થયેલા ઉમેદવારને ગેરલાયક ઠેરવવો જોઈએ.


આ પણ વાંચો : ભારતીય નાગરિકતા અધિનિયમ - જોગવાઈઓ, સુધારો અને વિવાદ


આમ ઉપરોક્ત દલીલોના આધારે કલમ-૮(૪)ને થૉમસ લીલીના કેસમાં ગેરબંધારણીય ઠેરવવામાં આવી અને એ અંગેના સર્વોચ્ચ અદાલતના મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવા જેવા છે જે આ મુજબ છે :

(૧) ગુનેગાર સાબિત થયેલો ઉમેદવાર ચૂંટણી ન લડી શકે, પરંતુ જો વ્યક્તિ કલમ-૮(૪) અંતર્ગત કેન્દ્ર અથવા રાજ્ય સ્તરે ગૃહનો સભ્ય હોય તો બેઠક પર કાયમ રહી શકે એ ગેરબંધારણીય છે.

(૨) આર્ટિકલ ૧૦૨(૧) (ઈ) અને ૧૯૧(૧)(ઈ) અંતર્ગત ચૂંટણી લડવા માટે ગેરલાયક ઘોષિત થયેલો ઉમેદવાર અને સંસદસભ્ય કે વિધાનસભ્ય બન્યા બાદ ગુનેગાર સાબિત થયેલી વ્યક્તિ માટે અલગ-અલગ કાયદા ન ઘડી શકે.

(૩) ન્યાયિક વિલંબને કારણે ઉમેદવાર પોતાનો કાર્યકાળ પૂર્ણ ન કરી શકે તો કાયદાનો કોઈ અર્થ સરતો નથી.

(૪) જો ગુનેગાર વ્યક્તિને ગૃહના સભ્ય તરીકે ચાલુ રાખવામાં આવે તો ગૃહની મર્યાદા અને પવિત્રતા ન જળવાય.

(૫) ગુનેગાર વ્યક્તિને સંસદ કે વિધાનસભામાં કામ કરવા દેવાથી આવનારી યુવા પેઢી માટે સારાં ઉદાહરણ ઊભાં ન કરી શકાય.

columnists