ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા પછી પણ પગ જમીન પર રાખવાની કળાનું જ્વલંત ઉદાહરણ

06 June, 2019 03:10 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા પછી પણ પગ જમીન પર રાખવાની કળાનું જ્વલંત ઉદાહરણ

મિશેલ ઓબામા

આમ તો આ નામ સામાન્ય લોકોમાં તો હવે ભાગ્યે જ કોઈને યાદ હશે, મિશેલ ઓબામા. બરાક ઓબામાનાં વાઇફ. અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાનાં વાઇફ મિશેલે બુક લખી છે, જે તેમની બાયોગ્રાફી છે. નામ છે એનું ‘બીકમિંગ’. તમને વિચાર આવે કે બાયોગ્રાફી તો બરાક ઓબામાની વાંચવાની મજા આવે. તેમનાં વાઇફની બાયોગ્રાફીમાં શું દાટ્યું છે, પણ હું કહીશ કે જો બરાકની પણ બૅકસાઇડ વાંચવી હોય અને જો બરાકના સંઘર્ષને પણ નજીકથી જોવો હોય તો મિશેલ ઓબામાની બાયોગ્રાફી વાંચજો. ‘બીકમિંગ’ હમણાં જ વાંચવાની પૂરી કરી, જે વાંચતાં એક વાત તો સ્પષ્ટ થઈ કે જીવનમાં ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા પછી પણ પગ જમીન પર અકબંધ રાખવા હોય, જમીન પર સ્પર્શેલા રહેવા દેવા હોય તો તમારે ‘બીકમિંગ’ વાંચવી જ જોઈએ. ઉચ્ચ સ્થાન પર રહીને પણ વાસ્તવિકતા સ્વીકારતા રહેવાની અદ્ભુત કળા આ બાયોગ્રાફીમાં છે.

‘બીકમિંગ’માં મિશેલે બરાક સાથેના પોતાના પ્રેમની વાત પણ લખી છે અને બરાકના સંઘર્ષ વિશે પણ લખ્યું છે. બ્લૅકમૅન હોવા છતાં અમેરિકાએ કેવી રીતે તેને સ્વીકાર્યો અને એ સ્વીકાર પછી તે દુનિયાની મહાસત્તાનો પ્રેસિડન્ટ બન્યો એની તમામ વાતો પણ એમાં લખાયેલી છે. એ વાતોની સાથોસાથ મિશેલે આ બુકમાં એ પણ લખ્યું છે કે જો તમે કામ કરવા માટે રાજી હો તો મહાસત્તા જ શું કામ, આ પૂરી દુનિયાના પણ આરાધ્યદેવ બની શકો છો. અબ્રાહમ લિંકન અને હનુમાનનો ઉલ્લેખ પણ આ બાયોગ્રાફીમાં છે અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતોની વાતો પણ મિશેલે તેમની બાયોગ્રાફીમાં કર્યો છે. મિશેલની આ બાયોગ્રાફીમાં પોતાની અંગત વાતો પણ છે અને એ અંગત વાતોમાં બરાક હસબન્ડ તરીકે કેવો હતો એના કિસ્સાઓ પણ તેણે લખ્યા છે.

મિશેલ લખે છે કે તમે દેશ માટે કામ કરનાર વ્યક્તિ સાથે જ્યારે જોડાતાં હો છો ત્યારે બાંધછોડ તમારા પક્ષે જ આવતી હોય છે અને તમારે જ એ કરવી પડે. જો તમે એ ન કરી શકો તો દુખી પણ તમારે એકલાએ જ થવું પડે છે. બહેતર છે કે તમે માનસિકતા કેળવી લો અને દુખી ન થવાનો સરળ રસ્તો અપનાવીને તમારા પ્રિય પાત્રના કામને પણ સ્વીકારી લો.

આ પણ વાંચો : કૉલમ: સ્મૃતિ ધ જાયન્ટ ઈરાની

મિશેલે અહીં જે વાત કહી છે એ જ વાત મારે પણ કહેવી છે. દેશ માટે કામ કરનારાઓની વ્યાખ્યા બહુ ટૂંકી કે નાની રાખવાને બદલે એનો વિસ્તાર વધારીને જોજો તમે. સમાજની ચોથી જાગીર સાથે સંકળાયેલા લોકોના પરિવારજનોને સતત એવી ફરિયાદ રહે છે કે તેમને માટે સમય જ નથી હોતો, પણ એ વાતને ફરિયાદની જેમ લેવાને બદલે જરા એ રીતે વિચારજો કે તેની પાસે તમારે માટે સમય નથી; પણ તમારા દેશ માટે, તમારા શહેર માટે તેઓ પોતાનો સમય ખર્ચી રહ્યા છે અને એટલે જ તમારે માટે સમય નથી. ફરિયાદને ફરિયાદના રૂપમાં જોવાને બદલે જો એને સાચા દૃષ્ટિકોણથી જોવામાં આવે તો એ ફરિયાદ પણ અહોભાવ બની શકે છે. આ વાત બહુ સહજ અને સરળ રીતે મિશેલ ઓબામાની  ‘બીકમિંગ’માં સમજાવવામાં આવી છે. વાંચજો એક વાર, દરેક રીતે આંખો ખૂલી જશે.

manoj joshi columnists