આ નવરાત્રિએ નવ દીકરીઓનાં સપનાં પૂરાં કરવાનું સપનું જુઓ

30 September, 2019 05:23 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

આ નવરાત્રિએ નવ દીકરીઓનાં સપનાં પૂરાં કરવાનું સપનું જુઓ

નવરાત્રિ

આમ તો નવરાત્રિ આવે ત્યારે એક વાતનો ચચરાટ હજી પણ મનમાં પ્રગટી જાય. રાત્રે દસ પછી બંધ થઈ જતા માઇક સાથે જાણે કે આપણી ભાવનાઓને કોઈએ લાત મારી હોય એવી લાગણી થઈ આવે. આવું આપણા જ દેશમાં શક્ય બને. બહુમતીને દુઃખી કરવાનું કામ જો કોઈ કરી શકે તો એ હિન્દુસ્તાન જ હોઈ શકે. સુપ્રીમ કોર્ટે જે પ્રકારે બે વર્ષ પહેલાં ફટાકડાનો વિરોધ સ્વીકાર્યો હતો એ જ રીતે નવરાત્રિ સાથે પણ બન્યું હતું. અવાજનો ઘોંઘાટ નડતર બની રહ્યો છે, અવાજ પ્રદૂષણ ફેલાવે છે એવી અનેક દલીલો સાથે માગણી કરવામાં આવી હતી કે નવરાત્રિમાં રાતે દસ પછી માઇક અને સ્પીકર બંધ કરી દેવા, જેથી લોકો સૂઈ શકે. આ વાત મહારાષ્ટ્રમાં આંશિક રીતે સ્વીકારી લેવામાં આવી, જેનો સ્વીકાર આજે પણ, મારા જેવા અનેક લોકોને નાસૂર બનીને હૈયે ભોંકાય છે.

લોકશાહી દેશ છે એ કબૂલ, પણ લોકશાહી દેશને કારણ વિના સેક્યુલર બનાવવાની લાયમાં હિન્દુત્વનું અપમાન થાય એ ગેરવાજબી છે. આજે પણ અનેક તહેવારો એવા છે જે તહેવારોને અને હિન્દુઓને કશું લાગતું વળગતું નથી અને એ પછી પણ એ તહેવારો સાથે કોઈ જાતની કાયદાકીય આચારસંહિતા જોડવામાં નથી આવી. કારણ શું? શું હિન્દુઓને એ તહેવારોની નડતર નથી થતી કે પછી સૌથી વધુ તહેવાર આપણા હોવાનો અન્યાય કોઈને દેખાતો નથી?

નવરાત્રિમાં શનિ-રવિ માટે છૂટછાટો આપવામાં આવી છે, પણ એ છૂટછાટો એ વચગાળાની રાહત સમાન છે. એ રાહત આપવામાં ક્યાંક અને ક્યાંક ઉપકારની ભાવના પણ દેખાઈ આવે છે. નવરાત્રિ મારો ઉત્સવ છે, અમારો, આપણો ઉત્સવ છે. આ ઉત્સવનું સેલિબ્રેશન કોઈને નડતર બનતું હોય તો ઍટ લીસ્ટ સમજવું જોઈએ કે નડતર ક્યારેય કોઈ વાતની હોતી નથી અને એ ક્યારેય નુકસાનકર્તા પણ હોતી નથી. કબૂલ, માન્યું કે માંદગીના કે બીમારીના સમયે ઘોંઘાટ ન થવો જોઈએ અને એટલે જ હૉસ્પિટલની આજુબાજુમાં આવો ઘોંઘાટ કોઈ હિસાબે ચલાવી ન લેવો જોઈએ. કબૂલ કે સ્કૂલ કે ક્લાસિસ જેવા પ્રિમાઇસિસની આજુબાજુમાં પણ ઘોંઘાટ ન કરવાનો હોય, પણ ક્યારે ન કરવાનો હોય, જ્યારે ત્યાં ભણતરની કે પછી શીખવવાની પ્રક્રિયા ચાલી રહી હોય. ફિલ્મ લાઇન સાથે જોડાયેલો છું એટલે એ પણ કહીશ કે શૂટિંગ ચાલતું હોય તો એવા સમયે પણ કો-ઑપરેટ કરવાનું હોય પણ જો, એ સમય નવરાત્રિનો હોય તો એ સમયે શૂટિંગ કરનારા શખસોએ સહયોગ આપવાનો હોય.

આ પણ જુઓ : Navratri 2019:હજી બાકી છે શોપિંગ, તો પહોંચી જાવ આ ફેમસ માર્કેટમાં

વ્યક્તિની અવસ્થાને તમે જુઓ અને એવી રીતે સમય અને ઉત્સવની મજાને પણ તમે જુઓ. જો તમને એવું લાગતું હોય કે એવું કરવું ન જોઈએ તો એ ખોટી વાત છે. બીમારીને સાચવવાની જવાબદારી તમારી છે, છે અને છે જ, પણ સાથોસાથ ધર્મ અને ધર્મ સાથે જોડાયેલા ઉત્સવને સાચવી લેવાની જવાબદારી પણ સમાજની છે. ગણેશ ઉત્સવ વખતે રસ્તામાં થતો ટ્રાફિક એકેક વ્યક્તિ શું કામ હસતા મોઢે સ્વીકારી લે છે. શું કામ ક્રિસમસ કે મહોરમ સમયે બનતી નડતરની કોઈ ફરિયાદ કરવામાં નથી આવતી? કારણ કે એ ફરિયાદ નહીં કરીને સહિષ્ણુતા દર્શાવવાની જવાબદારી આ દેશની લોકશાહીમાં જોડાયેલી છે અને એ જ દર્શાવવાનું હોય જો તમે ઇચ્છતા હો તો.

navratri manoj joshi columnists