દોરડાની ગાંઠ (લાઇફ કા ફન્ડા)

18 June, 2019 11:36 AM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

દોરડાની ગાંઠ (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક દિવસ એક શિષ્યએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મને ગુસ્સો આવે છે એ ન આવે તે માટે શું કરું?’ બીજા શિષ્યએ પૂછ્યું, ‘અહંકાર દૂર કરવા શું કરું?’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘આજે સાંજે પ્રાર્થના પછી તમારા પ્રશ્નનો જવાબ આપીશ. સાંજે પ્રાર્થનામાં ભગવાન બુદ્ધ હાથમાં એક દોરડું લઈને આવ્યા. આસન પર બેસીને કંઈ બોલ્યા વિના ભગવાન બુદ્ધે દોરડામાં ત્રણ ગાંઠ મારી.

એમણે તરત પ્રશ્ન કર્યો, ‘મેં આ દોરડામાં ત્રણ ગાંઠ મારી છે, હવે તમે મને કહો કે આ દોરડું એ જ દોરડું છે જે ગાંઠો મારવા પહેલાં હતું?’ એક શિષ્ય બોલ્યો, ‘ગુરુજી આપના પ્રશ્નનો ઉત્તર આપવો કઠિન છે. એક દૃષ્ટિકોણથી આ દોરડું એ જ છે જેમાં કોઈ ફેરફાર નથી અને બીજી રીતે જોઈએ તો પહેલાં દોરડામાં કોઈ ગાંઠ ન હતી, હવે ત્રણ ગાંઠ છે. તેથી તેમાં બદલાવ આવ્યો છે તેમ કહી શકાય, પણ દેખાવમાં ભલે દોરડામાં બદલાવ આવ્યો હોય પણ તેનું મૂળ બંધારણ તો એ જ છે જે પહેલાં હતું, તેમાં કોઈ બદલાવ આવ્યો નથી.’

શિષ્યનો જવાબ સાંભળી ભગવાન બુદ્ધ બોલ્યા, ‘સત્ય વાત છે. હવે હું આ ગાંઠોને ખોલી નાખું છું.’ અને દોરડાના બંને છેડાને વિરુદ્ધ દિશામાં ખેંચવા લાગ્યા. એક શિષ્ય તરત બોલ્યો, ‘ના ગુરુજી એમ કરવાથી તો ગાંઠ સજ્જડ થઈ જશે તો ખોલવી વધુ મુશ્કેલ બનશે.’ ભગવાન બુદ્ધ બોલ્યા, ‘તો..તમે જ કહો આ ગાંઠ ખોલવા શું કરવું પડશે?’

બીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, ગાંઠ ખોલવા માટે આપણે આ ગાંઠોને એકદમ ધ્યાનથી જોવી પડશે જેથી આપણે જાણી શકીએ કે આ ગાંઠને કઈ રીતે લગાવવામાં આવી છે અને પછી આપણે તે ખોલવાનો પ્રયાસ કરી શકીએ.’

આ પણ વાંચો : હાર શું છે? (લાઇફ કા ફન્ડા)

ભગવાન બુદ્ધ હસ્યા...બોલ્યા, ‘બસ હું આ જ સાંભળવા માગતો હતો. હવે મારી વાત સમજો, તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તમે સૌથી પહેલાં તે સમસ્યાનું કારણ જાણો, કારણ જાણ્યા વિના નિવારણ શક્ય નથી. બધા કારણ જાણ્યા વિના નિવારણ કરવા ચાહે છે.’ ક્રોધ અને અહંકાર દૂર કરવાની વાત કરનાર શિષ્યોને પાસે બોલાવી ભગવાન બુદ્ધે કહ્યું, ‘તમે મને પૂછ્યું ક્રોધ અને અહંકાર દૂર કઈ રીતે કરું, પણ તમે મને એ ન પૂછ્યું કે ક્રોધ કેમ આવે છે અથવા અહંકારનું બીજ શું છે. જેમ દોરડામાં ગાંઠ મારવાથી દોરડાના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી તેમ મનુષ્યમાં વિકાર આવવાથી તેની અંદર સારપના બીજ મરતાં નથી. જેવી રીતે દોરડાની ગાંઠ ખોલી શકાય છે તેમ કોઈપણ સમસ્યા દૂર કરી શકાય છે. જીવનમાં સમસ્યા તો આવશે જ, પણ જો તેને બરાબર સમજવામાં આવે તો તે દૂર કરી શકાશે.’

columnists