ઈશ્વરની રચના ... (લાઇફ કા ફન્ડા)

22 May, 2019 01:49 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

ઈશ્વરની રચના ... (લાઇફ કા ફન્ડા)

ભગવાન બ્રહ્માજી શાંતિથી ધ્યાનમગ્ન હતા ત્યાં નારદજી તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ‘ભગવન, તમે સૃષ્ટિના રચયિતા છો. બધું જ તમે સરજ્યું છે, પણ માફ કરજો, તમારી થોડી ભૂલો થઈ છે.’ બ્રહ્માજી સ્મિત સાથે બોલ્યા, ‘દેવર્ષિ નારદ, મારી એવી તે કઈ ભૂલો છે જરા જણાવો તો ખરા.’ નારદજીએ કહ્યું, ‘ભગવન, હમણાં જ સૃષ્ટિ પર જઈ આવ્યો. લોકો અનાજ માટે વલખાં મારે છે. ભૂખ્યા મરે છે અને બીજી બાજુ અનાજ બગડી જતાં અન્ન ફેંકાય છે, આવું કેમ? અન્ન માનવજાતના પોષણ માટે જરૂરી છે તો પછી તમે અનાજમાં કીડા પડી જાય એવું શું કામ કર્યું. એ અન્નમાં કીડા ન પડે અને એ ન બગડે એવી વ્યવસ્થા કરી હોત તો કોઈએ ભૂખ્યા ન રહેવું પડત.’

બ્રહ્માજીએ કહ્યું, ‘નારદ, માનવનો લોભ તને ખબર નથી. જો અનાજમાં કીડા ન થતા હોત તો માનવ એનો હીરા-મોતી, સોના-ચાંદીની જેમ સંગ્રહ કરત અને ત્યારે તો અત્યારથી વધારે લોકો ભૂખ્યા મરત અને અનાજ માટે લોહિયાળ જંગ થાત.’

નારદજીએ કહ્યું, ‘બીજી વાત. તમે કેટલી મહેનત અને લગ્નથી આ માનવનું સર્જન કર્યું છે. તેને સુંદર શરીર આપ્યું, પણ આ કેવી ગોઠવણ કે માણસનો પ્રાણ જાય એટલે એ શરીરમાંથી દુર્ગંધ આવવા માંડે? આવું શું કામ પ્રભુ?’ બ્રહ્માજીએ કહ્યું, ‘નારદ, માનવનો મોહ કેટલો અંધ છે ખબર છેને. જો મૃત શરીરમાંથી દુર્ગંધ ન આવતી હોત તો માનવ ક્યારેય પોતાના પ્રિયજનોને આખરી વિદાય આપત નહીં અને દુનિયા પ્રાણવિહીન શરીરોથી ઊભરવા લાગત.’

નારદજીએ આગળ કહ્યું, ‘પ્રભુ, તમે બધાનું સર્જન કર્યું. તમે પરમપિતા છો તો તમે માનવને માત્ર ખુશી, આનંદ અને સ્મિત આપવાને બદલે જોડે જોડે દુ:ખ-શોક અને આંસુ પણ શું કામ આપ્યાં?’ બ્રહ્માજીએ કહ્યું, ‘સુખ-દુ:ખ તો હું ક્યાંથી આપી શકું. એ તો કર્મ પ્રમાણે મળે છે. હા હોઠો પર સ્મિતની સાથે-સાથે મેં માનવને આંખોમાં આંસુ આપ્યાં છે.

આ પણ વાંચો : સંપ (લાઇફ કા ફન્ડા)

જ્યારે-જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે માનવ આંસુ વહાવીને પોતાનાં દુ:ખ-સંકટના ભારને હળવો કરી શકે છે અને ધીમે-ધીમે ભૂલવા લાગે છે. જો એમ ન હોત તો દુ:ખ અને નિરાશાના અંધકાર જ હોત. આનંદ અને સ્મિત સાથે જીવી જ ન શકત.’

columnists