કૉલમ: જો સંઘર્ષ હશે તો જ એ સમય તમને યાદ રહેશે

08 May, 2019 12:49 PM IST  |  મુંબઈ | દિલ સે દિલ તક - પંકજ ઉધાસ

કૉલમ: જો સંઘર્ષ હશે તો જ એ સમય તમને યાદ રહેશે

સંઘર્ષ

સંઘર્ષ તમને ક્યાંક અને ક્યાંક સંતોષ આપવાનું કામ કરે છે અને સંઘર્ષ પછી મળેલી સફળતાને પચાવવાની ક્ષમતા પણ આ સંઘર્ષ જ આપે છે. એવું નથી કે સીધી સફળતા મેળવનારાઓ એ સફળતાને પચાવી નથી શકતા, ના, એવું જરા પણ નથી. પણ હા, મોટા ભાગે એવું બનતું હોય છે કે આ રીતે મળેલી સફળતા પછી નિષ્ફળતા જોવાની આવે ત્યારે એ નિષ્ફળતાને સ્વીકારવાનું કામ અઘરું થઈ જતું હોય છે.

લોકો કહે છે કે જીવનમાં મેં પુષ્કળ સંઘર્ષ કર્યો છે. મને સંઘર્ષ વિશે વારંવાર પુછાયું છે. આજે પણ આ પ્રfન પુછાતો જ રહે છે. લગભગ દરેક પ્રેસ કૉન્ફરન્સમાં આ સવાલ પુછાયો છે અને મને મળનારા તમામ પત્રકારે મને આ સવાલ કર્યો છે, પણ અંગત રીતે હું નથી માનતો કે મેં કોઈ એવો મોટો સંઘર્ષ કર્યો હોય. કરીઅરના અત્યારના તબક્કે પહોંચ્યા પછી હું આ વાતને આ જ સ્વરૂપમાં કહી શકું છું. સંઘર્ષનું એવું છે કે એ જીવનમાં હોવો જોઈએ, એ મળવો જોઈએ અને એ થવો જ જોઈએ. બહુ જૂનો એક શેર છે, જે હું પણ ગાઈ ચૂક્યો છું.

સુર્ખ-રૂહ હોતા હૈ ઇન્સાન ઠોકરેં ખાને કે બાદ,

રંગ લાતી હૈ હીના પથ્થર પે પીસ જાને કે બાદ

જો સંઘર્ષ કરો, મહેનત કરો તો જ તમને એ તબક્કાની યાદો રહે. સંઘર્ષ જીવનમાં હોય તો એ તમારા માટે વાગોળવાની ક્ષણ છે અને જો તમને જીવનમાં વાગોળવાની ક્ષણો જોઈતી હોય તો તમારે સંઘર્ષની તૈયારી રાખવી પડે. બીજી પણ એક ખાસ વાત મારે તમને સૌને કહેવી છે. આજે કરેલો સંઘર્ષ સફળતા મળ્યા પછી સંઘર્ષ ન પણ લાગે. બની શકે કે આજનો સંઘર્ષ આવતી કાલે તમને બહુ સહજ અને સામાન્ય લાગે. મારી સાથે પણ એવું જ થયું છે એવું મને લાગે છે.

સિત્તેરના દશકમાં મેં કરીઅરની શરૂઆત કરી અને ૧૯૭૧માં મેં સિંગર બનવાનું નક્કી કર્યું ત્યારનો જે સમય હતો એ સમયમાં લેજન્ડ સિંગર ઇન્ડસ્ટ્રી પાસે હતા. મહમદ રફી, મુકેશ, મન્ના ડે, તલત મહેમૂદ, કિશોર કુમાર જેવા અનેક દિગ્ગજ અને પ્રથમ હરોળના સિંગર હતા. તેમની કૉમ્પિટિશનનો તો વિચાર કરવો પણ યોગ્ય ન કહેવાય. બીજું કે, ગઝલ સિન્ગિંગ મને માફક આવતું હતું. હું નમþતા સાથે કહીશ કે મારી એમાં હથરોટી હતી, પણ એમાં મેં તો નવી શરૂઆત કરવાની દિશા પકડી હતી. ગયા વીકમાં તમને કહ્યું એમ, ગાયકીનો નવો અંદાઝ, નવા શાયર અને નવા પ્રકારના મ્યુઝિક સાથે મેં શરૂઆત કરી હતી. આ વિશે ગયા બુધવારે વિગતવાર વાત કરી છે તમને એટલે એના વિશે અત્યારે વધુ વાત નથી કરતો, પણ હા, મને એ ખાસ કહેવું છે કે એ સમય અને આજના સમય વચ્ચે બહુ મોટો ફરક હતો. એ સમયમાં આજના સમય જેટલાં મીડિયમ નહોતાં. એ સમયે ફિલ્મ સિવાય બીજું કોઈ મીડિયમ નહોતું. બીજું હતું એ ક્લાસિકલ મ્યુઝિકનું મીડિયમ, પણ એ બહુ લિમિટેડ હતું. આગળ કહ્યું એમ, જો ફિલ્મનું મીડિયમ હોય તો એ ક્ષેત્રમાં બહુ કડક કૉમ્પિટિશન હતી અને એ કૉમ્પિટિશન માટે તો એવી પરિસ્થિતિ હતી કે દૂરદૂર સુધી ક્યાંય થઈ શકે નહીં.

વાત રહી ગઝલની તો એ સમયમાં ગઝલ માટે ખાસ કોઈ મીડિયમ નહોતું. એટલો સ્કોપ પણ નહોતો એટલે સ્ટ્રગલ એ હતી કે ગઝલના ફીલ્ડમાં કામ કરવું તો કરવું કેવી રીતે. આઉટલેટ તો કોઈ હતાં જ નહીં કે જ્યાંથી તમે તમારી કળા દર્શાવી શકો કે લોકો સુધી પહોંચાડી શકો. ટીવી તો હજુ સુધી આવ્યું જ નહોતું. ગઝલ માટે કૉન્સર્ટ થતી પણ એને કૉન્સર્ટનું નામ આપવું પણ જરા પણ ઠીક ન કહેવાય. મહેફિલ કહી શકાય. ટેરેસમાં કે ઘરમાં કે પછી મોટી બાલ્કની હોય તો એ બાલ્કનીમાં વીસ-પચીસ-પચાસ લોકો એ સાંભળે એવી મહેફિલ. આ પ્રકારની મહેફિલમાં કામ બરાબર થવા માંડ્યું, લોકો બોલાવવા લાગ્યા અને એનાં વખાણ પણ થવા માંડ્યાં. હવે વાત એ આવી કે ગઝલ રેકૉર્ડ કરીએ, પણ એ સમયે તો એક જ રેકૉર્ડ કંપની હતી. મ્યુઝિક ઇન્ડિયા. હવે પરિસ્થિતિ એવી કે મ્યુઝિક ઇન્ડિયા પાસે એટલું કામ હતું કે એની પાસે નવા ગઝલ સિંગર્સ માટે જગ્યા જ નહોતી, પણ એમ છતાં હું મારી રીતે કોશિશ કરતો રહ્યો, પણ આ કોશિશમાં ખાસ કંઈ વાત બનતી નહોતી અને એક સમય એવો આવ્યો કે હું હારી ગયો.

૧૯૭૫-૭૬નો એ સમયગાળો અને હું બિલકુલ નાસીપાસ થઈ ગયો. વીસ-પચીસ અને પચાસ લોકોની સામે ગાઈગાઈને તમે કેટલું ગાઈ શકો અને ક્યાં સુધી તમે એ રીતે ગાઈ શકો. ઑડિયન્સનો પ્રfન નહોતો, પણ વાત એ હતી કે સમય પસાર થતો હતો. હું ખરેખર અંદરથી તૂટી ગયો. આજે આ વાત યાદ આવે છે ત્યારે ખરેખર હસવું આવે છે પણ આ હકીકત હતી. આજુબાજુમાં અંધકાર જ દેખાતો હતો અને હવે રસ્તો નહીં જ મળે એવું મને લાગવા માંડ્યું હતું. મેં ગાયકી છોડી દેવાનું નક્કી કર્યું અને નક્કી કરી લીધું કે ઇન્ડિયામાં રહેવું નથી. નક્કી કર્યા પછી મેં ફૉરેન જવાના પ્લાન પણ બનાવવા માંડ્યા અને એ જ પિરિયડમાં મને ચાન્સ પણ મળી ગયો અમેરિકા-કૅનેડા જવાનો અને મેં કોઈ પણ જાતની રાહ જોયા વિના બૅગ પૅક કરી લીધી. પહોંચી ગયો અમેરિકા.

અમેરિકા અને એ પછી કૅનેડામાં હું લગભગ એકાદ વર્ષ રહ્યો અને ત્યાં સેટ થવાની સ્ટ્રગલ શરૂ કરી દીધી, પણ મ્યુઝિક, ગઝલ અને શાયરી મારાથી દૂર થઈ શકે નહીં. એવી હાલત થાય કે આખો દિવસ હું સેટ થવા માટે સ્ટ્રગલ કરતો રહું, પણ સાંજ પડે એટલે હાર્મોનિયમ યાદ આવે અને હાર્મોનિયમ લઈને હું બેસી જઉં. કાં તો ગઝલને રાગમાં ગોઠવવાના કામે લાગું, કાં તો કમ્પોઝિશન તૈયાર કરું ને બીજું કંઈ કામ ન હોય તો એમ જ નિજાનંદ માટે ગાતો હોઉં. છેવટે બન્યું એવું કે મારા આ શોખની વાત બહાર પણ ખબર પડવા માંડી અને મેં કૅનેડામાં એકબે પ્રોગ્રામ કર્યા અને ધૂમ મચી ગઈ. મેં પણ ધાર્યું નહોતું એવો સરસ રિસ્પૉન્સ મળ્યો અને એ રિસ્પૉન્સની સાથે જ મારી કૅનેડામાં પણ ગઝલ કરીઅર શરૂ થઈ ગઈ. ધૂમ પ્રોગ્રામો થાય અને પછી તો અમેરિકાથી પણ બોલાવવામાં આવે.

ગઝલ નથી ગાવી એવું નક્કી કરીને હું ઇન્ડિયાથી નીકળ્યો અને અમેરિકા-કૅનેડામાં પણ ગઝલે જ મને પકડી લીધો, જકડી લીધો.

અમેરિકા-કૅનેડામાં મેં અઢળક પ્રોગ્રામ કર્યા અને પ્રોગ્રામ પૂરો થયા પછી એક જ વાત બધા કરે કે મારે અમેરિકામાં રહેવું જ ન જોઈએ, મારે તો ઇન્ડિયામાં હોવું જોઈએ અને અહીંયાં ગઝલો ગાવી જોઈએ. મને રિયલાઇઝ થવા માંડ્યું કે વાત સાચી છે, મારે પાછા જ જવું જોઈએ અને ત્યાં જઈને સંઘર્ષ કરવો જોઈએ અને હું મારા દિલની વાત માનીને, મારા મનની વાત સાંભળીને ૧૯૭૭ના જાન્યુઆરીમાં ફરી ઇન્ડિયા આવ્યો.

જાન્યુઆરીમાં પાછા આવીને મારા સંઘર્ષનો નવો દોર શરૂ થયો. આ નવા દોર સાથે નવી એનર્જી પણ હતી અને એ એનર્જી વચ્ચે જ મેં નવા મ્યુઝિક આલબમ બનાવવા માટે પણ શરૂઆત કરી. આજે તમને ખબર છે કે સવારે સીડી રેકૉર્ડ કરો, સાંજે તમે એને રિલીઝ પણ કરી શકો અને રાત સુધીમાં તમે મૅક્સિમમ સિટીમાં એ પહોંચાડી પણ શકો, પણ એ સમયે એવું નહોતું. એ સમયમાં આલબમ માટે ખાસ્સી એવી જહેમત લેવી પડતી અને એ જહેમત જ જીવન છે એવું પણ મેં મનમાં ઠસાવી દીધું હતું. આ જ એ સમય હતો જે સમયે મેં પહેલી વખત એ શેર વાંચ્યો જે આજના ટાઇટલનું હેડિંગ છે.

સુર્ખ-રૂહ હોતા હૈ ઇન્સાન ઠોકરેં ખાને કે બાદ,

રંગ લાતી હૈ હીના પથ્થર પે પીસ જાને કે બાદ.

પિસાવાનું મારે હતું અને રંગ આપવાનું કામ ઈશ્વરના હાથમાં હતું.

આ પણ વાંચો : પ્રથમ ગ્રાસે મક્ષિકા:મુહૂર્તના સમયે જ પ્રોડ્યુસર ને લતેશભાઈ વચ્ચે વાંકું પડ્યું

અમેરિકા-કૅનેડામાં મેં અઢળક પ્રોગ્રામ કર્યા અને પ્રોગ્રામ પૂરો થયા પછી એક જ વાત બધા કરે કે મારે અમેરિકામાં રહેવું જ ન જોઈએ, મારે તો ઇન્ડિયામાં હોવું જોઈએ અને અહીંયાં ગઝલો ગાવી જોઈએ. મને રિયલાઇઝ થવા માંડ્યું કે વાત સાચી છે, મારે પાછા જ જવું જોઈએ અને ત્યાં જઈને સંઘર્ષ કરવો જોઈએ અને હું મારા દિલની વાત માનીને, મારા મનની વાત સાંભળીને ૧૯૭૭ના જાન્યુઆરીમાં ફરી ઇન્ડિયા આવ્યો.

columnists pankaj udhas