કોવિડે મોઢું ફાડી લીધું છે, એમાં દાખલ થવું કે નહીં એ તમારા હાથમાં છે

22 November, 2020 08:18 PM IST  |  Mumbai | Manoj Joshi

કોવિડે મોઢું ફાડી લીધું છે, એમાં દાખલ થવું કે નહીં એ તમારા હાથમાં છે

કોવિડે મોઢું ફાડી લીધું છે, એમાં દાખલ થવું કે નહીં એ તમારા હાથમાં છે

ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં રાત્રિ-કરફ્યુ અચોક્કસ મુદત માટે લાગુ કરી દેવામાં આવ્યો છે, તો હરિયાણામાં શરૂ થયેલી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ આંશિક રીતે માર્કેટ બંધ કરી દેવામાં આવી તો સાથોસાથ મૅરેજ જેવા ફંક્શનમાં ૨૦૦ લોકોની આપવામાં આવેલી પરમિશન પણ કૅન્સલ કરીને ૫૦ની કરી નાખવામાં આવી છે. રાજસ્થાને પુસ્કરનો મેળો રદ કરી નાખ્યો છે અને સ્વામીનારાયણ સંપ્રદાયે પણ કોવિડને કારણે અનેક જગ્યાએ મંદિરો બંધ કરી દીધાં છે. વીરપુરમાં જલારામબાપાના મંદિરેથી સત્તાવાર જાહેરાત થઈ છે કે આ વર્ષે જલારામ જયંતીની ઉજવણી સાદગી સાથે ઘરમાં જ કરજો. સમજવા માટે આટલી વાત પૂરતી છે કે હજી જગતનાં ઉદાહરણો આપવાનાં છે?
કોવિડે સેકન્ડ ફેઝમાં એન્ટર થવા માટે થનગનાટ શરૂ કરી દીધો છે. આ થનગનાટ હવે એક જ કારણથી રોકી શકાય એમ છે, ઘરમાં રહીને. આપણે હજી પણ સમજી નથી રહ્યા. હા, આપણે એટલે મુંબઈકર. મુંબઈકર બહાર જે રીતે ભાગી રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે તેને અભયનું વરદાન મળ્યું છે. એવું લાગે છે જાણે તે અમરપટ્ટો લઈને આવ્યો હોય. જો એવું હોય તો પણ યાદ રાખજો, રાવણનું અભિમાન ભેદવા માટે ભગવાન શ્રીરામ હતા. અમરપટ્ટાને ભેદવા માટે કોવિડનો જન્મ થયો છે. કોવિડ કોઈનો સગો નથી થતો, કોવિડ કોઈનો વહાલો નથી બનવાનો. એને નથી જ્ઞાતિની ખબર કે નથી એ ધર્મ જાણતો. એ તો તમારામાં દાખલ થવાનો રસ્તો શોધે છે અને એ રસ્તો એને આપણે આપતાં અટકાવવાનો છે.
કોવિડનું સંક્રમણ મુંબઈમાં કેટલું વધ્યું છે અને કેવું વધી શકે એમ છે એના વિશે વિસ્તૃત ચર્ચા થઈ શકે એમ છે, પણ એ ચર્ચા કરવાને બદલે કરવાનું એ છે કે જરૂરી ન હોય એવા સમયે બહાર નીકળવાનું ટાળી દો. બહાર નીકળવાનું ટાળો અને સાથોસાથ બહાર રખડનારાઓને પણ ઘરમાં આવતા બંધ કરો. કોવિડ હવે ખતરનાક રીતે વધી શકે એમ છે. માર્ચ મહિનાનો સમયગાળો જુદો હતો. એ સમયે લોકોમાં કોરોના પ્રત્યે જાગરૂકતા હતી, પણ હવે આ સમય બદલાયો છે. હવે આ સમયે લોકોમાં કોરોના પ્રત્યે બેદરકારી છે. કોરોનાથી કશું થવાનું નથી એવા ભ્રમ વચ્ચે સૌકોઈ રખડી રહ્યા છે. રખડતા આ લોકોને કોરોનાની ગંભીરતા એ સમયે સમજાશે જે સમયે તેમનો કોઈ સ્વજન અડફેટે ચડશે? એ સમયે સમજાશે જે સમયે નજીકનું કોઈ ભોગ બનશે? એ સમયે જો આંખ ખૂલવાની હોય તો તમારાથી મોટું મૂર્ખ બીજું કોઈ નથી. કાઢ્યો છે એટલો અને એવો સમય હવે કાઢવાનો નથી, એ નક્કી છે. દેશથી માંડીને દુનિયાઆખી અત્યારે આ વાઇરસને ખતમ કરવાની દોટમાં છે. હરીફાઈ છે કે વહેલું કોણ આ સિદ્ધિ હાંસલ કરે અને આ હરીફાઈમાં ઇન્ડિયા પણ અગ્રીમ સ્થાને છે. ગઈ કાલે જ વડા પ્રધાન મોદીએ વૅક્સિન માટે મીટિંગ કરી અને એ મીટિંગમાં વૅક્સિન સંદર્ભના ૪૨ મુદ્દાઓની ચર્ચા થઈ. કાઢ્યો, પસાર કર્યો એટલો સમય પસાર નથી કરવાનો હવે. ઉપાય હાથવેંતમાં છે એટલે સંયમ પણ હાથવેંતમાં રહે એ બહુ જરૂરી છે.

manoj joshi columnists