01 January, 2021 03:11 PM IST | Mumbai | Manoj Joshi
નવું વર્ષ 2021
ફાઇનલી, ફાઇનલી ૨૦૨૦ પૂરું થયું. તોબા પોકારી દેનારું હતું આ વર્ષ. ધારણા નહોતી રાખી કે ૨૦૨૦નો ૯૦ ટકા હિસ્સો ઘરમાં બેસીને પસાર કરવાનો આવશે. મનમાં પણ નહોતું, દૂર-દૂર સુધી કોઈ કલ્પના નહોતી કરી એ બધું વીતેલા વર્ષે દેખાડ્યું અને એ જોયા પછી આજે એક જ વાત કહેવાનું મન થાય છે, ૨૦૨૧નું આ નવું વર્ષ સૌકોઈને ફળે અને દરેકની માટે શુભાશિષ લઈને આવે. આ માત્ર શુભેચ્છા નથી, પણ આ દરેકેદરેક વ્યક્તિની અંતરની ઇચ્છા છે. માણસ જાતિ પર નવેસરથી ભરોસો બેસી જાય એવું વિકરાળ રૂપ આપણને ૨૦૨૦એ દેખાડ્યું છે. જંગલનાં પ્રાણીઓ શહેરમાં જોવાં મળ્યાં એવી ખામોશી દુનિયાભરમાં પથરાઈ ગઈ હતી. વર્ષ શરૂ થયું ત્યારે વિચાર્યું નહોતું કે આખી ડાયરી કોરી રહી જવાની છે, પણ એ રહી ગઈ. વર્ષ શરૂ થયું ત્યારે વિચાર્યું નહોતું એવી-એવી વ્યક્તિએ સાથ છોડ્યો.
જન્મ છે એનું મરણ છે. સનાતન સત્ય ધરાવતી આ હકીકત જાણતા હોવા છતાં વીતેલા વર્ષ દરમ્યાન મોતનો ઓછાયો વધારે આક્રમક રહ્યો. મરણ પછી રૂબરૂ જઈ પણ શકાયું નહીં. એક સમય હતો કે જ્યારે એવું બનતું તો સંકોચ થતો અને સંબંધોને શરમ આવતી, પણ ૨૦૨૦એ તો એ શરમ અને સંકોચનો પણ ધ્વંશ કર્યો. નહીં ભુલાય ૨૦૨૦ની આક્રમકતા અને ૨૦૨૦ની નિર્દયતા પણ. કબૂલ કે કોરોનાએ પુષ્કળ શીખવ્યું વીતેલા વર્ષે અને એ હજી પણ શીખવશે. એમ છતાં, ૨૦૨૦એ જે શ્વાંગ ધર્યો હતો એની આછીસરખી પણ કલ્પના કોઈને નહોતી. ધંધાપાણીથી માંડીને રોજગાર સુધ્ધાંને એની અસર પહોંચી તો લાગણીઓની બાબતમાં ધારહિન કરવાનું કામ પણ વીતેલા વર્ષે કર્યું. કામ પ્રત્યે અણગમો આપવાનું કામ પણ આ જ વર્ષે કર્યું અને ભારતના ભાવિને નુકસાન પહોંચાડે એ રીતે એજ્યુકેશનની આખી સાઇકલ વિખેરવાનું કામ પણ આ જ વર્ષ દરમ્યાન થયું. ૨૦૨૦નો રંગ જુદો હતો. એણે સૃષ્ટિને સાચવી લેવાનું કામ કર્યું તો સાથોસાથ એણે દોટને રોકવાનું કામ પણ કર્યું. મુંબઈ ક્યારેય લોકલ વિના કલ્પી નહોતી શકાતી, પણ ૨૦૨૦એ એ કલ્પનાને તાદૃશ્ય કરીને દેખાડી દીધી.
પુષ્કળ આયોજન થયાં હતાં, પ્લાનિંગ થયાં હતાં. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો સામે ટાર્ગેટ હતા તો સરકાર પાસે અઢળક યોજનાઓ હતી, પણ એ બધું કાગળ પર રહી ગયું. માણસ પામર બની ગયો અને માણસને પામર બનાવવાનું કામ ૨૦૨૦એ કરી લીધું, પણ હવે એટલી જ અપેક્ષા રાખીએ ૨૦૨૧ પાસે કે માણસને લાચાર નહીં કરતો અને માણસાઈને ઉજાગર કરવા જતાં નાસૂર બનીને હૈયામાં પીડા નહીં આપતો. આગલા વર્ષની આક્રમકતા ભૂલીશું નહીં, પણ તું તારી ક્રૂરતાને કાબૂમાં રાખજે. માણસ છીએ, ભૂલ કરી બેસીએ તો એ સુધારવાની દિશામાં કામ પણ કરીશું, પરંતુ તું એ સુધારો કરવાની દિશામાં પ્રયાણ નહીં કરતો. ઘા રુઝાવવાનું કૌવત ધરાવીએ છીએ અને એ પછી પણ આકરી પીડા સહન કરીએ છીએ આજે પણ, બસ તું એ પીડા પર મલમ બનવાનું કાર્ય કરજે. બસ, તું અંધકાર વચ્ચેથી પરમ પ્રકાશ તરફ આગળ ધપાવી જજે.