હું ન હોત તો શું થાત (લાઇફ કા ફન્ડા)

12 December, 2019 02:45 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

હું ન હોત તો શું થાત (લાઇફ કા ફન્ડા)

યુદ્ધ જીતીને અયોધ્યા જતાં પહેલાં ભગવાન રામ કહે છે, ‘હનુમાન, આ વિજય તમારે લીધે જ શક્ય બન્યો છે. પવનપુત્ર આપના વિના આ સંભવ હતું જ નહીં.’
હનુમાનજી આ સાંભળીને શ્રીરામજીનાં ચરણો પકડી રડવા લાગે છે.
ભગવાન શ્રીરામ, હનુમાન, શું થયું? પૂછતાં ઊભા કરી ગળે લગાવે છે.
હનુમાનજી પ્રભુ રામને ભેટીને રડે છે અને કહે છે, ‘પ્રભુ, આપે મારી પર અપરંપાર કૃપા કરી છે. આપની કૃપાથી હું સમુદ્ર પાર કરી રાવણની લંકામાં પહોંચ્યો. અશોક વાટિકામાં રાવણ સીતા માતાને તલવાર કાઢી મારવા દોડ્યો તો મને થયું, આ રાવણની તલવાર છીનવી તેનું માથું ધડથી જુદું કરી નાખું, પણ મેં જોયું, મંદોદરીએ રાવણનો હાથ પકડી તેને રોકી લીધો. એ ક્ષણે આપે મારી પર કૃપા કરી. જો હું સીતા માતાને બચાવવા કૂદી પડત તો મને ભ્રમ થઈ જાત કે હું ન હોત તો શું થાત?’
રામ બોલ્યા, ‘હનુમાન, એ કામ તારું ન હતું.’
હનુમાનજીએ કહ્યું, ‘હા પ્રભુ, આપે એ કામ મંદોદરી પાસે કરાવ્યું. આપ જેની પાસે ઇચ્છો એ કામ કરાવી શકો છો. હું સીતા માતાને મળવા ઝાડ પર છુપાઈને બેઠો હતો ત્યારે માતા ત્રિજટા અન્ય રાક્ષસીઓને કહે છે કે મને સપનું આવ્યું છે અને સપનામાં એક વાનરે લંકામાં આગ લગાવી. ત્યારે મને ચિંતા થઈ કે પ્રભુ, લંકામાં આગ લગાડવાનો સંકેત આપે છે, પણ હું એ કેવી રીતે કરીશ? મારી પાસે તો આગ લગાવવા માટે જરૂરી કોઈ સાધન પણ નથી. બરાબર ત્યારે રાક્ષસોએ મારા પર હુમલો કર્યો. મેઘનાદ મને બ્રહ્માસ્ત્રથી બાંધી રાવણ પાસે લઈ ગયો. રાવણ મને મારી જ નાખત, પણ વિભિષણે દૂતને મારવો નીતિ વિરુદ્ધ છે એમ કહ્યું અને આમ આપે મને બચાવવાનું કામ વિભિષણ પાસે કરાવ્યું.’
પ્રભુ રામ મંદ-મંદ સ્મિત કરતાં હનુમાનજીની વાત સાંભળી રહ્યા હતા. હનુમાનજીએ આગળ કહ્યું, ‘પ્રભુ, બધું આપ ચાહો એમ જ થાય છે એની મને વધુ એક ખાતરી થઈ જ્યારે રાવણે મારી પૂંછડી બાળવાનો હુકમ કર્યો. મારી પૂંછડી પર કપડું તેલમાં ડુબાડી બાંધી આગ લગાવવાનો હુકમ રાવણે આપ્યો અને હું સમજી ગયો કે ત્રિજટા માતાનું સપનું હવે સાચું પડશે. મારી પાસે તો આગ લગાવવા માટેની કોઈ સામગ્રી હતી જ નહીં, પણ તમે એ કામ રાવણ દ્વારા જ કરાવ્યું. પ્રભુ, તમે રાવણ પાસે તમારી ઇચ્છા મુજબ કામ કરાવી શકો તો પછી મારી પાસે તો કરવી જ શકોને. કોઈ કામ મેં નથી કર્યું, આપની કૃપાથી થયું છે.’
રામાયણની આ વાત પરથી સમજો કે બધું પ્રભુની ઇચ્છા પ્રમાણે થાય છે. આપણે તો કેવળ નિમિત્ત માત્ર છીએ માટે ક્યારેય એવો ભ્રમ ન રાખવો કે આ કામ મેં કર્યું છે અને હું ન હોત તો શું થાત?

columnists