અડદમાં પુરવઠાખેંચથી તેજી, ભાવ વધુ વધવાની આગાહી

25 May, 2023 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂન અંત સુધીમાં અડદના ભાવમાં વધુ ૫૦૦ રૂપિયાની તેજી આવી શકે : અડદના ટેકાના ભાવ ૬,૬૦૦ સામે બજારભાવ ૯,૩૦૦ રૂપિયાની ઉપર

પ્રતીકાત્મક તસવીર

કઠોળ બજારમાં અડદની બજારો ભડકે બળવા લાગી છે અને પુરવઠા ખેંચને પગલે બજારમાં હજી પણ તેજી થાય એવી આગાહીઓ આવી રહી છે. ગુજરાતમાં ઉનાળુ અડદની આવકો શરૂ થવા લાગી છે, પરંતુ બજારનો ટ્રેન્ડ હાલ પૂરતો મજબૂત દેખાઈ રહ્યો છે. ઍનલિસ્ટો કહે છે કે આ વર્ષે અડદના ઉત્પાદનમાં પણ ઘટાડો થવાનો અંદાજ છે. કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ ૨૦૨૨-’૨૩માં અડદનું ઉત્પાદન ૨૬.૮ લાખ ટન રહેવાનો અંદાજ છે, જે એક વર્ષ અગાઉના ૨૭.૮ લાખ ટનથી ૩.૪ ટકા ઓછો છે.

અડદના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કઠોળ મહારાષ્ટ્રના લાતુરના મુખ્ય બજારમાં ૯,૩૭૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલોના ભાવે વેચાયું હતું, જે ૬,૬૦૦ રૂપિયાના લઘુતમ ટેકાના ભાવ કરતાં ખૂબ વધારે છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. કૉમોડિટી રિસર્ચ કંપનીના જણાવ્યા અનુસાર જૂનના અંત સુધીમાં અડદના ભાવ ૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલો વધવાની ધારણા છે.
કઠોળના ભાવમાં વધારો સીપીઆઇ ફુગાવા પર ઊલટું દબાણ લાવે એવી શક્યતા છે, જે એપ્રિલમાં નવેમ્બર ૨૦૨૧ પછી પ્રથમ વખત પાંચ ટકાથી નીચે આવી ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના ડેટા અનુસાર મે મહિનામાં અત્યાર સુધીમાં અડદના ભાવ સરેરાશ ૯,૮૬૮ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલો છે, જે મહિનામાં એક ટકો વધ્યા છે.

આઇએફસી ફર્સ્ટ બૅન્કના અર્થશાસ્ત્રી ગૌરા સેન ગુપ્તાએ જણાવ્યું હતું કે કઠોળના ભાવમાં એક ટકાનો વધારો ગ્રાહક આધારિત ફુગાવામાં ૦.૦૨ ટકાનો વધારો કરે છે. ઍક્સિસ કૅપિટલના મુખ્ય અર્થશાસ્ત્રી પૃથ્વીરાજ શ્રીનિવાસે જણાવ્યું હતું કે ‘કઠોળમાં વધતો ફુગાવો મોટા ભાગે તુવેરદાળની તેજીને કારણે છે. ભૂતકાળમાં કઠોળની અછત, જેમ કે ૨૦૧૯-’૨૦માં આયાતમાં વાર્ષિક ધોરણે ૩૯ ટકા અને ભાવમાં વાર્ષિક ધોરણે ૧૬.૫ ટકા વધારો થયો હતો. કઠોળની આયાત, મૂલ્યની દૃષ્ટિએ એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૬૪ ટકા વધી હતી.

business news commodity market