મોંઘવારીનો માર : કાંદા બાદ હવે તુવેરદાળનો ભાવ 100 રૂપિયાને પાર

29 November, 2019 11:50 AM IST  |  New Delhi

મોંઘવારીનો માર : કાંદા બાદ હવે તુવેરદાળનો ભાવ 100 રૂપિયાને પાર

તુવેરદાળ

કાંદાના આસમાને પહોંચેલા ભાવથી બેહાલ થયેલા લોકો પર ટૂંક સમયમાં મોંઘવારીનો બીજો મોટો ઘા વાગવા જઈ રહ્યો છે. દેશનાં મોટાં મહાનગરો - દિલ્હી, કલકત્તા અને ચેન્નઈમાં કાંદાના ભાવ ૧૦૦થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે જો માર્કેટમાં કાંદાની સપ્લાય નહીં વધે તો ભાવો આનાથી પણ વધુ વધી શકે છે.

બીજી તરફ, દિલ્હીમાં તુવેર ૯૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે. સરકારે તુવેરદાળની આયાતનો ૪ લાખ ક્વૉટા નક્કી કર્યો છે. જોકે, વેપારીઓએ હજી સુધી ૨.૧૫ લાખ ટન જ આયાત કરી છે. એવામાં સરકાર ડેડલાઇન ૩૧ ડિસેમ્બર સુધી વધારવાની તૈયારી કરી રહી છે.

મૂળે સરકારે પહેલાં તમામ વેપારીઓને આદેશ આપતાં વિદેશોથી ખરીદેલી દાળને ઑક્ટોબર મહિનામાં જ ભારત લાવવાના નિર્દેશ આપી દીધા હતા, પરંતુ હવે આ તારીખને આગળ વધારીને ૧૫ નવેમ્બર ૨૦૧૯ કરી દીધી હતી. જોકે, વેપારીઓની માગ તારીખને વધારીને ૩૧ ડિસેમ્બર સુધી કરવાની કરી હતી.

સૂત્રો મુજબ હજી સુધી સવાબે લાખ ટન દાળ આયાત થઈ છે. સરકાર ફરી એક વાર ડેડલાઇન વધારવાની તૈયારી કરી ચૂકી છે. નોંધનીય છે કે સરકાર ૩૧ ડિસેમ્બર સુધી આયાતની ડેડલાઇન વધારી શકે છે. આ પહેલાં પણ સરકારે ૧૫ નવેમ્બર સુધી તુવેર આયાતની ડેડલાઇન વધારી હતી.

business news