14 September, 2021 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કંપનીઓને આશ્વાસન આપતાં કહ્યું છે કે અર્થતંત્રમાં હવે નાણાંની પ્રવાહિતાની મોટી સમસ્યા નથી. સરકાર ૧૫ ઑક્ટોબરથી ધિરાણ આપવા માટેની યોજનાનો અમલ કરવાની છે.
સરકારના આ પગલાથી તહેવારોની મોસમમાં અર્થતંત્રની સુધારણા માટે યોગ્ય વાતાવરણ સર્જાશે અને નિકાસ જેવાં ક્ષેત્રોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળી રહેશે.
નોંધનીય છે કે સરકારે વર્ષ ૨૦૧૯માં આવી જ યોજના અમલમાં મૂકી હતી, જેમાં બૅન્કોએ ૪૦૦ જિલ્લાઓમાં લોન મેળા આયોજિત કર્યા હતા તથા આશરે ૪.૯ ટ્રિલ્યન રૂપિયાનું ઋણ આપ્યું હતું.
નાણાપ્રધાને ચેન્નઈમાં કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સભ્યોને સંબોધતાં કહ્યું હતું કે રિઝર્વ બૅન્કે નાણાંની પ્રવાહિતા વધારવા માટે ઓપન માર્કેટ ઓપરેશન્સ હાથ ધર્યા છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટની યોજના યોગ્ય માર્ગે આગળ વધી રહી છે. એ ઉપરાંત સરકાર દ્વિતીય અને તૃતીય સ્તરનાં શહેરોમાં આરોગ્યની માળખાકીય સુવિધાઓ વધારવા માટે કામ કરી રહી છે.