આજે રાતનાં 12:30 વાગ્યાથી 24x7 માટે શરૂ થશે RTGS સુવિધા

13 December, 2020 08:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે રાતનાં 12:30 વાગ્યાથી 24x7 માટે શરૂ થશે RTGS સુવિધા

ફાઈલ ફોટો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે જાહેરાત કરી હતી કે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) હવે અઠવાડિયાના સાત દિવસ, દિવસના 24 કલાક ચાલું રહેશે. આ સુવિધા 14 ડિસેમ્બર 2020 થી શરૂ થશે. નોંધપાત્ર બાબત એ છે કે RBIએ NEFT સેવા પહેલાથી જ 24x7 કરી દીધી છે.

આરબીઆઈએ કહ્યું કે, હવે ભારતને વિશ્વભરના કેટલાક દેશોની યાદીમાં શામેલ કરવામાં આવશે જ્યાં RTGS 24x7 ઉપલબ્ધ હશે. આ ફેરફારોની જાહેરાત RBIનાં ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા થોડા દિવસો પહેલા મળેલી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી.

 RTGS સિસ્ટમનો ઉપયોગ મૂળભૂત રીતે વધુ રકમનાં વ્યવહારો માટે કરવામાં આવે છે. તે રીઅલ-ટાઇમ બેઝિસ પર થાય છે. જ્યારે RTGS માટેની લઘુત્તમ રકમ 2 લાખ રૂપિયા છે, મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. આ વ્યવસ્થામાં, પૈસા તરત જ ટ્રાન્સફર કરી શકાય છે.

જુલાઈ 2019 થી RBIએ NEFT અને RTGS પર કોઈ વધારાનો ચાર્જ વસૂલવાનું બંધ કરી દીધું હતું. આની પાછળનો હેતુ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો હતો.

RTGS સુવિધા 26 માર્ચ 2004 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તેમાં ફક્ત 4 બેંક હતી. હાલમાં RTGS અંતર્ગત દરરોજ 6.35 લાખ ગ્રાહકો, 4.17 લાખ કરોડ રૂપિયાનો વ્યવહાર કરે છે. હાલમાં, 237 બેંકોમાં આ સુવિધા છે. RTGS ISO 20022 ફોર્મેટનો ઉપયોગ કરે છે. નાણાકીય વ્યવહારો માટે આ બેસ્ટ ઇન ક્લાસ મેસેજિંગ સ્ટાન્ડર્ડ છે. RBIએ વધુમાં કહ્યું કે, દિવસ-રાત ટ્રાન્ઝેક્શન ચાલુ રહેવાથી વ્યાપારમાં લેવડ-દેવડની પ્રક્રિયામાં વેપારીઓને સરળતા રહેશે.

reserve bank of india business news