29 August, 2020 10:42 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ આજે ફ્યુચર ગ્રૂપ પાસેથી આશરે રૂપિયા 24,713 કરોડમાં તેના રિટેલ લોજિસ્ટીક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. બન્ને કંપનીઓ વચ્ચે આ ડીલ એક વિશેષ સ્કીમ અંતર્ગત થઈ રઈ છે. જેમાં ફ્યૂચર ગ્રૂપ ભવિષ્યમાં બિઝનેસ કરનારી કેટલીક કંપનીઓને ફ્યૂચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ (FEL)માં વિલય કરી રહ્યું છે.
આ સાથે ફ્યુચરની રિટેલ એન્ડ હોલસેલ ક્ષેત્રની કંપનીને રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઈફસ્ટાઈલ લિમિટેડ (RRFLL)માં ટ્રાન્સફર કરવામાં આવશે. લોજીસ્ટીક્સ એન્ડ વેરહાઉસિંગ કામકાજને પણ RRVLમાં ટ્રાન્સફર કરવામાં આવશે. RRFLL ઈક્વિટી મર્જર બાદ 6.09 ટકા હિસ્સો હસ્તગત કરવા FELના ઈક્વિટી શેરોના પ્રેફરેન્સિયલ ઈશ્યુમાં રૂપિયા 1,200 કરોડનું રોકાણ કરશે. ઈક્વિટી વોરન્ટ્સના પ્રેફરન્સિયલ ઈસ્યુમાં રૂપિયા 400 કરોડનું રોકાણ કરશે, જે ઈસ્યુ પ્રાઈઝના 75 ટકા રૂપાંતરણ અને બેલેન્સની ચુકવણીને આધિન રહેશે, આ સાથે જ RRFLL દ્વારા FELનો વધારાનો 7.05 ટકા હિસ્સો હસ્તગત કરશે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સના નિર્દેશક ઈશા અંબાણીએ કહ્યું હતું કે, આ હસ્તાંતરણને લગતી સમજૂતી કરવા સાથે જ અમે ફ્યુચર ગ્રૂપના ફોર્મેટ્સ તથા બ્રાન્ડ્સને વધુ સારું સ્વરૂપ આપતા તેમ જ ભારતની આધુનિક ક્રાંતિમાં અગત્યની ભૂમિકા ભજવનાર બિઝનેસ ઈકોસિસ્ટમને સુરક્ષિત રાખવા બદલ અમે ખુશી અનુભવી રહ્યાં છીએ. નાના વેપારીઓ-કિરાણા તેમ જ વિશાળ કદની કન્ઝ્યુમર બ્રાન્ડ સાથે સક્રિય સંકલન ધરાવતા અમારા ઉત્તમ મોડેલ સાથે અમે રિટેલ ઉદ્યોગમાં વૃદ્ધિને વેગ આપવાની કામગીરીના જાળવી રાખશું. અમે સમગ્ર દેશમાં અમારા ગ્રાહકોને યોગ્ય સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
ફ્યુચર ગ્રુપના રિટેલ, હોલસેલ અને સપ્લાઈ ચેઈનના કારોબારનું હસ્તાંતરણ રિલાયન્સ રિટેલના કારોબારમાં મજબૂત વ્યૂહાત્મક સ્થિતિ માટે ફિટ બેસે છે. તે રિલાયન્સ રિટેલને આ પડકારજનક સમયમાં નાના વેપારીઓને તેમની સ્પર્ધાત્મકતા વધારવા તથા તેમની આવક વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે અને તેમને યોગ્ય ટેકો પૂરો પાડશે. અલબત આ હસ્તાંતરણ SEBI, CCI, NCLT, શેરધારકો, ધિરાણકર્તાઓ તેમ જ હિતધારકોની મંજૂરીને આધિન છે.