પંજાબમાં ઘઉંની ખરીદી માટે આરબીઆઇએ ૨૧,૬૫૮ કરોડ રૂપિયા રિલીઝ કર્યા

07 April, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં ફરી ઘટાડો થવાની સંભાવના

પ્રતીકાત્મક તસવીર

પંજાબમાં ઘઉંની ખરીદી માટે આરબીઆઇએ ૨૧,૬૫૮ કરોડ રૂપિયા રિલીઝ કર્યા

દેશમાં ઘઉંના અગ્રણી ઉત્પાદક રાજ્ય પંજાબમાં ઘઉંની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ખરીદીમાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ચાલુ સપ્તાહે ૨૧,૬૫૮ કરોડ રૂપિયાની કેસ ક્રેડિટ લિમિટ રિલીઝ કરી છે. પંજાબ સરકાર દ્વારા રાજ્યમાંથી ઘઉંની કુલ ૧૦૫.૬૦ લાખ ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક છે.

સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની એમએસપીથી ખરીદી કર્યા બાદ એજન્સી દ્વારા ખેડૂતોને સમયસર ઘઉંની ખરીદીનાં નાણાંની ચુકવણી થાય એ હેતુથી આ નાણાંની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં ઘઉંની ખરીદી ૧૦ એપ્રિલથી શરૂ થશે અને ૩૧ મે સુધી ખરીદી ચાલુ રહેવાની છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ઘઉંની એમએસપી પ્રતિ ક્વિન્ટલ ૧૯૭૫ રૂપિયા જાહેર કરી છે.

 

કાંદામાં મંદીથી ખેડૂતો સ્ટૉક કરવા તરફ વળ્યા

કાંદામાં સતત ઘટી રહેલા ભાવ અને નિકાસમાગ એકદમ ઓછી હોવાથી મહારાષ્ટ્રના નાશિક પંથકના અનેક ખેડૂતોએ કાંદાને બજારમાં વેચાણ કરવાને બદલે વેરહાઉસ બુક કરીને સ્ટૉક કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે ખેડૂતો આગોતરા આયોજન રૂપે વેરહાઉસ બુક કરીને કાંદા સ્ટૉક કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કાંદાના ભાવ ઘટીને ક્વિન્ટલના ૯૦૦ રૂપિયાની અંદર આવી ગયા છે, બીજી તરફ ખેડૂત સંગઠનો દ્વારા કાંદાના લઘુતમ ભાવ ૩૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળે તેવી માગણી થઈ રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતો બહુ નુકસાન ન જાય એ હેતુથી સ્ટૉક કરવા લાગ્યા છે.

કાંદામાં હાલ નિકાસમાગ એકદમ ઠંડી છે અને લોકલમાં પણ કોરોના વાઇરસના વધી રહેલા કેસને પગલે માગ એકદમ ઘટી ગઈ છે, જેને પગલે કાંદાના ભાવ હજી ચાલુ મહિનામાં વધે તેવા કોઈ ચાન્સ નથી. નાફેડ દ્વારા ખરીદી ચાલુ મહિનામાં શરૂ થશે, પરંતુ તેની ખરીદી ખૂબ જ નીચા ભાવથી થઈ રહી હોવાથી અને મામૂલી જ ખરીદી થતી હોવાથી તેની કોઈ જ અસર બજાર ઉપર જોવા મળતી નથી.

 

ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં ફરી ઘટાડો થવાની સંભાવના

વૈશ્વિક તેજીને પગલે ઘરઆંગણે ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત ડ્યુટીને લઈને ફરી સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવ બમણા સુધી વધી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એમ્પાવર્ડ ગ્રુપ ઑફ મિનિસ્ટર ટૂંક સમયમાં જ ખાદ્યતેલની વધેલી ડ્યુટીને લઈને સમીક્ષા કરે તેવી સંભાવના છે.

ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા અંગેની દરખાસ્ત કેન્દ્રીય ગ્રાહક મંત્રાલય દ્વારા સરકારને મોકલવામાં આવી છે જેને પગલે સરકારના આ ગ્રુપ દ્વારા તેની સમીક્ષા થશે અને ડ્યુટીમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે.

કેન્દ્ર સરકારને ડ્યુટી ઘટાડાની સાથે તેલીબિયાંના ભાવ બહુ ઘટી જાય અને ખેડૂતોની બૂમ મચે તેનો પણ ડર છે, જેને પગલે આ અગાઉ એક-બે વાર ડ્યુટી વધારાની દરખાસ્ત સરકારે ફગાવી હતી. તાજેતરમાં વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે પણ સંસદમાં ખાદ્યતેલના ભાવની સમીક્ષા કરવાનું નિવેદન આપ્યું હતું, પરંતુ ત્યાર બાદ કોઈ નિર્ણય લેવાયો નહોતો. હવે ભાવ બહુ વધી ગયા હોવાથી સરકાર આ અંગેનો નિર્ણય લઈ શકે છે.

ભારતીય બજારમાં સોયાબીન વાયદો એક વર્ષમાં ૪૦ ટકા જેટલો વધીને ૬૪૦૦ રૂપિયાની ઉપર પહોંચ્યો છે. ભારતમાં તમામ ખાદ્યતેલ અને તેલીબિયાંના ભાવ હાલ તેની સર્વોચ્ચ સપાટી ઉપર પહોચ્યા છે.

 

નાફેડે ચણાની એમએસપીથી દેશભરમાં ૧.૨૪ લાખ ટનની ખરીદી કરી: જોકે વધુ ચણા ખરીદવાની સરકારની દાનત નથી

દેશમાં ચણાની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ખરીદી ચાલુ વર્ષે ખૂબજ  ધીમી ચાલી રહી છે અને સીઝનનો એક મહિનો વીતી જવા છતાં હજી સરકારી એજન્સીઓએ સમગ્ર દેશમાંથી ચણાની એમએસપીથી કુલ ૧.૨૪ લાખ ટનની ખરીદી કરી છે, જેમાં સૌથી વધુ ખરીદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી થઈ છે. મધ્ય પ્રદેશમાંથી ચાલુ વર્ષે ખરીદી બે વાર પાછી ઠેલાણી હોવાથી ત્યાં હજી ખરીદી શરૂ જ થઈ છે.નાફેડના એક અગ્રણી અધિકારીના કહેવા પ્રમાણે સમગ્ર દેશમાં આ વર્ષે ચણાની પ્રતિ ખેડૂત ખરીદી ગત વર્ષની તુલનાએ ઓછી કરવાની સરકારે સૂચના આપી છે. જેમ કે ગુજરાતમાં ગત વર્ષે ૧૨૫ મણની પ્રતિ ખેડૂત ખરીદી થઈ હતી જેની તુલનાએ આ વર્ષે માત્ર ૫૦ મણની જ ખરીદી કરવામાં આવી રહી છે. એ જ રીતે બીજાં રાજ્યોમાં પણ ખરીદી ઓછી છે અને સારી ક્વૉલિટીના જ ચણા ખરીદવામાં આવી રહ્યા હોવાથી ખરીદી એકદમ ઓછી થવા જઈ રહી છે.માર્ચ અંત સુધીમાં ચણાની સમગ્ર દેશમાંથી કુલ ખરીદી ૧,૨૪,૧૩૦.૮૪ ટનની થઈ છે, જેમાંથી સૌથી વધુ ખરીદી મહારાષ્ટ્રમાંથી ૬૦૨૨૦.૭૪ ટનની થઈ છે, જ્યારે બીજા નંબરે ગુજરાતમાંથી ૪૬૧૮૧ ટનની ખરીદી થઈ છે. આ ઉપરાંત નાફેડે આંધ્ર પ્રદેશમાંથી પણ ૨૩૭૭ ટન, તેલંગણામાંથી ૫૭૬૦ ટન, કર્ણાટકમાંથી ૯૦૯૦ ટનની ખરીદી કરી છે. જ્યારે ચણાના અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા મધ્ય પ્રદેશમાંથી ચણાની ખરીદી આ વર્ષે બે વાર પાછી ઠેલાઈ હતી અને આખરે ૨૭ માર્ચથી ખરીદી શરૂ કરવામાં આવી છે, જેને પગલે ત્યાં માત્ર ૫૦૦ ટનની જ ખરીદી થઈ છે.ચણાના વેપારીઓ કહે છે કે સરકારની આ વર્ષે ચણાની મોટી ખરીદી કરવાની દાનત નથી, કારણ કે આ વર્ષે ચણા મફત વિતરણ થવાના નથી.

business news