ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં થતો પ્રૉફિટ ટૅક્સેબલ?

20 November, 2021 03:56 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

આવા પ્રકારની જોગવાઈ બજેટમાં કરવાની સરકારની વિચારણા ચાલી રહી છે

પ્રતીકાત્મક તસવીર

સરકાર ક્રિપ્ટોકરન્સીને કરવેરાની જાળ હેઠળ લાવવા માટે આવકવેરા કાયદામાં ફેરફાર કરવા વિચારી રહી છે, જેમાંથી કેટલાક ફેરફાર આવતા વર્ષના બજેટનો ભાગ બની શકે છે, એમ ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું છે.

મહેસૂલ સચિવ તરુણ બજાજે પીટીઆઇ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવકવેરાની વાત કરીએ તો કેટલાક લોકો પહેલેથી જ ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર મૂડીલાભ કરવેરો (કૅપિટલ ગેઇન્સ ટૅક્સ) ચૂકવી રહ્યા છે. ગુડ્સ અૅન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ના સંદર્ભમાં પણ કાયદો ‘ખૂબ સ્પષ્ટ’ છે. અન્ય સેવાઓ માટે જીએસટીનો જે દર છે એ લાગુ કરવામાં આવશે. 
ક્રિપ્ટો ટ્રેડિંગ સંબંધે ટૅક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ)ની જોગવાઈ કરવામાં આવશે કે કેમ એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે નવો કાયદો લાવવાની વાત થશે ત્યારે નક્કી કરીશું કે ખરેખર શું કરવાનું છે, જોકે એટલી વાત સ્પષ્ટ છે કે જે લોકો આવક રળતા હશે એમણે કરવેરો ચૂકવવો પડશે. અમુક લોકો ક્રિપ્ટોકરન્સીને ઍસેટ ગણીને તેના પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ચૂકવી જ રહ્યા છે. 

શું ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકોને ફેસિલિટેટર, બ્રોકરેજ અને ટ્રેડિંગ પ્લૅટફૉર્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે કે કેમ અને જીએસટી હેઠળ કરવેરો કેવી રીતે લેવામાં આવશે તે અંગે પૂછવામાં આવતાં બજાજે જણાવ્યું હતું કે અન્ય સેવાઓ માટે લાગુ થતો જીએસટીનો દર આ ક્ષેત્રે પણ લાગુ થશે. ટ્રેડિંગ કરનારાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જીએસટી કાયદો ખૂબ જ સ્પષ્ટ છે. જો કોઈ પ્રવૃત્તિ થતી હોય અને જો કોઈ બ્રોકર હોય જે લોકોને મદદ કરી રહ્યો હોય અને બ્રોકરેજ ફી લેતો હોય તો જીએસટી લેવામાં આવશે.

દરમ્યાન સરકાર ૨૯ નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર દરમ્યાન ક્રિપ્ટોકરન્સી સંબંધે બિલ રજૂ કરે તેવી શક્યતા છે. કથિતપણે ગેરમાર્ગે દોરનારા દાવાઓ સાથે રોકાણકારોને આવી કરન્સીમાં રોકાણ કરવા માટે લલચાવવામાં આવી રહ્યા છે એ બાબતે ચિંતા વ્યક્ત થઈ છે. 

નોંધનીય રીતે તાજેતરના સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સહેલાઈથી વળતર મળશે એવું વચન આપતી જાહેરાતોની સંખ્યા વધી રહી છે. જાહેરખબર કરવામાં ફિલ્મસ્ટાર્સ પણ સામેલ છે.
હાલમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ પર કોઈ નિયમન કે કોઈ પ્રતિબંધ નથી. આ પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે વરિષ્ઠ અધિકારીઓ સાથે ક્રિપ્ટોકરન્સી પર બેઠક યોજી હતી. હવે એવા સંકેત મળ્યા છે કે આ મુદ્દે કડક નિયમનકારી પગલાં લેવામાં આવી શકે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં બીજેપીના સભ્ય જયંત સિન્હાની અધ્યક્ષતા હેઠળની ફાઇનૅન્સ પરની સ્ટેન્ડિંગ કમિટીએ ક્રિપ્ટો એક્સચેન્જો, બ્લૉકચેઇન ઍન્ડ ક્રિપ્ટો એસેટ્સ કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં, પરંતુ તેનું નિયમન કરવું જોઈએ.
રિઝર્વ બૅન્કે વારંવાર ક્રિપ્ટોકરન્સી વિરુદ્ધ મંતવ્યો આપ્યાં છે અને કહ્યું છે કે આ કરન્સી દેશના મેક્રો ઇકોનૉમિક અને નાણાકીય સ્થિરતા માટે ગંભીર ખતરો છે તેમ જ તેમાં વેપાર કરનારા રોકાણકારોની સંખ્યા તેમ જ તેમના દાવા કરાયેલ બજારમૂલ્ય શંકાસ્પદ છે.

ગવર્નર શક્તિકાંત દાસે પણ આ મહિનાની શરૂઆતમાં ક્રિપ્ટોકરન્સીને મંજૂરી આપવા સામેનાં તેમનાં મંતવ્યોનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે તે કોઈ પણ નાણાકીય સિસ્ટમ માટે એ ગંભીર ખતરો છે, કારણ કે તે કેન્દ્રીય બૅન્કો દ્વારા નિયંત્રિત નથી.

માર્ચ ૨૦૨૦ની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકતા રિઝર્વ બૅન્કના પરિપત્રને રદબાતલ ઠેરવ્યો હતો. આને પગલે ૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રિઝર્વ બૅન્કે પોતાના ડિજિટલ ચલણનું મોડેલ સૂચવવા માટે આંતરિક પૅનલની સ્થાપના કરી હતી.

બીટકૉઈન જેવી ક્રિપ્ટોકરન્સીના પ્રસારને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્કે સત્તાવાર ડિજિટલ ચલણ લાવવાના તેના ઇરાદાની જાહેરાત કરી છે.
ખાનગી ડિજિટલ કરન્સી-વર્ચ્યુઅલ કરન્સી-ક્રિપ્ટોકરન્સીઓ છેલ્લા એક દાયકામાં લોકપ્રિય બની ગઈ છે.

business news