23 September, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
નવી સીઝનમાં ભેજ, બ્રોકન ચોખા સહિતના ગુણવત્તાના માપદંડો કડક બનાવ્યા
કેન્દ્ર સરકારે ચાલુ ખરીફ સીઝનમાં ડાંગર અને ચોખાની ટેકાના ભાવથી સરકારી ખરીદી માટેના નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. એ ગ્રેડના ચોખા માટે ફોર્ટિફાઇડ ચોખાને લગતા નિયમો હવે એકસરખા લાગુ પાડવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છે. ફોર્ટિફાઇડ ચોખાના સ્ટૉક માટે કોમન ડાંગરની ખરીદી કરવામાં આવશે તો એમાં એક ટકો ફોર્ટિફાઇડ ડાંગરનું મિશ્રણ કરવામાં આવશે. આ ઉપરાંત બ્રોકન ચોખા, ભેજ સહિતના મુદ્દાને પણ કડક બનાવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર નવા નિયમનો તબક્કા વાર ચોખા બાદ જુવાર, બાજરી, મકાઈ અને રાગીમાં પણ લાગુ પાડશે. સરકાર દ્વારા ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ અને બીજી સરકારી યોજનાની જરૂરિયાત માટે હવે ફોર્ટિફાઇડ અનાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે નવો નિયમ ઘડ્યો છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતના મંત્રાલયે દેશમાં આગામી ખરીફ સીઝનમાં એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ખરીદી માટે જરૂરી નિયમોની યાદી જાહેર કરી દીધી છે અને એ માપદંડોને ધ્યાનમાં રાખીને જ નવી ખરીદી કરવામાં આવશે. નવા નિયમોમાં બ્રોકન ચોખાનો નિયમ પણ ૨૫ ટકાથી ઘટાડીને હવે ૨૦ ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ભેજનું પ્રમાણ પણ ૧૫ ટકાથી ઘટાડીને ૧૪ ટકા કરવામાં આવ્યું છે. જ્યારે ડેમેજ દાણા ત્રણ ટકાથી ઘટાડીને હવે બે ટકા સુધી જ લેવામાં આવશે. લાલ દાણા અગાઉ ત્રણ ટકા સુધી સ્વીકારવામાં આવશે, પરંતુ હવે નવી ગાઇડલાઇન્સ પ્રમાણે લાલ દાણા હશે તો એની ખરીદી કરવામાં આવશે નહીં. ડાંગરમાં ભેજનું પ્રમાણ ૧૭ ટકાથી ઘટાડીને ૧૬ ટકા કરવામાં આવ્યું છે, જ્યારે ફૉરેન મેટરની માત્રા પણ બે ટકાથી ઘટાડીને એક ટકા કરવામાં આવી છે.
ઑગસ્ટમાં ભારતના ક્રૂડ ઑઇલના ઉત્પાદનમાં ૨.૩ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમના કેજી-ડી૬ ક્ષેત્રોમાં ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિને પગલે નૅચરલ ગૅસનું ઉત્પાદન ૨૦ ટકા કરતાં વધુ વધ્યું છે. બુધવારે જાહેર થયેલા સરકારી આંકડાઓ પરથી આ માહિતી મળી છે.
ઑગસ્ટમાં ક્રૂડ ઑઇલનું ઉત્પાદન ઘટીને ૨.૫૧ મિલ્યન ટન થયું હતું, કારણ કે સરકારી માલિકીની ઑઇલ એન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) કંપની દ્વારા સંચાલિત ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટ્યું હતું.
ભારત તેની તેલની ૮૫ ટકા જરૂરિયાત પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. સરકાર લાંબા સમયથી સ્થાનિક ઉત્પાદન વધારવાની રીતો શોધી રહી છે, જેથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય.
ભારતની સૌથી મોટી લિસ્ટેડ ટીવી નેટવર્ક કંપની-ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા (એસપીએનઆઇ) સાથે ભળી જવાની છે.
ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે (ઝીલ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોની કંપની તેમાં ૧.૫૭૫ અબજ ડૉલરનું રોકાણ કરશે અને એકત્રિત થયેલી કંપનીમાં ૫૨.૯૩ ટકા હિસ્સો પ્રાપ્ત કરશે. ઝીલ પાસે ૪૭.૦૭ ટકા હિસ્સો રહેશે.
તાજેતરમાં ટોચના રોકાણકારો – ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્સ ફન્ડ અને ઓએફઆઇ ગ્લોબલ ચાઇના ફન્ડ એલએલસીએ સંચાલકોમાં ફેરફાર કરવા માટે માગણી કરી હતી. એમણે ચીફ એક્ઝિક્યુટિવ પુનિત ગોએન્કાને હાંકી કાઢવાની માગણી કરી હતી. આ બન્ને રોકાણકારો મળીને ઝીલમાં ૧૭.૯ ટકા હિસ્સો ધરાવે છે.
ઉક્ત સોદા દ્વારા એકત્રિત થનારી કંપનીના મોટા ભાગના બોર્ડ સભ્યોને સોની કંપની નામાંકિત કરશે. સોદાની શરતો અનુસાર ગોએન્કા બોર્ડનું નેતૃત્વ કરશે.
આ સોદાનો ઉદ્દેશ્ય ૧૯૯૨માં કંપની સ્થાપનારા સુભાષચંદ્રના પરિવારના કંપની પરના દબદબાનો અંત લાવવાનો હોવાનું કહેવાય છે.