23 October, 2021 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
તાજેતરમાં જ રાજ્ય કક્ષાનાં ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશે અંદાજ વ્યક્ત કર્યો છે કે ભારતીય ટેક્સટાઇલની નિકાસ ૧૦૦ અબજ ડૉલરને પાર થશે.
સીઆઇઆઇની એક ઇવેન્ટમાં તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં દેશના ટેક્સટાઇલની નિકાસ ૧૦૦ અબજ ડૉલરે પહોંચાડવાનો લક્ષ્ય કેન્દ્રનો છે. અમે આ લક્ષ્યને પુરો કરવા માટે વિવિધ યોજનાઓ લાવી રહ્યા છીએ અને એ તરફ પગલાં લઈ રહ્યાં છીએ.
સરકારે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન ઍન્ડ એપરલ (મિત્ર) યોજનાની જાહેરાત કરી છે જેમાં પ્રતિ પાર્ક ૩૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ પાર્કમાં ઉત્પાદન એકમોને તેમના કુલ વેચાણ ટર્નઓવરમાં ત્રણ ટકા ઇન્સેન્ટિવ આપવામાં આવશે.
ભારતની વિદેશી હૂંડિયામણની અનામત ૧૫ ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૧.૪૯૨ અબજ ડૉલર વધીને ૬૪૧.૦૦૮ અબજ ડૉલર થઈ ગઈ છે.
રિઝર્વ બૅન્કે જાહેર કરેલા આંકડાઓ મુજબ ૮ ઑક્ટોબરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં અનામત ૨.૦૩૯ અબજ ડૉલર વધીને ૬૩૯.૫૧૬ અબજ ડૉલર થઈ હતી. તેની પહેલાં ૩ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં અનામત ૬૪૨.૪૫૩ અબજ ડૉલરની વિક્રમી સપાટીએ પહોંચી હતી.
સરકાર સંચાલિત નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશને (એનટીપીસી) ૧ મિલ્યન ટન આયાતી કોલસાની પ્રાપ્તિ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. હાલ દેશમાં વીજનિર્માણ પ્લાન્ટ્સમાં કોલસાની અછત નડી રહી છે ત્યારે બે વર્ષના ગાળા બાદ પહેલી વાર આ ટેન્ડર બહાર પડાયું છે.
કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ ટેન્ડર દસ્તાવેજ મુજબ પ્રાપ્ત થનારા કોલસાનો ઉપયોગ વીજનિર્માણ પ્લાન્ટમાં થશે. આ ઉપરાંત કંપનીએ દામોદર વેલી કૉર્પોરેશન દ્વારા કોલસાની આયાત માટે ટેન્ડર બહાર પાડ્યું હતું.
પ્રાઇસ ડિસ્કવરીના હેતુસર વાયદા ચાલુ રાખવાની જરૂર હતી : અતુલ ચતુર્વેદી
રાયડો-સરસવના ભાવમાં આસમાની તેજીને રોકવા માટે કૉમોડિટી વાયદા બજારના નિયંત્રક એવા સેબીએ એનસીડેક્સમાં ચાલતા વાયદાને રાતોરાત બંધ કરવાને બદલે સમયસર યોગ્ય પગલાંઓ લીધાં હોત તો વાયદો બંધ કરવાની જરૂર ન પડત, એવો અભિપ્રાય સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)એ વ્યક્ત કર્યો છે.
સીના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સેબીએ ૮ ઑક્ટોબરે નવો વાયદો શરૂ ન કરવા અને માત્ર પોઝિશન સ્કેવરએપ કરવાની છૂટ આપી હતી. એના બદલે એક્સચેન્જે શરૂઆતના સમયમાં જ માર્જિનમાં ફેરફાર કરીને અને સર્કિટ ફિલ્ટરમાં ફેરફાર કરીને પગલાંઓ લીધાં હોત તો આ પરિસ્થિતિ ઊભી જ ન થાય. પ્રાઇસ ડિસ્કવરીના હેતુસર ઉદ્યોગ અને ખેડૂતોને વાયદા મદદરૂપ થાય છે. વાયદાને સીધી ગોળી મારી દેવી એ ભાવ ઘટાડવાનો ઉપાય ન હોય શકે એમ અંતમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાયડા વાયદો બંધ કર્યા બાદ પણ ભાવમાં ખાસ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. દેશમાં હાજર માલની તંગી હોવાથી રાયડાના ભાવ ઊંચા જ જોવા મળ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલ-તેલીબિયાંના ભાવ ઘટાડવાના હેતુસર વાયદા ઉપર પણ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે, પંરતુ એના બદલે વાયદા સટ્ટો બનવાને બદલે હેજિંગનું ટુલ્સ બને એ રીતે સમયસર પગલાં લેવાય તો કૃત્રિમ ભાવવધારો અટકાવી શકાય એમ છે.
એચડીએફસી લાઇફ ઇન્સ્યૉરન્સ કંપનીનો વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો લગભગ ૧૬ ટકા ઘટીને ૨૭૫.૯૧ કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષે સમાન અરસામાં નફો ૩૨૭.૮૩ કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં કંપનીની કુલ આવક ગયા વર્ષના ૧૬,૪૨૬.૦૩ કરોડ રૂપિયાથી વધીને ૨૦,૪૭૮.૪૬ કરોડ રૂપિયા થઈ હતી. પ્રીમિયમની ચોખ્ખી આવક પાછલા વર્ષના ૧૦,૦૫૬.૭૧ કરોડ રૂપિયાથી વધીને ૧૧,૪૪૫.૫૩ કરોડ રૂપિયા થઈ હતી. કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ નવા બિઝનેસનું મૂલ્ય ગયા વર્ષની તુલનાએ ૩૦ ટકા વધીને ૧૦૮૬ કરોડ રૂપિયા થયું હતું.