News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

27 November, 2021 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

વિપિન સોંધી

અશોક લેલૅન્ડ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિપિન સોંધીએ રાજીનામું આપ્યાનું કંપનીએ ગુરુવારે જાહેર કર્યું હતું. તેઓ અંગત જવાબદારીઓને કારણે પદ છોડી રહ્યાનું જણાવવામાં આવ્યું છે. ધીરજ હિન્દુજા તત્કાળ અમલથી તેમના અનુગામી બનશે. 
કંપનીએ નિવેદનમાં જણાવ્યા મુજબ નવા એમડી-સીઈઓની નિમણૂક કરવા માટે ટૂંક સમયમાં કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠક મળશે. બિઝનેસનું કામકાજ ખોરવાય નહીં એ માટે ધીરજ હિન્દુજાને થોડા સમય માટે પદ ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યું છે. 
સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે. 

ભારતમાં ૩૦,૦૦૦ નિસાન મેગ્નાઇટ વેચાઈ

જાપાનીઝ કાર ઉત્પાદક કંપની નિસાને જણાવ્યા મુજબ ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં લૉન્ચ કરાયેલી નિસાન મેગ્નાઇટ કારનાં ૩૦,૦૦૦ યુનિટની અત્યાર સુધીમાં ડિલિવરી કરાઈ છે. આ કાર કૉમ્પેક્ટ સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલની શ્રેણીમાં આવે છે. 
નિસાન મેગ્નાઇટ માટેનું કુલ બુકિંગ ૭૨,૦૦૦ યુનિટ થઈ ગયું છે, એમ જણાવતાં કંપનીએ નિવેદનમાં ઉમેર્યું છે કે આ કારનું ઉત્પાદન ચેન્નઈમાં કરવામાં આવે છે.

‘ઍક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ’નું સર્ટિફિકેશન આપવા માટે બીએએસએલને મળી સેબીની મંજૂરી

દેશના અગ્રણી સ્ટૉક એક્સચેન્જ-બીએસઈની પેટા કંપની બીએએસએલને અૅક્રેડિટેડ ઇન્વેસ્ટર્સના અૅક્રેડિટેશન માટેની એજન્સી તરીકે કામ કરવા સેબીએ મંજૂરી આપી છે. 
બીએએસએલ (બીએસઈ ઍડમિનિસ્ટ્રેશન ઍન્ડ સુપરવિઝન લિમિટેડ) બીએસઈની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. અહીં જણાવવું રહ્યું કે ઑગસ્ટ ૨૦૨૧માં સેબીએ ભારતીય સિક્યૉરિટીઝ માર્કેટમાં પહેલી વાર અૅક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ નામનો કૉન્સેપ્ટ શરૂ કર્યો છે. સેબીએ નક્કી કરેલાં માપદંડના આધારે અૅક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ નામે સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પ્રકારના રોકાણકારોને રોકાણ સંબંધે કેટલીક છૂટછાટ તથા સુવિધાઓ આપવામાં આવશે. 
ઍક્રેડિટેશન એજન્સી તરીકે બીએએસએલ ઍક્રેડિટેશન માટેના અરજદારોના દસ્તાવેજોની ચકાસણી કરશે તથા તેના આધારે અૅક્રેડિટેશન સર્ટિફિકેટ આપશે. એટલું જ નહીં ઍક્રેડિટેડ ઇન્વેસ્ટર્સને લગતા ડેટાની જાળવણી પણ કરશે. 
આ નિમિત્તે બીએસઈના એમડી-સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું છે કે બીએએસએલ પાસે આ જવાબદારી નિભાવવા માટેનું સંપૂર્ણ તંત્ર તથા મનુષ્યબળ છે.

ગોદરેજ પ્રૉપર્ટીઝે બૅન્ગલોરમાં ૧૬ ઍકર જમીન ખરીદી

ગોદરેજ પ્રૉપર્ટીઝે હાઉસિંગ પ્રોજેક્ટ વિકસાવવા માટે બૅન્ગલોરમાં ૧૬ ઍકર જમીન ખરીદી છે. આ જમીન પર ૧૫ લાખ ચો. ફૂટ જગ્યા ડેવલપ કરવામાં આવશે. 
કંપનીએ સોદાનું મૂલ્ય તથા વેચાણકર્તાનું નામ જાહેર કર્યાં નથી.
તેણે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે કે આ જમીન સર્જાપુરમાં આવેલી છે. 
ગોદરેજ પ્રૉપર્ટીઝે ગત એપ્રિલ-સપ્ટેમ્બર ગાળામાં કુલ ૩૦૭૨ કરોડ રૂપિયાની પ્રૉપર્ટીનું વેચાણ કર્યું છે, જે પાછલા વર્ષની તુલનાએ ૧૮ ટકા વધારે છે. મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી કંપની દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન, મુંબઈ મેટ્રોપોલિટન રીજન, બૅન્ગલોર અને પુણે માર્કેટમાં સક્રિય છે.

દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર હેઠળ ચાર નવાં ઔદ્યોગિક કેન્દ્રોની રચના કરાશે

દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ચાર નવાં ઔદ્યોગિક કેન્દ્રો બનાવવામાં આવશે. એ માટેનું મોટા ભાગનું માળખાકીય સુવિધાનું કામ પૂરું થઈ ગયું છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. 
મંત્રાલયના નિવેદનમાં જણાવાયા અનુસાર આ શહેરોમાં કુલ ૧૬,૭૫૦ કરોડ રૂપિયા કરતાં વધારેનું રોકાણ કરનારી કંપનીઓને ૧૩૮ પ્લોટ (૭૫૪ ઍકર) જમીન ફાળવવામાં આવી છે. મુખ્ય રોકાણકારોમાં દક્ષિણ કોરિયાની હ્યોસંગ, રશિયાની એનએલએમકે, ચીનની હાયર અને ભારતની તાતા કેમિકલ્સ તથા અમૂલનો સમાવેશ થાય છે. 
ઉક્ત કૉરિડોરમાં ૨૩ પ્રોજેક્ટ આયોજન અને વિકાસના અલગ-અલગ તબક્કામાં છે. સરકારે આવા ૧૧ કૉરિડોર મંજૂર કર્યા છે. તેમાં ચાર તબક્કામાં ૩૨ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. એમાંથી બૅન્ગલોર-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોરમાં ધારવાડ શહેરને વિકસાવવામાં આવશે. 

business news