સરકારી વિમાન કંપની ઍર ઇન્ડિયાને અદાણી ગ્રુપ ખરીદવાની તૈયારીમાં

26 February, 2020 07:43 AM IST  |  New Delhi

સરકારી વિમાન કંપની ઍર ઇન્ડિયાને અદાણી ગ્રુપ ખરીદવાની તૈયારીમાં

ગૌતમ અદાણી

સરકારી વિમાન કંપની ઍર ઇન્ડિયાને ખરીદવાની રેસમાં વધુ એક નામ સામે આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે દેશની મોટી કંપની અદાણી ગ્રુપ ઍર ઇન્ડિયા ખરીદવાનું મન બનાવી રહી છે. આ પ્રથમ વાર છે જ્યારે દેવામાં ડૂબેલી સરકારીવિમાન કંપનીને અદાણી ગ્રુપ ખરીદવાની વાત કરી રહી છે. આ પહેલાં ઍર ઇન્ડિયાને ખરીદવા માટે તાતા ગ્રુપનું નામ સામે આવી ચૂક્યું છે.

સૂત્રોનું કહેવું છે કે અદાણી ગ્રુપ ઍર ઇન્ડિયા ખરીદવા માટે એક્સપ્રેસ ઑફ ઇન્ટરેસ્ટ દાખલ કરી શકે છે. આ માટે તૈયારી શરૂ થઈ ચૂકી છે. અદાણી ગ્રુપ ભારતનું સૌથી મોટું ઍરપોર્ટ ઑપરેટર બનવાની રેસમાં છે. આ ગ્રુપ હાલમાં અમદાવાદ, લખનઉ અન મૅન્ગલોર ઍરપોર્ટનું સંચાલન કરે છે. આ સિવાય કંપની તિરુવનંતપુરમ, અમદાવાદ અને ગુવાહાટીના સંચાલન માટે પણ અરજી કરી ચૂક્યું છે.

મામલા સાથે સંકળાયેલા એક અન્ય અધિકારીનું કહેવું છે કે અદાણી ગ્રુપને ઍર ઇન્ડિયા ખરીદવા માટે કાયદાકીય પડકાર મળી શકે છે, કારણ કે અદાણી ગ્રુપ પહેલાંથી જ કેટલાંક ઍરપોર્ટનું સંચાલન કરી રહ્યું છે. જોકે કોઈ પણ પ્રકારનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર જ લેશે.

કેન્દ્ર સરકાર આ વર્ષે ઍર ઇન્ડિયાના વિનિવેશનો નિર્ણય લઈ ચૂકી છે. ભારત સહિત દુનિયાની તમામ કંપનીઓ ઍર ઇન્ડિયાને ખરીદવા માટે આવેદનો મગાવવામાં આવ્યાં છે. ઍર ઇન્ડિયા પાસે હાલમાં ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનું ભારેભરખમ દેવું છે. કેન્દ્ર સરકારે ૨૦૧૮માં પ્રથમ વાર ઍર ઇન્ડિયાનો ૭૬ ટકા સ્ટેક વેચવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ વખતે સરકારે ઍર ઇન્ડિયાનો સંપૂર્ણ ૧૦૦ ટકા સ્ટેક વેચવા માટે આવેદન મગાવ્યાં છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ ખરીદદાર મળ્યો નથી.

business news air india