31 January, 2023 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર સિંહ તોમર તસવીર સૌજન્ય મિડ-ડે
કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે વૈશ્વિક સમુદાયે જટિલ પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તરે સંકલિત નીતિઓ અને ક્રિયાઓ પર વધુ ભાર મૂકવો જોઈએ જે એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને ફક્ત સરહદો દ્વારા વ્યાખ્યાયિત નથી. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન ભારતમાં બેદિવસીય G20 ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપની બેઠક દરમ્યાન તેમના ઉદ્ઘાટન સંબોધનમાં બોલી રહ્યા હતા. તોમરે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પ્રધાન પશુપતિ કુમાર પારસ સાથે બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. તોમરે કહ્યું કે દેશના નાગરિકો માટે ગર્વની ક્ષણ છે કે ભારત આ વર્ષે G20 સમીટની અધ્યક્ષતા કરી રહ્યું છે અને ઉમેર્યું કે દેશ એની સાથે આવતી જવાબદારીઓથી સારી રીતે વાકેફ છે. વિશ્વ આજે અસંખ્ય જટિલ પડકારોનો સામનો કરી રહ્યું છે, જે એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને માત્ર સરહદો દ્વારા વ્યાખ્યાયિત નથી. જે પડકારોનો સામનો કરવામાં આવી રહ્યો છે એ વૈશ્વિક છે અને એના માટે વૈશ્વિક ઉકેલની જરૂર છે. એથી વૈશ્વિક સમુદાયે આજે વૈશ્વિક સ્તરે સંકલિત નીતિઓ અને ક્રિયાઓ પર વધુ ભાર મૂકવાની જરૂર છે, એમ તોમરે જણાવ્યું હતું.