મોદીના શાસનમાં સરકારી કંપનીઓની રોકડમાં થયો 60 ટકાનો ઘટાડો

22 May, 2019 12:36 PM IST  |  મુંબઈ

મોદીના શાસનમાં સરકારી કંપનીઓની રોકડમાં થયો 60 ટકાનો ઘટાડો

મે, ૨૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ બહુમતી સાથે સત્તા ઉપર આવ્યા હતા. વર્ષ ૨૦૧૨થી ભારતીય અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું હતું, કૌભાંડોથી ઘેરાયેલી ડો. મનમોહન સિંહની સરકાર નિર્ણય લઈ શકતી નહિ હોવાથી, મોદી સરકાર દેશનું અર્થતંત્ર પાટા ઉપર ચડાવશે એવી આશા હતી. જોકે વર્ષ ૨૦૧૮-૧૯માં એટલે કે મોદીના શાસનના અંતે અર્થતંત્ર ધીમું પડી રહ્યું હોવાનું ખુદ નાણાં મંત્રાલયનો અહેવાલ જણાવે છે.

દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે મોદી સરકારે વિદેશી મૂડીરોકાણની સાથે સરકારી રોકાણમાં પણ જંગી વધારો કર્યો. આ વધારાના કારણે ભારતનું દેવું વધી રહ્યું છે, એટલું જ નહીં, પણ દેશની ટોચની સરકારી માલિકીની કંપનીઓની હાલત પણ હવે બગડી ગઈ છે. એક આંતરિક રિસર્ચ અનુસાર દેશની ટોચની ૨૧ જાહેર ક્ષેત્રની કંપનીઓની હાથ ઉપરની રોકડ કે રોકડ જેવાં જ રોકાણોમાં ૬૦%નો ધરખમ ઘટાડો વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચે જોવા મળ્યો છે. કંપનીઓનાં માર્ચ, ૨૦૧૯નાં પરિણામ હજુ આવ્યાં નથી, જાહેર થઈ રહ્યાં છે, પણ એમાં પણ રોકડ ઘટવાનો આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હોવાનું દેશના ટોચના ઇક્વિટી ઍનૅલિસ્ટ માની રહ્યા છે.

તા. ૩૧ માર્ચ, ૨૦૧૪ના રોજ દેશની ૨૧ જેટલી ટોચની સરકારી કંપનીઓના હાથ ઉપર કુલ રોકડ રૂ. ૧,૨૧,૫૭૯ કરોડ હતી, જે માર્ચ, ૨૦૧૮ના સમયે ૬૦% ઘટી રૂ. ૪૮,૧૩૬ કરોડ થઈ ગઈ છે. આ ઘટાડો એટલા માટે ચોંકાવનારો છે કે મોટા ભાગની કંપનીઓએ સરકારને પોતાની નાણાકીય સ્થિતિ સતત સ્થિર રાખવા માટે સતત ડિવિડન્ડ આપ્યું છે, દર વર્ષે વધારનું ડિવિડન્ડ આપ્યું છે. સરકારે બજારમાંથી નાણાં એકત્ર કરવાં પડે નહીં એટલે આવી કંપનીઓના શૅરનું વેચાણ પણ સરકારે કર્યું છે.

હાથ ઉપરની રોકડમાં ઘટાડો જોવા મળ્યો હોય તેવી ૨૧માંથી ૧૮ કંપનીઓ છે. માત્ર ત્રણ કંપનીમાં વધારો જોવા મળ્યો છે, એમાં સૌથી વધારો હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં જોવા મળ્યો છે, પણ આ વધારો ભ્રામક છે, કારણ કે સરકારે આ કંપનીના શૅર ઓએનજીસીને વેચ્યા હોવાથી તેની રોકડ કામચલાઉ ધોરણે વધેલી જોવા મળે છે.

સરકાર માટે દૂઝણી ગાય એવી ઓએનજીસી, ઇન્ડિયન ઑઇલ, કોલ ઇન્ડિયા, હિન્દુસ્તાન ઍરોનોટિક્સની રોકડમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. ઓએનજીસી પાસે માર્ચ, ૨૦૧૪ના હાથ ઉપર રૂ. ૧૦,૭૯૮ કરોડ હતા, જે માર્ચ ૨૦૧૮ના ઘટી માત્ર રૂ. ૧,૦૧૨ કરોડ થઈ ગયા છે એટલે કે ૯૦%નો ઘટાડો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાર્ષિક વેચાણની દૃષ્ટિએ ઇન્ડિયન ઑઇલ સૌથી મોટી સરકારી કંપની છે, જ્યારે ઓએનજીસી સૌથી વધુ નફો રળતી જાહેર ક્ષેત્રની કંપની છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે બજાર આધારિત છે, તેમાં દૈનિક વધારો કે ઘટાડો થાય છે એટલે કંપનીઓની ખોટ ઘટવી જોઈએ, પણ ઇન્ડિયન ઑઇલની હાથ ઉપરની રોકડ માર્ચ, ૨૦૧૪ના રોજ રૂ. ૩૭૦૪ કરોડ હતી તે ૮૭% ઘટી માર્ચ, ૨૦૧૮ના માત્ર રૂ. ૪૯૪ કરોડ થઈ ગઈ છે. ભારત પેટ્રોલિયમની રોકડ આ જ સમયગાળામાં ૫૬% ઘટી છે.

કોલસાના ઉત્પાદનમાં અમે રિફોર્મ લાવ્યા, દેશની વીજળીની પરિસ્થિતિ અમે ઠીક કરી દીધી. કોલસાના ભાવ પારદર્શી બનાવ્યા એવી બડાશો મોદી સરકારના પ્રધાનો મારી રહ્યા છે. કોલ ઇન્ડિયા ભારતની નહીં વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક છે. આ કંપનીની હાથ ઉપરની રોકડ માર્ચ, ૨૦૧૪ના રૂ. ૯૮૧૭ કરોડ હતી, જે માર્ચ ૨૦૧૮ના ૯૫% ઘટી માત્ર રૂ. ૪૮૮ કરોડ થઈ ગઈ છે. જો કોલસા ક્ષેત્રની હાલત સારી હોય તો કંપનીની હાલત સુધરવી જોઈએ, પરંતુ અહીં બગડી રહી છે.

business news