જીએસટી હેઠળ નવી ઍમ્નેસ્ટી સ્કીમ

17 March, 2023 03:18 PM IST  |  Mumbai | Shrikant Vaishnav

જીએસટી ઍક્ટ લાગુ થતાં પહેલાં રાજ્યના કરવેરા ખાતાએ જે અલગ-અલગ કરવેરા રાખ્યા હતા એને જીએસટીની આ ઍમ્નેસ્ટી સ્કીમ લાગુ પડશે

પ્રતીકાત્મક તસવીર

જીએસટી હેઠળ કરવેરો, વ્યાજ, દંડ અને લેટ ફીની લેણી નીકળતી રકમ માફ કરવા માટે ઍમ્નેસ્ટી સ્કીમ જાહેર કરવામાં આવી છે. આ સ્કીમને “Maharashtra Settlement of Arrears of tax, interest, penalty and late fees Act, 2023” એવું નામ આપવામાં આવ્યું છે.

સ્કીમ લાગુ પડવા વિશે

જીએસટી ઍક્ટ લાગુ થતાં પહેલાં રાજ્યના કરવેરા ખાતાએ જે અલગ-અલગ કરવેરા રાખ્યા હતા એને જીએસટીની આ ઍમ્નેસ્ટી સ્કીમ લાગુ પડશે.

જીએસટી ઍમ્નેસ્ટી સ્કીમ, ૨૦૨૩નો સમયગાળો

આ ઍમ્નેસ્ટી સ્કીમ ૧ મે ૨૦૨૩થી ૩૧ ઑક્ટોબર ૨૦૨૩ સુધી લાગુ રહેશે.

જીએસટી લાગુ થવા પહેલાંના સમયે જે કરવેરા, વ્યાજ, દંડ અને લેટ ફીની ચુકવણી બાકી હતી એમાં અહીં જણાવ્યા પ્રમાણેના લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છેઃ

વૈધાનિક આદેશ મુજબ દરેક નાણાકીય વર્ષ દીઠ બે લાખ રૂપિયા સુધીનાં એરિયર્સ ધરાવતા ડીલર્સને એ રકમની ચુકવણીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

વૈધાનિક આદેશ મુજબ ૫૦ લાખ રૂપિયા સુધીનાં એરિયર્સ ધરાવતા ડીલર્સે માત્ર ૨૦ ટકા રકમ ભરવાની રહેશે. બાકીની ૮૦ ટકા રકમની ચુકવણી માફ કરવામાં આવી છે.

પ્રોફેશન ટૅક્સમાં પ્રસ્તાવિત લાભઃ

મહિલા-કર્મચારીઓને પ્રોફેશન ટૅક્સમાંથી મુક્તિ

આજની તારીખે દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની મર્યાદા છે. હવે પછી દર મહિને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો પગાર પ્રોફેશન ટૅક્સમાંથી મુક્ત રહેશે. આ પગલાથી પગારદાર મહિલાઓની ખરીદશક્તિમાં વધારો થશે.

પંગુતા ધરાવતી વ્યક્તિઓને પ્રોફેશન ટૅક્સમાંથી મુક્તિ

પ્રોફેશન ટૅક્સ ઍક્ટમાં અપાયેલી પંગુતા ધરાવતી વ્યક્તિની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવવાનો છે. રાઇટ્સ ઑફ ધ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ ઍક્ટ, ૨૦૧૬માં અપાયેલી વ્યાખ્યા મુજબ આ ફેરફાર કરાવાનો છે. આથી વધુ વ્યક્તિઓ પ્રોફેશન ટૅક્સમાંથી મુક્તિને પાત્ર બનશે.

એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પરના વૅલ્યુ ઍડેડ ટૅક્સના દરમાં ફેરફાર

એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પરના વૅલ્યુ ઍડેડ ટૅક્સની ટકાવારી ૨૫થી ઘટાડીને ૧૮ ટકા કરવાનો પ્રસ્તાવ છે. એને પગલે મુંબઈ, પુણે અને રાયગઢ જિલ્લામાં કરવેરાનો દર ગોવા અને બૅન્ગલોરની તોલે આવી જશે. આ પગલા પાછળનો ઉદ્દેશ હવાઈ પરિવહનને ઉત્તેજન આપીને એના દ્વારા આર્થિક વિકાસ ઝડપી બનાવવાનો છે.

અહીં સરકારને કહેવાનું કે પ્રોપરાઇટરશિપ/વ્યક્તિગત પેઢી કે ભાગીદારી પેઢીના જે કિસ્સામાં તમામ ભાગીદારો મૃત્યુ પામ્યા છે અને વ્યાજ, દંડ તથા લેટ ફીની ચૂકવવાપાત્ર રકમ ૫૦ લાખ રૂપિયા કરતાં વધારે હોય તો એ કિસ્સામાં પણ ઍમ્નેસ્ટી સ્કીમનો લાભ આપવામાં આવવો જોઈએ. મારું માનવું છે કે સરકારે આ સ્કીમનો વધુ ને વધુ કરદાતાઓ લાભ લઈ શકે એ માટે વ્યાજ, દંડ અને લેટ ફીની ચુકવણીમાંથી સંપૂર્ણ માફી આપી દેવી જોઈએ. એ કર્યા બાદ કરવેરાનો વાજબી દર લાગુ કરવો જોઈએ.

નિષ્કર્ષ : જીએસટી ઍમ્નેસ્ટી સ્કીમ આવકારદાયક પગલું છે, પરંતુ જે કરદાતાઓ અર્થતંત્રના હિત માટે ડ્યુ ડેટ પહેલાં જ પ્રામાણિકપણે કરવેરા ચૂકવી દે છે એમને એવું થશે કે શું એમની પ્રામાણિકતાનો કોઈ અર્થ નથી?!

business news