27 September, 2019 12:57 PM IST | નવી દિલ્હી
આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવા માટેની સમય મર્યાદા વધારી છે. આવકવેરા વિભાગે આ મર્યાદા 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર 2019 કરી છે. સામાન્ય કરદાતાઓ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા 30 જુલાઈ હોય છે. પાર્ટનરશિપ ફર્મ, કો ઓપરેટિવ સોસાયટીઝ, પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ અને એવા બિઝનેસ જેમનું ટર્નઓર વાર્ષિક 2 કરોડ કરતા વધું હોય, તેમના માટે આ સમય મર્યાદા વધારવામાં આવી છે.
ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ એકસપર્ટ બલવંત જૈને કહ્યું કે આ સમયમર્યાદા ઈન્કમટેક્સ વિભાગે એ કંપનીઓ અને સોસાયટીઓ માટે વધારી છે, જેના ઈન્કમ ટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જાહેર કરવાની છેલ્લી મર્યાદા 30 સપ્ટેમ્બર છે. તેની મર્યાદા વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એવી અફવા હતી કે આવક વેરા વિભાગે આઈટીઆર દાખલ કરવાની સમય મર્યાદા વધારી છે. સોશિયલ મીડિયા પર આવક વેરા વિભાગના આ નોટિફિકેશનના ફોટોઝ પણ ફરતા થયા હતા. જો કે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 24 સપ્ટેમ્બરે તેનું ખંડન કરીને આ સમાચાર ખોટા હોવાનું કહ્યું હતું.